અમદાવાદ,તા.19
પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર થયેલા અત્યાચાર અને હિંદુઓની હત્યા મામલે આજેે અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા વિરોધપ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સવારથી અહીં લોકો ભેગા થયા હતા અને મમતા બેનર્જીની પશ્ચિમ બંગાળ વિશેની વિચારધારા વિશે વિરોધપ્રદર્શન કર્યું હતું.
આ સમગ્ર આંદોલન અને સૂત્રોચ્ચાર વચ્ચે અચાનક વિહિપ દ્વારા મમતા બેનર્જીનું પૂતળું લાવીને બાળી દેવામાં આવ્યું હતું. આ સમયે પોલીસ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ થયું હતું. હાલ આ કાર્યક્રમમાં ભેગા થયેલા લોકોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતાં.
બીજી તરફ વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે પોસ્ટરો અને બેનરો સાથે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાની માગ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા અને મમતા સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ રેલીને કારણે માર્ગો પર ઠેર-ઠેર ટ્રાફિકજામ થઈ ગયો હતો.
એ બાદ રેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચી હતી અને કાર્યકરોએ રામધૂન અને હનુમાન ચાલીસા અને જય શ્રીરામના ગગનભેદી નારા લગાવ્યા હતા. કાર્યકરોએ કલેક્ટર કચેરી રામધૂન સાથે પશ્ચિમ બંગાળ સરકારવિરોધી સૂત્રોચ્ચાર કરીને ગજવી દીધી હતી.
પોલીસ-બંદોબસ્ત વચ્ચે જિલ્લા કલેક્ટરને વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિશાસન લગાવવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં વક્ફ બોર્ડ બિલના વિરોધમાં ફાટી નીકળેલાં તોફાનોમાં હિંદુઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, એને હિન્દુ સંગઠનો દ્વારા સાખી લેવામાં આવશે નહીં. વહેલી તકે હિંદુઓ પરનો અત્યાચાર બંધ કરવામાં નહીં આવે તો સમગ્ર દેશમાં વિરોધ ફાટી નીકળશે એવી ચીમકી ઉચ્ચારી હતી.
જોકે વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી વિષ્ણુ પ્રજાપતિને મણિપુરમાં ચાલી રહેલાં તોફાનોમાં હિન્દુઓ પર ગુજારવામાં આવી રહેલા અત્યાચાર અંગે ટઇંઙ સહિત હિંદુ સંગઠનો કેમ આગળ આવતાં નથી, એવા સવાલના જવાબમાં તેમણે ગોળ ગોળ જવાબ આપતાં જણાવ્યું હતું કે, મણિપુરમાં ફાટી નીકળેલાં તોફાનો માટે કેન્દ્ર સરકારે કાર્યવાહી કરવાની છે, જેમાં વિશ્વ હિન્દુ પરિષદને કંઈ લાગતુંવળગતું નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy