રાજકોટ,તા.15
હિન્દુઓની અત્યંત પવિત્ર અમરનાથ યાત્રા બે મહિના બાદ શરૂ થવાની છે તે પુર્વે આજથી રજીસ્ટ્રેશન શરૂ થયુ છે અને પ્રથમ દિવસે જ યાત્રાળુઓએ ધસારો કરી મુકતા ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો હતો.
રાજકોટથી માંડીને સુરત સહિતના શહેરોમાં ધોમધખતા તાપમાં ભાવિકોએ રજીસ્ટ્રેશન માટે લાઈનો લગાવવી પડી હતી. રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ખામીને કારણે પરેશાનીમાં મુકાવુ પડયુ હતું.
અમરનાથ યાત્રા આગામી 3 જુલાઈથી શરૂ થવાની છે અને તે માટે રજીસ્ટ્રેશન, મેડીકલ ફિટનેસ સર્ટીફીકેટ વગેરે ફરજીયાત બનાવવામાં આવ્યુ છે. આજથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ પ્રથમ દિવસે જ વ્યવસ્થા ભાંગી પડી હોય તેવી હાલત સર્જાઈ હતી. રાજકોટ સહિતના શહેરોમાંથી રજીસ્ટ્રેશન થતા ન હોવાની અને લોકોને ભારે હાલાકી થઈ રહ્યાની બુમરાળ ઉઠી હતી.
રાજકોટને લાગેવળગે છે ત્યાં સુધી પંજાબ નેશનલ બેંક તથા યસ બેંકમાં રજીસ્ટ્રેશન વ્યવસ્થા રાખવામાં આવી હતી. રામકૃષ્ણનગરમાં પંજાબ નેશનલ બેંકની બ્રાંચ પર વ્હેલી સવારથી જ લોકો ઉમટયા હતા.
પરંતુ પ્રક્રિયાના ઠેકાણા ન હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો. ધોમધખતા તાપમાં પણ લોકોને ગરમીમાં શેકાવાનો વખત આવ્યો હતો. અરજદારોએ ગરમી વચ્ચે અડીંગો જમાવી દીધો હતો.
યસ બેંકમાં પણ સમાન હાલત હતી. સવારથી જ બેંક બહાર લાઈનો લાગી હતી પરંતુ ફોર્મ વિતરણ કે રજીસ્ટ્રેશન પ્રકિયા શરૂ ન થતા લોકોએ ભારે બળાપો ઠાલવ્યો હતો. હીટવેવ જેવી આકરી ગરમીમાં શ્રદ્ધાળુઓ માટે કોઈ વ્યવસ્થા કે સુવિધા પણ રાખવામાં આવી ન હોવાથી આક્રોશ વકર્યો હતો. રજીસ્ટ્રેશન કયારથી શકય બનશે તે વિશે કોઈ યોગ્ય જવાબ પણ આપવામાં આવતા ન હોવાનો આક્ષેપ કરાયો હતો.
રાજકોટ સિવાય રાજયના અન્ય કેટલાંક શહેરોમાં પણ અમરનાથ યાત્રા રજીસ્ટ્રેશન માટે લોકોને ભારે હાલાકી હતી. સુરતમાં જમ્મુ-કાશ્મીર બેંકમાં આ વ્યવસ્થા હતી. પરંતુ લોકોની લાંબી લાઈનો થઈ હતી અને રજીસ્ટ્રેશન થતા ન હોવાથી લોકોમાં રોષ ફેલયો હતો. રજીસ્ટ્રેશન માટે માત્ર 25ની મર્યાદા લાગુ કરાયા મામલે પણ રોષ જોવા મળ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy