♣સોમનાથએ નિર્વાણની ભૂમિ છે, ભગવાન શ્રીકૃષ્ણએ ભાલકા તીર્થમાં લીલા પુરી કરી
♣રામાયણના કાળમાં બહુમતી પ્રાધાન્ય ન હતી પરંતુ સર્વમતી પ્રાધાન્ય ધરાવતી હતી
♣રામ અને ભરત વચ્ચે અયોધ્યાની ગાદી છોડવાની હરીફાઇ હતી આજે ગાદી મેળવવા કાવાદાવા થઇ રહ્યાં છે
રાજકોટ, તા. 25
સોમનાથમાં કુહાડા પરિવાર દ્વારા સાગર દર્શન હોલમાં કાલ ભૈરવ મંદિર (પાલીતાણા)ના મહંત, સુપ્રસિધ્ધ કથાકાર પૂ. શ્રી રમેશભાઇ શુકલની 677મી રામકથા-માનસ વંદેમારતમનો ગઇકાલથી પ્રારંભ થયો છે.
કથાકાર પૂ. રમેશભાઇ શુકલએ રામકથામાં જણાવ્યું કે ધરતીના ગોળા ઉપર રામકથા હતી જ નહિ ત્યારે શ્રી વાલ્મિકી ઋષિએ પ્રથમ રામકથાની રચના કરી પરંતુ એ કથા સંસ્કૃતમાં લખાયેલી હતી જેની 24 હજાર શ્લોક છે આ કથા લોકોના હૃદય સુધી ન પહોંચી શકતા શ્રી વાલ્મિકી ઋષિએ સંવત 1પપ4માં શ્રાવણ સુદ 7ના બીજો જન્મ આત્મારામ દુબેના કુળમાં થયો તેમણે તુલસીદાસ નામ ધારણ કર્યુ, શિવજીના આદેશથી તેમણે હિન્દી ભાષામાં રામકથા લખી.
તેમણે કથા દરમ્યાન જણાવ્યું કે જે ઘરમાં તારૂ તારૂ આવે ત્યાં રામાયણ છે ભરતજી એક કહે પ્રભુ ગાદી તમારી છે શ્રી રામજી કહે ભરત ગાદી તારી છે, શ્રી રામ અને ભરતની વચ્ચે અયોધ્યાની ગાદી ઝોલા ખાતે કોઇ લેવા તૈયાર નહોતું ગાદી છોડવાની હરીફાઇ હતી આજે લોકો ગાદી લેવા માટે દોડે છે.
રામાયણ કાળમાં બહુમતી પ્રધાન્ય ન હતી, સર્વમતી પ્રધાન્ય હતી. એકમત શાસન વિરૂધ્ધ જાય તો ગાદી ન સ્વીકારે. શ્રીરામ અને કૈકેયી માતાની ચુંટણી કરી હોય તો શ્રી રામ જ જીતે કૈકેયી માતાને ત્રણ મત મળે એક તો એનો પોતાનો. બીજો શ્રી રામ એને મા તરીકે મત આપે. ત્રીજો એમના ગુરૂ મંથરાનો મત મળે. ડીપોજીટ ચાલી જાય.
ભગવાન શંકર પરમ વૈષ્ણવ છે. ભાગવત કથાના પ્રધાન વકતા પણ એ છે. રામકથાના પ્રધાન વકતા પણ એ છે. કતા સંખ્યા કરતા એકાગ્રતાની જરૂર છે. આપણે કથામાં બેસીએ છીએ પણ કથા આપણામાં બેસતી નથી. બાદશાહ ઔંરગઝેબનો ત્રાસ થયો ત્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું પ્રાગટય થયું. આ દેશમાં સનાતન ધર્મ માયે આચાર્યોનું ઘણું પ્રદાન છે. શ્રી શંકરાચાર્યજી શ્રી રામાનંદાચાર્યજી વગેરે.
શ્રી સોમનાથ એ નિર્વાણની ભૂમિ છે. ભગવાન કૃષ્ણ જુમ્યા મથુરામાં. મોટા થયા ગોકુળમાં અને 100 વર્ષ દ્વારકામાં વિતાવ્યા અને છેલ્લે પ્રભાસ સોમનાથના ભાલકા તીર્થમાં લીલા પુરી કરી.સોમનાથ માટે ઘણા બલીદાન દેવાયા છે. વિર હમીરજીથી માંડી ભીલ સમાજ વેગડાજી ખારવા સમાજ, આહીર સમાજ એમ ઘણા બધા સમાજના લોકોએ શહીદી વહોરી છે.
લાખો સલામ ઉનકો જો મરકે જી ગયા, સરદાર પટેલ ન હોત તો સોમનાથ મંદિરનું નિર્માણ ન થયું હોત. વ્યાસપીઠ પરથી એ મહાપુરૂષને લાખો મારા પ્રણામ. સોમનાથમાં હું કતા કરવા નથી આવ્યો. હું સરદારજીને ચિરાંજલી આપવા આવ્યો છે.કથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. કથા દરમ્યાન વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવનાર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy