રાજૌરીમાં તોપગોળો ત્રાટકતા સીનીયર અધિકારી સહિત પાંચ ભારતીયોના મોત

LOC પર આખી રાત ગોળીબાર - તોપમારો : પાક ચોકીઓ - આતંકી લોન્ચપેડ નષ્ટ

India | 10 May, 2025 | 12:03 PM
રાજૌરી, પુંછ, નૌશહર, અબનુર, આરએસપુરા, કુપવાડા, સહિતના ક્ષેત્રોમાં જોરદાર ઘર્ષણ
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.10
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ વધુ ગંભીર રીતે અને ખતરનાક બની રહ્યો છે ત્યારે કાશ્મીરની વાસ્તવિક અંકુશ રેખાએ પણ આખી રાત ગોળીબાર તથા તોપમારો ચાલુ રાખ્યો હતો. ભારતીય સૈન્યએ પાકના છકકા છોડાવ્યા હોય તેમ અનેક ચોકી અને આતંકી લોંચ પેડ નષ્ટ કરી નાખ્યા હતા. પાક દ્વારા નિર્દોષ લોકોને નિશાન બનાવવાનું ચાલુ રખાયુ હતું તેમાં કાશ્મીરનાં એક અધિકારી સહીત પાંચ લોકોના મોત નીપજયા હતા.

કાશ્મીર સ્થિત અનેક સરહદી ક્ષેત્રોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે આખી રાત સામસામા ગોળીબાર તોપમારા ચાલુ રહ્યા હતા. પાકિસ્તાન જે સ્થળોએથી ટયુબ લોંચ ડ્રોન મારફત ભારતમાં ઘુસણખોરીની કોશીશ કરતુ હતું તે સ્થળોને ભારતે નષ્ટ કરી દીધા હતા આ સિવાય અને પાકિસ્તાની ચોકીઓને પણ ઉડાવી દેવામાં આવી હતી.

પાકિસ્તાન દ્વારા સરહદી ક્ષેત્રોમાં રહેણાંક ક્ષેત્રો-નિર્દોષ નાગરીકોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. રાજૌરી, પુંછ, શ્રીનગર તથા જમ્મુ જીલ્લાનાં ક્ષેત્રોમાં અધિકારી સહીત પાંચ લોકોના મોત નીપજયા હતા. જયારે અન્ય કેટલાંક ઘાયલ થયા હતા.રાજૌરીમાં એડીશ્નલ ઘાયલ થયા હતા.

રાજૌરીમાં એડીશ્નલ જીલ્લા વિકાસ અધિકારી રાજકુમાર થાપાના સરકારી નિકાસ પર તોપગોળો ત્રાટકયો હતો. તેમાં તેમનું મૃત્યુ નીપજયુ હતું. અન્ય બે કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા.

રાજૌરી સહીત મોટાભાગનાં ક્ષેત્રોમાં બ્લેકઆઉટ કરાયુ હતું. નૌશહરા પૂંછ તથા કુપવાડામાં નિયંત્રણ રેખા, પર તોપ અને ગનની ધણધણાટી હતી ભારતે પૂછ તથા આરએસયુપુરમાં બે લોકોના મોત થયા હતા.

 

ઓમર અબ્દુલ્લાહે કરી ટ્વિટ 
જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાહે X પર કરેલી પોસ્ટમાં લખ્યું કે, રાજૌરીથી દુ:ખદ સમાચાર. આપણે જમ્મુ અને કાશ્મીર વહીવટી સેવાના એક સમર્પિત અધિકારી ગુમાવી દીધા. ગઈકાલે જ તેઓ નાયબ મુખ્યમંત્રી સાથે જિલ્લાનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને મારી અધ્યક્ષતામાં ઓનલાઈન બેઠકમાં પણ હાજરી આપી હતી.

આજે અધિકારીના નિવાસસ્થાન પર પાકિસ્તાનીઓના નાપાક ગોળીબારમાં રાજૌરી શહેરને નિશાન બનાવવામાં આવ્યું હતું. તેમાં આપણા એડિશનલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશનર રાજ કુમાર થાપા શહીદ થઈ ગયા. જાનમાલના આ ભયંકર નુકસાન પર આઘાત અને દુ:ખ વ્યક્ત કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. તેમના આત્માને શાંતિ મળે.”

પંજાબમાં ત્રણ સ્થળોએ વિસ્ફોટ: જમીનમાં 15 ફૂટનો ખાડો: મકાનોનાં કાચ તૂટયા
આદમપુર એરફોર્સ સ્ટેશન નજીક પણ ધડાકામાં 1 ઘાયલ

પંજાબનાં ગુરદાસપુરનાં છીછરા ગામમાં આજે સવારે પાંચ વાગ્યાનાં અરસામાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો એક ખેતરમાં 15 ફૂટ ઉંડો તથા 40 ફૂટ પહોળો ખાડો પડી ગયો હતો.

ત્રણથી ચાર કીમી દુર સુધીનાં મકાનોમાં બારી-દરવાજાનાં કાચ તૂટી ગયા હતા અને લોકો ભયભીત બની ગયા હતા. તત્કાળ સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી.

આ સિવાય રાજયના ફગવાડા શહેરમાં પણ મોડીરાત્રે મિસાઈલ ત્રાટકી હતી જયારે જલંધરનાં કંગનીવાલ ગામમાં પણ પરોઢીયે વિસ્ફોટ થયો હતો. 

લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જયાં મિસાઈલના ટુકડા મળ્યા હતા બે વાહનોને નુકશાન થયુ હતું. એક વ્યકિતને ઈજા થઈ હતી. આ સ્થળ આદમપુર એરફોર્સ સ્ટેશનથી 15 કીમી દુર છે.

 

શ્રીનગર ઉરી બારામુલ્લા પરોઢીયે ધડાકાથી ધણધણ્યા
ભારત-પાકિસ્તાન વચ્ચેનું ઘર્ષણ વધુને વધુ ખતરનાક બનવા લાગ્યુ હોય તેમ કાશ્મીરમાં જુદા જુદા ભાગોમાં ડઝનથી વધુ ધડાકા સંભળાયા હતા. સતાવાર રીતે ચુપકીદી સેવવામાં આવી રહી છે. પરંતુ સ્થાનિક લોકોનાં કહેવા પ્રમાણે બારામુલ્લા, શ્રીનગર, તથા ઉરીમાં સૈન્ય સંસ્થાનો નજીક આ વિસ્ફોટ થયો હતો.

શ્રીનગરમાં આજે સવારે પાંચ મોટા ધડાકા સંભળાયા હતા. જયારે બારામુલ્લામાં વહેલી સવારે પાંચ વાગ્યે ત્રણ ધડાકા નોંધાયા હતા. ઉરીમાં ગોળીબાર તોપમારામાં જોરદાર ધડાકો પણ થયો હતો. મોટાભાગના લોકો સુરક્ષીત સ્થળોએ પહોંચી ગયા હતા. અને ભયનો માહોલ હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj