ભુજ,તા.25
જમ્મુ-કાશ્મીરના પહેલગાંવમાં પર્યટકો પર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓના હુમલા બાદ, ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ભૂમિ અને જળ સરહદે ભારે તંગદિલી પ્રવર્તી રહી છે અને રણપ્રદેશ કચ્છના સીમાડાના ગામોમાં સેનાના વાહનોની અવર-જવર વધી રહી છે.
જેને લઈને લોકો લગભગ સ્પષ્ટપણે માની રહ્યા છે કે, આ વખતે એક ખાસ વિસ્તારમાં યુદ્ધ થઇ શકે છે અને જે રીતે ઝડપભેર પરિસ્થિતિ બદલી રહી છે તે જોતાં આ ખાસ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર અને રાજ્યના પશ્ચિમી વિસ્તારને પખાળતા અરબી સમુદ્રનો સમાવેશ થાય છે.
આ ધારણા મુજબ અરબ સાગરમાં અત્યારથી જ જાણે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને તેથી જ તો ભારતીય નૌ સેનાના નવનિર્મિત યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રાંતને કચ્છની જળ સીમાના દરિયામાં મોકલી દેવાયું છે.
આ આઈએનએસ વિક્રાંતમાં મિગ-29 વિમાનો અને અનેક હેલીકોપટર પણ તૈનાત છે. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાન બંને દ્વારા સરફેસ ટૂ સરફેસ મિસાઈલ્સના પરીક્ષણ કરાયાં છે.
પાકિસ્તાને તેના એરોસ્પેસ પરથી, ભારતમાં પંજીકૃત થયેલાં વિમાનો કે લીઝ પર ચલાવાતા વિમાનોના ઉડ્યન પર રોક લગાવી છે અને તેના એરોસ્પેસ પર રોક લગાવતાં કચ્છના આકાશ પરથી ઉડ્યન ભરી રહેલાં સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય ઉડ્યનોના માર્ગ બદલાવી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં એફ.આઈ.આર કરાંચી અને એફ.આઈ.આર લાહોર તેમજ બલુચિસ્તાન અને ખૈબર વિસ્તારમાં ત્રણ જુદા-જુદા એરોસ્પેસ છે. કચ્છની સીમાને લાગે વળગે છે ત્યાં સુધી એફ.આઈ.આર કરાંચીનો હવાઇ માર્ગ ઉત્તર અમેરિકા, યુ.કે, યુરોપ, મધ્ય અને પશ્ચિમ એશિયાના દેશો તરફ, આંતરરાષ્ટ્રીય ઉડ્યનો માટે કરવામાં આવે છે.
એરોસ્પેશ એફ.આઈ.આર કરાંચીની ઉત્તરે લાહોર, પૂર્વમાં દિલ્હી, દક્ષિણમાં મસ્ક્ત અને પશ્ચિમમાં તહેરાનના એરોસ્પેસ આવેલાં છે. અખાતી દેશો તરફ જતા મોટાભાગના વિમાનો આ રુટ પરથી પસાર થાય છે તેને લઈને ભારતીય વિમાની કંપનીઓએ આ હવાઈ માર્ગ પરના ઉડ્યનોને અન્ય માર્ગે વાળી દીધા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy