રાજકોટ,તા.21
કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધીની વધતી લોકપ્રિયતા અને તાકાતથી ફફડેલી કેન્દ્રની ભાજપ સરકારે નેશનલ હેરાલ્ડ કેસ ઉભો કર્યો છે. પાર્ટી તથા પક્ષના નતાઓને દબાવી દેવાનું રાજકીય ષડયંત્ર છે છતાં કોંગ્રેસ ઝુકશે નહી અને કાનૂની સહિતની લોકલડત જારી રાખશે તેમ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા નિવૃત વિગ કમાન્ડર અનુમા આચાર્યએ રચ્યુ હતું.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીનુ નામ નેશનલ હેરાલ્ડ કેસમાં રાજકીય ઈશારે ઘુસાડવામાં આવ્યુ છે. વાસ્તવમાં નેશનલ હેરાલ્ડ કેસમાં કોઈ નાણાંકીય ગેરરીતિ કે મની લોન્ડરીંગ છે જ નહીં, કોઈ કેસ જ બનતો નથી છતાં કેન્દ્ર સરકારનો હાથો બનીને એનફોર્સમેન્ટ ડીરેકટર કાર્યવાહી કરી રહી છે અને તેને ખોટો ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
‘સાંજ સમાચાર’ની રૂબરૂ મુલાકાતે આવેલા અનુમા આચાર્યએ કહ્યું કે, નેશનલ હેરાલ્ડ કેસનું સત્ય જાહેર કરવા માટે દેશભરમાં ત્રણ દિવસમાં 57 સ્થળોએ પાર્ટી દ્વારા વાસ્તવિકતા દર્શાવવાના કાર્યક્રમો નકકી કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં રાજકોટ સહિત પાંચ સ્થળોએ આ કાર્યક્રમ છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે સરકારની નિષ્ફળતા છુપાવવા તથા કોંગ્રેસ અને તેના નેતાઓને બદનામ કરવાના એકમાત્ર ઉદેશ સાથે સરકારી એજન્સીઓને હાથો બનાવીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તેઓએ કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસે તાજેતરમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાયુ હતુ તેની સફળતાથી ફફડેલા ભાજપે ઈડીને પાર્ટી નેતાઓ પાછળ છોડી દીધી છે. ઈડીએ પેશ કરેલુ ચાર્જશીટ માત્ર રાજયના ષડયંત્રનો જ ભાગ છે. ભાજપ સરકાર ગાંધી પરિવારના તમામ સભ્યોને નિશાન બનાવી રહી છે.
આઘાતજનક બાબત એ છે કે, નેશનલ હેરાલ્ડમાં એક પૈસો કે સંપતિ હસ્તાંતરિત થઈ નથી છતાં મની લોન્ડરીંગ દર્શાવવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં સરવૈયાને દેવામુક્ત બનાવવા ઈકવીટીમાં રૂપાંતર કરાયુ હતું અને આ એક કાયદેસરની પ્રક્રિયા છે.
મોદી સરકારે એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટને પોતાનું ચુંટણી મંત્રાલય બનાવી લીધુ છે અને રાજકીય વેર વાળવા માટે દુરુપયોગ કરે છે. એનફોર્સમેન્ટ ડીરેકટોરેટના કેસોમાં અત્યાર સુધીમાં સફળતા દર માત્ર એક ટકા જ છે તેના પરથી જ તેના ખોટા ઉપયોગની સાબીતી મળી જાય છે એટલું જ નહીં, ઈડીના રાજકીય કેસમાં 98.2 ટકા વિપક્ષી નેતાઓ સામે છે.
ગાંધી પરિવારને દબાવવા મોદી સરકાર ગમે તેટલા રાજકીય ષડયંત્ર બનાવે તો પણ દેશના લોકો હંમેશા તેમની સાથે જ છે. મોદી રાજમાં વિપક્ષ પર ખતરનાક હુમલા કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન તથા ગૃહમંત્રી દ્વારા ધમકીનું જ રાજકારણ છે અને બદલાના રાજકારણનુ આ સૌથી ખરાબ સ્વરૂપ છે છતાં કોંગ્રેસ ઝુકશે નહીં. ભાજપ ખુદ ભયભીત હોવાથી કોંગ્રેસને ડરાવવાનો પ્રયાસ કરે છે.
ટુજી સ્પેકટ્રમ, કોમનવેલ્થ ગેમ્સના ખોટા કૌભાંડ ચગાવીને સતા પર આવેલી ભાજપે શાસન મેળવવા માટે આવા કારસા કર્યા છે. ભુતકાળના કૌભાંડ પુરવાર થયા છે. નેશનલ હેરાલ્ડ કેસમાં પણ સમાન સ્થિતિ સર્જાશે.
રૂચિ સોયા-વોડાફોનમાં સરકારે શું કર્યુ હતું ?
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતાએ ગુજરાતની રૂચિ સોયા તથા વોડાફોનનો મુદ્દો ઉઠાવતા તેઓએ કહ્યું કે નેશનલ હેરાલ્ડ દેેણામાં ડુબેલી હતી. વસુલાત શકય નહતું એટલે દેણાને ઇકવીટીમાં રૂપાંતરિકત કરીને કંપનીને પુર્નજીવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. નાદારી પ્રક્રિયા માટે ભારત સહિત દુનિયાભરમાં નિયમો છે.
ભુતકાળમાં પણ આ પ્રકારની પ્રક્રિયા થઇ છે. રૂચિ સોયામાં પણ દેણુ માફ કરી દેવામાં આવ્યુ હતું અને પછી બાબા રામદેવની કંપની પતંજલીએ તેની ખરીદી કરી લીધી હતી. આ જ રીતે મોદી સરકારે વોડાફોનના 36000 કરોડ માફ કરી દીધા હતા અને સરકારનો હિસ્સો રર.6 ટકાથી વધારીને 48.99 ટકા કરી નાખ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy