રાજકોટ તા.9
રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી પડેલી વેપારી પેઢીમાં કમીશન એજન્ટોનાં ફસાયેલા રૂા.17.19 કરોડ રૂપિયા કઢાવવા દબાણ લાવવા આજે સતત ત્રીજા દિવસે યાર્ડ બંધ રહ્યું હતું અને કરોડો રૂપિયાનું ટર્નઓવર ખોરવાયું હતું.
કાચી પડેલી પેઢીના વેપારી હાજર ન થાય અને ચુકવવાની બાહેંધરી ન આપે ત્યાં સુધી હરરાજી સહીતની કામગીરી બંધ રાખવાનું એલાન કમીશન એજન્ટ એસોસીએશને કર્યુ હતું અને તે અંતર્ગત આજે ત્રીજા દિવસે પણ કોઈ કામકાજ શકય બન્યા ન હતા. કૃષિક્ષેત્રે હાલ ઘઉં, ચણા, તુવેર, ધાણાજીરૂ, રાયડો સહીતની જણસીઓની સિઝન છે તેવા સમયે ખેડુતોનાં માલનુ વેચાણ બંધ હોવાનો ગણગણાટ છે.
કમીશન એજન્ટોએ આ મામલે પોલીસમાં પણ રજુઆત કરી છે જે.કે.કંપનીનાં બીપીન ઢોલરીયા ન પકડાય અથવા હાજર ન થાય અથવા પેમેન્ટની બાહેંધરી ન મળે ત્યાં સુધી કામકાજમાં સામેલ નહિં થવાનો લડાયક મૂડ દર્શાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યાર્ડની વર્ષો જુની પેઢી જીરૂના ભાવની ઉથલપાથલથી ખોટના ખાડામાં ઉતરી ગઈ હતી. 145 કમીશન એજન્ટોનું 17.19 કરોડનું ટર્નઓવર કર્યા વિના જ સંચાલક ફરાર થઈ ગયા હતા.
આ મામલે યાર્ડનાં ચેરમેન જયેશ બોઘરાનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે કમીશન એજન્ટોને વિશ્ર્વાસમાં લઈને વહેલીતકે કામકાજ શરૂ થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મામલો પોલીસમાં પણ પહોંચી જ ગયો ત્યારે વેપારી તૂર્તમાં હાથમાં આવી જશે તેવી આશા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy