અમદાવાદ,તા.9
વડોદરા જિલ્લામાં એક ખેતીની જમીનમાં નોન એગ્રીકલ્ચર પરમિશન નહીં આપવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે વડોદરાના હાલના અને તત્કાલીન કલેકટરોનો ભારે શબ્દોમાં ઉધડો લઈ લીધો હતો
એટલું જ નહીં રેવન્યુ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી જયંતિ રવિનો પણ ઉધડો લઈને સરકારી અધિકારીઓ માટે હાઇકોર્ટમાં વર્તણૂક બાબતે કોડ ઓફ કન્ડક્ટ તૈયાર કરવાની ભલામણ કરી હતી.
આ કેસમાં જયંતિ રવિ દ્વારા કોર્ટની માફી પણ માંગવામાં આવી હતી. ત્યારબાદ અદાલતે કન્ટેન્ટ ઓફ કોર્ટની કાર્યવાહી વડોદરાના કલેકટરો સામે પડતી મૂકીને કેટલાક નિર્દેશો જારી કર્યા હતા.
કેસની વિગતો મુજબ વડોદરામાં એક જમીનને એન એ પરમિશન આપવા બાબતે કોર્ટ દ્વારા અગાઉ બે વખત હુકમો કરવામાં આવ્યા હતા તેમજ જમીનની માલિકી પણ બે થી ત્રણ વખત બદલાઈ ગઈ હોવા છતાં તત્કાલીન કલેકટર બીજલ શાહ તેમજ હાલના કલેક્ટર અનિલ ધામેલીયા દ્વારા એન એ ની પરમિશન આપવામાં નહીં આવતા મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.
કેસની હકીકતોને ધ્યાનમાં લઈને જસ્ટિસ નિખિલ કેરિયલ દ્વારા 10 તારીખ 22 એપ્રિલના રોજ બંને કલેક્ટરો સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહી કરવાનું આદેશ પસાર કરવામાં આવ્યો હતો.
કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એડવોકેટ જનરલ ખુદ કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેઓએ અરજદારોને નોન એગ્રીકલ્ચર પરમિશન આપી દેવામાં આવશે અને આ સાથે અદાલતના તિરસ્કારની કાર્યવાહી પડતી મૂકવા અને કેસનો નિકાલ કરવા વિનંતી કરી હતી.
આથી કોર્ટે આ બાબત ધ્યાનમાં લીધી હતી. બીજી બાજુ એક આશ્ચર્યજનક ઘટનામાં તારીખ પાંચ મે રોજ કલેકટરો દ્વારા ખાનગી સિનિયર એડવોકેટ રોકવામાં આવ્યા હતા અને તેમના વતી તેઓ રજૂઆત કરવા આવતા કોર્ટે ભારે શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે, જ્યારે સરકારી અધિકારીઓ પોતાની સત્તાવાર ફરજ દરમિયાન કોઈપણ કામગીરી કરે છે ત્યારે રાજ્ય સરકારના અને તે પણ સૌથી ઉચ્ચ હોદ્દો ધરાવતા વકીલ એડવોકેટ જનરલ હાજર રહે છે ત્યારે શું તેઓ પોતાના વતી પેરવી કરવા માટે ખાનગી વકીલ રોકી શકે? શું આ બાબતે રાજ્ય સરકારની મંજૂરી લેવામાં આવી છે?
શું રાજ્ય સરકારે જ તેઓને મંજૂરી આપી છે ? આ બાબતે પ્રશ્નો ખડા કરીને કોર્ટે ભારે શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. બીજી બાજુ એડિશનલ ચીફ સેક્રેટરી જયંતિ રવિ ઓનલાઈન માધ્યમથી કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે પણ કેટલીક રજૂઆત કરી હતી તેનાથી અદાલત નારાજ થઈ હતી અને તારીખ 6 મે ના રોજ તેઓને રૂબરૂમાં હાજર રહેવાનું આદેશ કર્યો હતો.
આમ તારીખ છઠ્ઠી મે ના રોજ જયંતિ રવિ હાજર રહ્યા હતા અને તેમણે પણ કેટલીક રજૂઆત કરી હતી પરંતુ કોર્ટની નારાજગી શાંત થઈ નહોતી અને સતત એવા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા કે ખાનગી વકીલ રોકવાની જરૂર આ અધિકારીઓને કેમ પડી ? અને શું તેઓ એડવોકેટ જનરલની ઉપર વટ જઈ શકે છે?
અંતે ગત તા. 7 મેના રોજ હાઇકોર્ટ દ્વારા આદેશ પસાર કરવામાં આવ્યો હતો જેમાં બંને કલેક્ટરો સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહી પડતી મૂકવામાં આવી હતી પરંતુ તેમની વર્તણૂકની ગંભીર નોંધ લઈને રાજ્ય સરકારને નિર્દેશ કર્યો હતો કે અધિકારીઓ દ્વારા એડવોકેટ જનરલના ઓપિનિયન અને તેમના દ્વારા લેવા આવેલા સ્ટેન્ડ વિરુદ્ધ કોઈપણ અધિકારી જઈ શકે છે તે બાબતની રાજ્ય સરકારે નોંધ લઇ અને આ બાબતે વિચારણા કરવી જોઈએ.
બીજી બાજુ એડિશનલ ચીફ સેક્રેટરી દ્વારા માગવામાં આવેલી માફી પણ કોર્ટે સ્વીકારી હતી પરંતુ કહ્યું હતું કે તેણીના દ્વારા કોર્ટ ઉપર કેટલી શંકા કરવામાં આવી હતી તેમજ આ જ કેસને કેમ પ્રાયોરીટી આપવામાં આવે છે તેવા ઉચ્ચારણો કરવામાં આવ્યા હતા પરંતુ આ બાબતે કોર્ટ આગળ વધવા માગતી નથી અને ઉદાર મત ધરાવે છે.
પરંતુ એક વાત રાજ્ય સરકાર દ્વારા નક્કી થવી જોઈએ કે કોર્ટમાં હાજર થતા અધિકારીઓ માટે કોડ ઓફ કન્ડકટ નક્કી થવા જોઈએ અને આ બાબતે રાજ્ય સરકારે વિચારણા કરવી જોઈએ.
આ ઉપરાંત લેન્ડ રેવન્યુ કોડના કલમ 65 મુજબ અધિકારીઓને કેટલી સત્તા છે તે બાબતે પણ કોઈ નિર્ણય લેવો જોઈએ . ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ સુધી જસ્ટીસ નિખીલ કેરિયલ ની કોર્ટમાં લગલગાટ ચાલી હતી અને સરકાર અને તેના અધિકારીઓ સામે તેઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy