નવી દિલ્હી, તા.26
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે ભારતીય વાયુસેના (IAF)ના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા જેમાં એક મહિલા, જે છ વર્ષથી પોતાના સાવકા પુત્રનો ઉછેર કરી રહી હતી. તે મહિલાને ફેમિલી પેન્શન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ખંડપીઠે કહ્યું કે, માતા ખૂબ વ્યાપક શબ્દ છે.
જસ્ટિસ સૂર્યકાંતે એરફોર્સના વકીલને કહ્યું કે, ઉદાહરણ તરીકે, જન્મ આપનારી માતાના મૃત્યુ પછી પિતાએ ફરીથી લગ્ન કર્યા. સાવકી માતા બાળકને ઉછેરે છે અને જ્યારે તે સેનામાં અધિકારી બની ગયો તો શું તે મહિલા તેની માતા નહીં રહે?
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, તે વિચારશે કે સાવકી માતાને એરફોર્સના નિયમો હેઠળ ફેમિલી પેન્શન મળી શકે છે કે નહીં. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની બેન્ચે પણ એરફોર્સ દ્વારા સાવકી માતાને પેન્શન આપવાના ઇનકાર પર નારાજગી વ્યક્ત કરી હતી. બેન્ચે કહ્યું કે, માતા એક વ્યાપક શબ્દ છે. આજે, જ્યારે વિશ્વમાં ઘણું બધું થઈ રહ્યું છે, એવું નથી કે માત્ર જન્મ આપનારી માતાઓ જ બાળકોને ઉછેરતી હોય છે.
જસ્ટિસ સૂર્યકાંતે એરફોર્સના વકીલને પૂછ્યું કે, ઉદાહરણ તરીકે, જો બાળકનો જન્મ થાય અને તેની જૈવિક માતા મૃત્યુ પામે અને પિતા ફરીથી લગ્ન કરે. આવી સ્થિતિમાં સાવકી માતા બાળકને નાનપણથી જ ઉછેરશે અને જો તે આર્મી ઓફિસર બનશે તો સાવકી માતાએ તેનો ઉછેર કર્યો છે તો તે તેની માતા બનશે કે નહીં?
સુનાવણી દરમિયાન એરફોર્સના વકીલે કહ્યું કે, ઘણા એવા નિર્ણયો છે જેમાં સાવકી માતાને ફેમિલી પેન્શનથી દૂર રાખવામાં આવી છે. જસ્ટિસ સૂર્યકાંતે આના પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું, નિયમો તે છે જે અમે નક્કી કરીએ છીએ. આ કોઈ બંધારણીય આદેશ નથી. અમે આ નિયમ પાછળના તથ્યો સાથે સહમત નથી. નિયમોના આધારે તમે કોઈને વિશેષ પેન્શન અને ફેમિલી પેન્શનથી કેવી રીતે વંચિત કરી શકો છો.
સુપ્રીમ કોર્ટના આ સવાલ પર અરજદાર અને એરફોર્સ બંનેના વકીલો સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. તેના પર ખંડપીઠે કહ્યું હતું કે વકીલો સંપૂર્ણ રીતે તૈયાર નથી આવ્યા અને તેમને ફરીથી કોર્ટના આદેશોનો અભ્યાસ કરીને આવવાનો નિર્દેશ આપ્યો છે. આ પછી, કેસની સુનાવણી 7 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી હતી.
એરફોર્સના ઇનકાર બાદ સાવકી માતાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જયશ્રીની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. જયશ્રીએ તેની જૈવિક માતાના અવસાન બાદ તેના સાવકા પુત્ર હર્ષનો ઉછેર કર્યો હતો. મોટા થયા પછી હર્ષ ભારતીય વાયુસેનામાં જોડાયો.
હર્ષના મૃત્યુ બાદ જયશ્રીએ પેન્શન આપવાનો દાવો કર્યો હતો, પરંતુ એરફોર્સે તેની સાવકી માતાને પેન્શન આપવાનો ઇનકાર કર્યો હતો. આ મામલો આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો હતો, જ્યાં 10 ડિસેમ્બર 2021ના રોજ પોતાના નિર્ણયમાં આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલે પણ સાવકી માતાને પુત્રનું પેન્શન આપવાનો ઇનકાર કર્યો હતો. આ નિર્ણય સામે અરજદારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy