♦ 130 પરિવારોને નોટીસ આપ્યા બાદ દબાણ હટાવવા જેસીબી દોડાવાયા: ઉનાળાની ગરમીમાં અનેક પરિવારો રોડ પર આવી ગયા: વૈકલ્પિક આશ્રયની માંગ
જુનાગઢ,તા.30
કાશ્મીરની આતંકવાદી ઘટના બાદ ગુજરાત રાજયમાં ઘુસણખોરી કરનાર બાંગ્લાદેશીઓ અને ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા માથાભારે તત્વોએ કરેલી પેશકદમીના પગલે સમગ્ર રાજયમાં ચાલી રહેલા ડિમોલીશનના પગલે આજે જુનાગઢમાં ઉપરકોટના વિકાસ માટે વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ મેગા ડિમોલીશન હાથ ધરી અનેક મકાનો-ઝુંપડાઓ પર બુલડોઝર ફેરવી જમીન ખુલ્લી કરાવી હતી.
જુનાગઢમાં ઉપરકોટ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આજે વહીવટી તંત્ર દ્વારા ધારગઢ દરવાજા રોડ પર મેગા ડિમોલીશન હાથ ધરી 135થી વધુ મકાનો, નાના મોટા ઝુંપડાઓ 10 જેટલા જેસીબીની મદદથી હટાવી વર્ષોથી ગેરકાયદે દબાણ કરનારા 59થી વધુ મકાનોનું દબાણ દુર કરી સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.
જુનાગઢમાં આજે વહેલી સવારથી વહીવટી તંત્ર દ્વારા 10 જેસીબી સહિતના વાહનો સાથે ત્રણ ડીવાયએસપી, નવ પીઆઈ, 26 પીએસઆઈ 260થી વધુ પોલીસ તહિત 300થી વધુના સ્ટાફ સાથે ઉપરકોટનાં ધારગઢ વિસ્તારને કોર્ડન કરી મેગા ડિમોલીશન શરૂ થયા બાદ 59 જેટલા ગેરકાયદે મકાનો, ઝુંપડાઓ પર જેસીબી ફેરવી દેવાયું હતું.
કલેકટર અને કમિશ્ર્નરના માર્ગદર્શન હેઠળ 60થી વધુ વહીવટી વિભાગના સ્ટાફ પણ સ્ટેન્ડ બાય રહ્યે હતો. ઉપરકોટ વિસ્તારના ધારગઢ વિસ્તારમાં ગેરકાયદે દબાણ કરનારા 130થી વધુ પરિવારોને થોડા સમય પૂર્વે જ નોટીસ આપી હતી. ત્યારબાદ આજે પોલીસ દળની સુરક્ષા સાથે મેગા ડિમોલીશન શરૂ થતા અનેક મકાનો ઝુપડાઓને હટાવી દબાણો દુર કરાયા હતા.
ઉનાળાની ગરમીમાં અનેક પરીવારો રોડ પર આવી ગયા હતા. વહીવટી તંત્રએ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જગ્યા ખાલી કરાવતા અનેક પરિવારો બેઘર બન્યા છે. આજે વહેલી પરોઢથી મેગા ડિમોલીશન હાથ ધરાતા અનેક પરિવારો ફફડી ઉઠયા હતા. સવારથી જ બુલડોઝરની ઘરરાટી ગુંજી ઉઠી હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ તેમને માત્ર પાંચ દિવસની નોટીસ આપવામાં આવી હતી. આ વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી વસવાટ કરતા નઝમાબેન પઠાણે જણાવ્યું કે તેઓ રોજની મજૂરીથી જીવન નિર્વાણ કરે છે. હવે તેમની પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી અને ભાડે પણ મકાન મળતું નથી.
સ્થાનિક રહેવાસી ઈદરીશ પટ્ટીએ આક્ષેપ કર્યો કે શહેરમાં 135 બિલ્ડરોના ગેરકાયદેસર બાંધકામો સામે નોટીસ આપવામાં આવી છે. પરંતુ તેમની વિરૂધ્ધ કોઈ કાર્યવાહી થતી નથી.
માત્ર ગરીબ લોકોના મકાનો જ તોડવામાં આવે છે. રૂકસાનાબેન થાયમે જણાવ્યું કે તેમની નાની દીકરીઓ છે અને હવે તેમને રહેવા માટે કોઈ સ્થળ નથી. સરકાર બેટી બચાવોની વાત કરે છે પરંતુ તેમને જીવન જીવવાનો અધિકાર પણ મળતો નથી. વૈકલ્પીક જગ્યા ફાળવવા માંગણી ઉઠાવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy