નવી દિલ્હી, તા.2
દેશમાં જાતિ આધારીત વસ્તી ગણતરીની માંગણીનો કેન્દ્ર સરકારે સ્વીકાર કરી લીધા બાદ ઉત્સાહમાં આવેલી કોંગ્રેસે હવે નવો એજન્ડા નકકી કર્યો હોય તેમ અનામતની 50 ટકાની મર્યાદા રદ્દ કરવા માટે બંધારણીય સુધારો કરવા ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ અનામત લાગુ કરવાની માંગ ઉઠાવી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જાહેર કર્યુ છે કે, કોંગ્રેસ હવે ખાનગી ક્ષેત્રમાં પણ અનુ.જાતિ, જનજાતિ તથા પછાત વર્ગને અનામત અપાવવા માટે લડત માંડશે ઉપરાંત 50 ટકા અનામત મર્યાદા દુર કરવા માટે પણ પ્રક્રિયા કરવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી ઉઠાવશે.
તેમણે કહ્યું કે, અદાણી અને અંબાણી જેવા ધનવાનોને ફાયદો કરાવવા માટે કોંગ્રેસ સરકાર જાહેર ક્ષેત્રની કંપનીઓને બંધ કરી રહી છે અથવા નબળી પાડી રહી છે. આ સંજોગોમાં રોજગારી કયાં છે તેવો સવાલ ઉઠાવીને રોજગારી ઘટી રહ્યાનો દાવો કર્યો હતો. બેન્કો તથા રેલ્વેમાં પણ રોજગારીની તકો ઓછી હોવાનો દાવો કરીને ખાનગી ક્ષેત્રમાં પણ પછાત વર્ગ માટે અનામત દાખલ કરવાની માંગણી છે.
હુબલીમાં સંવિધાન બચાવો રેલી તથા મોંઘવારી સામેના આંદોલન કાર્યક્રમમાં બોલતા મલ્લિકાર્જુન ખડગેએ એવી માંગણી કરી હતી કે તમિલનાડુની જેમ અન્ય રાજયોને પણ અનામતની મર્યાદા 50 ટકાથી વધારવાની મંજુરી આપવી જોઇએ. સ્થાનિક રાજય સરકાર આ માટે તૈયાર છે. કેન્દ્ર સરકાર અવરોધ સર્જી રહી છે.
કેન્દ્ર સરકારે જાતિ આધારીત મત ગણતરી યોજવાનું જાહેર કર્યુ છે પરંતુ તેના દ્વારા ત્રણ મહિનામાં વસ્તી ગણતરી શરૂ કરવામાં ન આવે તો નિરર્થક બની જવાનો આક્ષેપ કરતા તેઓએ જણાવ્યું હતું કે વાસ્તવમાં 2021માં વસ્તી ગણતરી કરવાની હતી પરંતુ મોદી સરકારે તે પ્રક્રિયા હાથ ધરી ન હતી. જાતિ આધારીત વસ્તી ગણતરીથી લોકોની માથાદીઠ આવક અને વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર સાબિત થાય તેમ હોવાથી તેમાં ઢીલ કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે, મે અને રાહુલ ગાંધીએ જાતિ આધારીત વસ્તી ગણતરીની માંગ કરી હતી. બે વર્ષ પૂર્વે વડાપ્રધાનને પત્ર પણ લખ્યો હતો. લોકોનું દબાણ શરૂ થવા સાથે કોંગ્રેસે ઠેકઠેકાણે રેલી પણ કરી હતી અને કોંગ્રેસના દબાણ સામે કેન્દ્ર સરકારે છેવટે ઝુકવું પડયું છે.
સરકારે અગાઉ જ આ વાત કેમ સ્વીકારી ન હતી. તે વખતે સરકાર કોંગ્રેસની ટીકા કરી હતી. કોંગ્રેસના એજન્ડામાં કુલ ત્રણ મુદા છે જેમાં જાતિ આધારીત વસ્તી ગણતરીની માંગનો સ્વીકાર થઇ ગયો છે હવે ખાનગી સંસ્થાઓમાં અનામત તથા અનામતની મર્યાદા 50 ટકાથી વધારવાની માંગણી મુદે લડત માંડવામાં આવશે.
પહેલગામ ત્રાસવાદી હુમલા વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા તેઓએ જણાવ્યું હતું કે કટોકટી કાળમાં એકતા જ સર્વોપરી છે. સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસે સંસદમાં ખાસ સત્રની માંગણી કરી હતી અને હુમલાના જવાબદારો તથા હુમલો રોકવામાં નિષ્ફળતાના જવાબ આપવા માંગ કરી હતી.
તેમણે આક્ષેપ કર્યો કે આઝાદીની લડાઇમાં ભાજપ કે આરએસએસની કોઇ ભૂમિકા ન હતી. તેઓએ તો બ્રિટીશરોનું સમર્થન કર્યુ હતું. કોંગ્રેસને રાષ્ટ્ર ભકિતના પાઠ ભણાવવાની કોઇ જરૂર નથી.
મોદી સરકાર ઇડી, ઇન્કમ ટેકસ સહિત સરકારી એજન્સીઓનો રાજકીય ઉપયોગ કરીને લોકોના અધિકારીઓ દબાવી રહી છે પરંતુ કોંગ્રેસ દબાવવાની નથી અને સરકાર સામે પૂરી તાકાતથી લડત ચલાવશે. બંધારણનું રક્ષણ કરવાની ફરજ પાડશે. મોંઘવારી મામલે પણ તેઓએ મોદી સરકારની ટીકા કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy