► કાર્યકર્તાઓ દ્વારા ગૃહમંત્રીને ખભ્ભે બેસાડીને નાચી અભિવાદન કર્યુ
રાજકોટ, તા. 21
નર્મદા જિલ્લામાં 29 માર્ચથી 27મી એપ્રિલ દરમિયાન એક મહિનો મા નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા દર વર્ષે યોજાય છે. આ પરિક્રમામાં મોડી રાત્રીએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આવ્યા હતા ત્યારે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને સંગઠન અગ્રણી નીલ રાવ દ્વારા ઉષ્મા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ગૃહરાજ્ય મંત્રી સંઘવીએ રણછોડરાય મંદિર ખાતે પૂજા-અર્ચના કરી નર્મદા પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. આ વેળાએ કાર્યકર ભાઈઓ બહેનો અને લોકો તેમની સાથે પરિક્રમામાં સહભાગી થઈને પગપાળા પરિક્રમા કરી હતી. માંગરોળ ખાતે સંગઠન દ્વારા શરૂ કરાયેલા વિસામા ખાતે તેમનું કાર્યકર્તા અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકડાયરો યોજાયો હતો.
જેમાં ગૃહ મંત્રીને કાર્યકર્તાઓએ ખભ્ભે બેસાડીને નચાવી અભિવાદન કર્યું હતું અને ગૃહ મંત્રીએ કલાકારો અને સેવકોની સેવાને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા. પરિક્રમાના આગલા ચરણમાં શહેરાવ ઘાટ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવીએ પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા અને મંત્રીએ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઊભી કરાયેલ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને શહેરાવ ઘાટ ખાતે હંગામી પુલ બનાવ્યો છે તેના પરથી નર્મદા નદી પાર કરી હતી.
આગળની પરિક્રમા દરમિયાન તેમણે મણિનાગેશ્વર મંદિર, કપિલેશ્વર મહાદેવ અને નંદીઘાટ તેમજ રેંગણ ઘાટ પરથી નાવડીમાં બેસીને નદી પાર કરી હતી. રામપુરા ઘાટ ખાતે મંત્રી આવી પહોંચતા જિલ્લા કલેકટર એસ. કે. મોદી દ્વારા ગૃહ મંત્રીનું સુપ્રભાતે પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું અને ગૃહ મંત્રીએ નર્મદા મૈયાના દર્શન કરી નર્મદા મૈયાનું આચમન કર્યું હતું અને રણછોડરાય મંદિરે પરત આવી દર્શન કર્યા હતા.
માંગરોળ ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, આજે મને મા નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. મા નર્મદાના ચરણોમાં વંદન કરીને રાજ્યના બધા જ નાગરિકોની સુખાકારી સુરક્ષા અને વિકાસની મનોકામના કરું છું. ચારે દિશામાં હજારો ભક્તોના મુખમાંથી એક જ નારો ગુંજી રહ્યો છે, નમામી દેવી નર્મદે એમ કહેવાય છે કે આ પરિક્રમા અનેક ભક્તોના પાપ દૂર કરે છે.
પરિક્રમાએ આ વર્ષે વર્ષોવર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં અને શુક્ર-શનિ-રવિ બે અઠવાડિયામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પરિક્રમા માટે અહીં પધાર્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, 20મી એપ્રિલના રોજ સાંજે 6 કલાકથી સવારના 6 કલાક દરમિયાન 12,885 લોકોએ પરિક્રમા કરી છે અને કુલ 7,20,102 લોકોએ પરિક્રમા કરી છે. ગૃહરાજ્ય મંત્રીનું ચાર ઘાટ પર નોડલ અધિકારી દ્વારા સ્વાગત અને પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ વિશે મંત્રીને માહિતગાર કર્યા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy