અક્ષર તૃતિયાના ભગવાન વિષ્ણુએ પરશુરામનો અવતાર ધારણ કર્યો હતો. વૈશાખ સુદ ત્રીજનું સર્વ સિધ્ધ મુહૂર્તના રૂપમાં પણ વિશેષ મહત્વ છે. તેને અખાત્રીજના રૂપે જાણવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આ દિવસે આપવામાં આવેલું દાન-પુણ્ય અક્ષય ફળ આપે છે. ધ્યાન ખેંચનારી વાત એ છે કે આ દિવસે કરવામાં આવતા ખોટા કે અનૈતિક કાર્યો પણ અક્ષય થાય છે. જેનું ફળ અનુપાતમાં અનંતકાળ સુધી મળે છે.
આ દિવસે પિતૃઓને કરવામાં આવતું તર્પણ, પિંડદાન તથા ગંગાસ્નાન કરવું તે અક્ષય ફળ પ્રદાન કરે છે. અક્ષર તૃતિયાના દિવસે જળથી ભરેલો ઘડો, છત્રી, ખાદ્ય સામગ્રી તથા ઋતુના ફળનું દાન કરવું પુણ્યકારી માનવામાં આવે છે.
સતયુગ અને ત્રેતાયુગનો આરંભ આ તિથિએ થયો હતો. ભગવાન વિષ્ણુનું નર-નારાયણ અને હ્યગ્રીવ અવતાર પણ આ તિથિએ થયો હતો. બ્રહ્માના પુત્ર અક્ષયકુમારનો જન્મ પણ આ દિવસે જ થયો હતો. ચારધામનું પ્રસિધ્ધ તીર્થ સ્થળ શ્રી યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ પણ આ દિવસે ખુલે છે. વૃંદાવન સ્થિત શ્રી બાંકે બિહારી મંદિરમાં પણ માત્ર આ દિવસે જ શ્રી વિગ્રહના ચરણ દર્શન થાય છે.
નારદ પુરાણ અનુસાર ગંગાનું અવતરણ પણ આ દિવસે થયું હતું ધનના દેવતા કુબેરને આ દિવસે જ કોષાધ્યક્ષ બનાવાયા હતા. શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર સુદામાનું કૃષ્ણ સાથેનું મિલન પણ આ દિવસે થયું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ આ દિવસે જ ચીરહરણના સમયે દ્રૌપદીનો પોકાર સાંભળીને તેની રક્ષા કરી હતી.
આ દિવસે પાંડવોને વનવાસ દરમ્યાન સુર્ય ભગવાને યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપેલ હતું. અક્ષર તૃતિયાના દિવસે જ મહર્ષિ વેદવ્યાસે ગણેશજીને મહાભારત લખાવવાનું શરૂ કરેલ હતું. એક માન્યતા અનુસાર આદિ શંકરાચાર્યજીએ આ દિવસે કનકધારા સ્તોત્રની રચના કરી હતી. ભગવાન જગન્નાથના રથોના નિર્માણની કામગીરી આજના દિવસથી શરૂ થાય છે.
આ દિવસે જૈન ધર્મના વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર ભગવંત શ્રી ઋષભદેવ ભગવાને એક વર્ષની તપસ્યા પૂર્ણ કયા બાદ ઇક્ષુ(શેરડીનો રસ) રસથી પારણુ કર્યુ હતું. આ કારણે જૈન ધર્મમાં આ દિવસને ઇક્ષુ તૃતિયાના નામથી મનાવવામાં આવે છે વર્તમાનમાં જૈન સમાજમાં જે કોઇએ વર્ષીતપની આરાધના કરી હોય તેઓના તપની પુર્ણાહુતિ થાય છે અને પારણા કરે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy