પહેલગામ આતંકી હુમલા સામે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આક્રોશ : ઠેર ઠેર રેલી-વિરોધ

Saurashtra | Rajkot | 26 April, 2025 | 11:04 AM
ભાણવડમાં રેલી સાથે આવેદનપત્ર પાઠવાયું : વેરાવળ મુસ્લિમ સમાજમાં વિરોધ : સાવરકુંડલા મુસ્લિમ સમાજે કડક કાર્યવાહીની માંગ કરી : બોટાદ જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા કલેકટરને આવેદન : ફલ્લામાં આંતકવાદીના પુતળાનું દહન કરાયું
સાંજ સમાચાર

રાજકોટ, તા. 26
કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓએ કરેલી હિન્દુઓની હત્યાના મામલે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વિવિધ સંસ્થાઓ, સમાજ તથા મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.

રાજકોટમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ તથા શ્રધ્ધાંજલીના કાર્યક્રમો યોજીને પહેલગામ આતંકી ઘટનાને વખોડી હતી અને કેન્દ્ર સરકાર સખ્ત પગલા ભરે તેવા ઉચ્ચારો કર્યા હતા.

વિસાવદર
જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં તાજેતરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા દિવંગત આત્માઓના દિવ્ય કલ્યાણ અર્થે જ્યારે સમગ્ર દેશમાં શોકમાં ગરકાવ થયેલ છે અને દરેક જગ્યાએ દેશવાસીઓ દ્વારા શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી છે ત્યારે ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર તરફથી એક શોકસભાનું આયોજન રામજીમદિર ચોકમાં બે મિનિટનું મૌન પાળી આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોના આત્માના કલ્યાણ અર્થે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવેલ હતી જેમાં વિસાવદર શહેરના લોકોએ હાજરી આપેલ હતી.

ભાણવડ
કાશ્મીરનાં પહેલગામમાં ત્રાસવાદીઓએ અંધાધુંધ ફાયરીંગ કરી 26 જેટલા હિન્દુ લોકોની હત્યા નિપજાવતા ભાણવડ તાલુકામાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. બનાવને વખોડવા માટે ભાણવડ તાલુકા સમસ્ત હિન્દુ સમાજ અને બજરંગ દળે વિશાળ બાઇક રેલી કાઢી ત્રાસવાદીઓ સામે કડક કાર્યવાહી કરવા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

કાશ્મીરમાં ત્રાસવાદી હુમલા સામે ભાણવડમાં હિન્દુ સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. સાંજે પાંચ કલાકે વેરાડ ગેઇટ બહાર ખોડીયાર ચોકમાં તાલુકામાંથી હિન્દુ લોકો હજારોની સંખ્યામાં એકઠા થયા હતા નકકી કરેલા આયોજન મુજબ બાઇક રેલીનો પ્રારંભ કરાયો હતો.

બાઇક રેલી આઝાદ ચોક, ગાંધી ચોક, રણજીતપરા, વિકાસ રોડને આવરી લીધી હતી રસ્તામાં લોકોએ પાકિસ્તાન મુર્દાબાદ અને ત્રાસવાદ હાય હાયના પ્રચંડ નારા લગાવ્યા હતા. સમગ્ર વાતાવરણ હીંચકારા હુમલાથી શોકમય બની ગયું હતું.રેલી સેવા સદન ખાતે આવી પહોંચતા જયાં મામલતદારને રોષ વ્યકત કરતું આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગી કરી હતી.

વેરાવળ
ગીર સોમનાથ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અને ગ્રામ્ય મુસ્લીમ સમાજના પ્રમુખ મહમદભાઇ તવાણી સહીતના દ્વારા કાશ્મીરમાં થયેલ હુમલાને વખોડી કાઢી કડક કાર્યવાહીની માંગ કરી છે.

કાશ્મીરની દુ:ખદ ઘટના મામલે ગીર સોમનાથ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના હોદેદારો સહિતના આગેવાનોએ આ હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આ બનાવમાં સંડોવાયેલા ત્રાસવાદીઓને સરકાર તાત્કાલિક ઝડપી લઇ કડકમાં કડક અને સખ્ત કાર્યવાહી કરે તેવી મુસ્લિમ સમાજના આગેવાનોએ માંગ કરી છે. આ બનાવમાં દુ:ખદ અવસાન પામેલ સદ્દગતોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે અને ઇજાગ્રસ્તો માટે પણ ખાસ દુવાઓ કરવામાં આવી છે અને મરણજનારના પરિવારજનોને તાત્કાલિક અસરથી સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

સાવરકુંડલા
સાવરકુંડલા. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ પર્યટકોના કરુણ મૃત્યુથી સાવરકુંડલામાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ હૃદયદ્રાવક ઘટનાના વિરોધમાં અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સાવરકુંડલા મુસ્લિમ સમાજના લોકો દ્વારા આજે જુમ્માની નમાજ બાદ મદીના મસ્જીદ આઝાદ ચોક ખાતે હાથ પર કાળી પટ્ટી બાંધી મૌન પાલી આતંકવાદ નાબુંદ કરવાની માંગ કરી. પર્યટકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ઉપસ્થિત સૌ કોઈએ બે મિનિટનું મૌન પાળીને મૃતકોને યાદ કર્યા હતા. ત્યારબાદ, આતંકવાદી કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી અને આતંકવાદને જડમૂળથી ઉખેડી ફેંકવાની માંગણી કરવામાં આવી હતી.

ઉપસ્થિત લોકોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.  આતંકવાદ સામે પોતાનો સખત વિરોધ નોંધાવ્યો હતો. સરકાર પાસે માંગણી કરી હતી કે આતંકવાદી હુમલાના ગુનેગારોને તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે નક્કર પગલાં લેવામાં આવે.

સાવરકુંડલાના મુસ્લિમ નાગરિકોએ મૃતક પર્યટકોના પરિવારજનો પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને આ દુ:ખની ઘડીમાં તેમની સાથે હોવાની ખાતરી આપી હતી સાથે નમાજ બાદ પીડિતો ના હકમાં દુઆ કરી હતી અને મૌલાના હાફિઝ પરવેઝ સાહેબ દ્વારા સખત વિરોધ નોંધાવી પૂરાસમાજને વિરોધ કરવા આહવાન કર્યું હતુ જેને સમાજે પ્રાધાન્ય આપી બહોળી સંખ્યામાં આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી.  દેશ પ્રેમ અને ભાઈ ચારો પાણી હવા ની જેમ જરૂરી છે.

બોટાદ
બોટાદ જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પહેલગામની આતંકી ઘટનાના સંદર્ભે આક્રોશ વ્યકત કરાયો હતો. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલી ઘટનાથી હૃદય કંપી ઉઠે છે કે આતંકવાદી લોકો દ્વારા કેટલી કટરતાથી ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી.

આવી આતંકવાદી પ્રવૃતિ કરનાર અને કરાવનારા પ્રત્યે હવે મોદી સરકાર અટકાયત કરે અને તાત્કાલીક ધોરણે કડકમાં કડક એકશન પ્લાન લઇ આતંકવાદનો જડથી ખાત્મો કરે જેથી હવે પછી કોઇ આતંકવાદીના લીધે નિર્દોષ ભારતીય નાગરિકો ભોગ ન બને તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ બોટાદ જીલ્લાની માંગ છે અને આ આતંકવાદમાં દેહાંત પામેલા ભારતીય નાગરિકોને ન્યાય અપાવે તેવા પગલા ભરવામાં આવે તેવી અપીલ વનરાજસિંહ ખેરએ અપીલ કરી છે.

ફલ્લા
જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં ધર્મ પુછીને હિન્દુઓને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં હિન્દુ સમાજમાં આક્રોશ છે ત્યારે જામનગર તાલુકાના ફલ્લા ગામે સાંજે પાંચ કલાકે નવદુર્ગા ચોકમાં ફલ્લા હિન્દુ વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા આતંકવાદના પુતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલાના આત્મશ્રેયાર્થે
પાલીતાણામાં હિન્દુ શકિતના ઉપક્રમે નવકાર મહામંત્રના જાપ યોજાયા
(મેહુલ સોની) પાલીતાણા, તા.26
હિન્દુ શક્તિ દ્વારા આયોજિત સમસ્ત પાલીતાણાના ભાવુકો દ્વારા જમ્મુ કાશ્મીર પહેલગામમાં નિર્દોષ હિંદુઓ પર થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા હિન્દુઓને નવકાર જાપ દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આજે સાંજે છ કલાકે પાલીતાણામાં બિરાજમાન તમામ જૈન આચાર્ય ભગવંતો, મુની ભગવંતો, સાધુ સાધ્વીજી મ.સા., અને સંતોની ઉપસ્થિતિમાં જંબુદ્વીપ સંકુલ આરએમડી ધર્મશાળા પાલીતાણા ખાતે યોજેલ હતો.

આ કાર્યક્રમમાં શેઠ આ.ક.પેઢી, પાલીતાણા જૈન સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ હિન્દુ સંગઠનો દ્વારા યોજાયેલ હતો. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સાગર સમુદાયના ગચ્છાધિપતિ આચાર્યશ્રી નરદેવ સાગર સૂરીશ્વરજી મ.સા., આચાર્યશ્રી અશોક સાગર સૂરીશ્વરજી મ.સા., આચાર્યશ્રી પૂર્ણચંદ્ર સુરીશ્ર્વરજી મ.સા., વિમલ ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાઈ મહારાજ મ.સા. સહિત મોટી સંખ્યામાં આચાર્ય ભગવંતો, સાધુ સાધ્વીજી મ.સા., યાત્રિકો ઉપસ્થિત રહ્યા હતા.

પહેલગામ આતંકી ઘટનાના અનુસંધાને
ટંકારા બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ સાદાઇથી ઉજવાશે : કાશ્મીરમાં મૃત્યુ પામેલાને શ્રધ્ધાંજલી અપાશે
પરશુરામ જયંતીના મહાપ્રસાદ ભોજન રદ્દ કરતાં સંસ્થાના પ્રમુખ

ટંકારા, તા. ર6
ત્રણ દિવસ પૂર્વે કાશ્મીરમા આતંકવાદીઓ દ્વારા 27 નિર્દોષ પરીવારના પુરૂષ સભ્યો ને ઠાર મારી સર્જેલા નરસંહાર થી વ્યથિત થઈ ટંકારા બ્રહ્મસમાજ સંસ્થા દ્વારા આગામી તા. 29 મી એપ્રિલે યોજાનાર ભગવાન પરશુરામ જન્મોત્સવની ધાર્મિક ઉજવણી પ્રસંગે યોજાતા ભોજન સમારંભ રદ કરવાની સંસ્થાના પ્રમુખે જાહેરાત કરી પરશુરામજી ભગવાનનો જન્મોત્સવ પુજન આરતી આરાધના થકી ઉજવણી કરવા અને આ પ્રસંગે સ્થાન પર તમામ નિર્દોષ મૃતકોના માનમાં શ્રધાંજલિ સભા યોજી મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા યોજવાની ઘોષણા કરવામાં આવી હતી..

ગત 22મી એપ્રિલે કાશ્મીરમા ઉનાળાની ઋતુમા કુદરતના ખોળે હરવા ફરવા ગયેલા દેશના 27 પુરૂષ સભ્યોને પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ગોળીઓ ધરબી ઠાર મરાતા સમગ્ર દેશ સ્તબ્ધ થયો છે. દેશભરમા જધન્ય કૃત્યથી ભારે આક્રોશ ભભુકી ઉઠયો છે.

ત્યારે આગામી તા. 29 મી એપ્રિલ મંગળવારે સૌના આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામજી દાદાનો જન્મોત્સવ આવી રહ્યો હોવાથી ટંકારા બ્રહ્મસમાજ સંસ્થા જન્મોત્સવ પ્રસંગની ઉજવણી કરવા નુ ઘડાયેલા આયોજન ને રદ કરવાનો નિર્ણય કરવા કરવા માટે સંસ્થાના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી દ્વારા સમાજના ઉપપ્રમુખ રમેશભાઈ ત્રિવેદી (મુખ્યાજી), મહામંત્રી જવાહરભાઈ ઠાકર, બ્રહ્મઅગ્રણી ભાગવતાચાર્ય શાસ્ત્રીજી દિપકભાઈ પંડ્યા, યુવા અગ્રણી ગીરીશભાઈ પંડ્યા, સંસ્થાના મોભી વિનોદભાઈ ભટ્ટ, સુનિલભાઈ રાવલ, કારોબારી સમિતી ના યુવા અગ્રણી જયદીપ જાની, સંજયભાઈ અમૃતલાલ ત્રિવેદી, પ્રદિપભાઈ જાની, કનુભાઈ જાની, ભાવિનભાઈ પંડ્યા, અશ્વિન ત્રિવેદી, આશિષ ભટ્ટ, કાનાભાઈ ત્રિવેદી, એડવોકેટ અમિતભાઈ જાની, નોટરી અતુલ ત્રિવેદી સહિતનાઓ સાથે પરામર્શ કરી આગામી તા. 29ની દાદાના જન્મોત્સવ ઉજવણીમા ભોજન સમારંભ રદ કરી સાદાઈથી પરશુરામજી ભગવાનને સ્નાન અભિષેક કરાયા બાદ વસ્ત્ર(વાઘા) પરીધાન પુજન, આરતી આરાધના દર્શન કરવાનુ નક્કી કરાયુ હતુ.

આ તકે, પરશુરામ દાદા સન્મુખ કાશ્મીરમા જીવ ગુમાવનારા નિર્દોષ પરીવારના તમામ સભ્યોના આત્માની શાંતિ માટે સાંજે 6 વાગ્યે શ્રધ્ધાંજલી સભા સંસ્થાના શાસ્ત્રીજી દિપકભાઈ પંડ્યાના વડપણ હેઠળ યોજી પ્રાર્થના સભામા મૌન પાળી તમામ નિર્દોષ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાનુ નક્કી કરવામા આવેલ છે.

પહેલગામના આતંકવાદી હુમલાના અનુસંધાને
વેરાવળ સીટી પોલીસ દ્વારા જનતા જોગને સંદેશ પાઠવાયો

જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલ આંતકવાદી હુમલા અનુસંધાને વેરાવળ શહેરમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ ભીડભાડ વાળી જગ્યામાં ચેકિંગ વેરાવળ સીટી પોલીસ દ્વારા હાથ ધરાયેલ છેે અને જાહેર જનતા જોગ સંદેશ પાઠવી જણાવેલ કે, જો કોઇ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાઇ આવે તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરેલ છેે.

તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આંતકવાદી હુમલો થયેલ હોય અને ગીર સોમનાથ જીલ્લામાં ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતુ સોમનાથ મંદીર આવેલ હોય જેથી વેરાવળ રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશને જરૂરી ચેકીંગ રાખી તકેદારી રાખવા જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા સુચનાના અનુસંધાને વેરાવળ સીટી પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી, બી.ડી.ડી.એસ. સ્કોડ ગીર સોમનાથ સાથે વેરાવળ રેલ્વે સ્ટેશન ખાતે આર.પી.એફ. તથા જી.આર.પી.એફ. સાથે સંયુક્તમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ તેમજ વેરાવળ સીટી પોલીસ દ્રારા બસ સ્ટેશન તથા ભીડભાડ વાળી જગ્યાએ ચેકીંગ તેમજ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે.  (તસ્વીર : મિલન ઠકરાર - વેરાવળ)

પહેલગામ આતંકી હુમલાના સંદર્ભે
વેરાવળમાં મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવી કાળી પટ્ટી ધારણ કરીને નમાઝ અદા કરી

(મીલન ઠકરાર) વેરાવળ, તા.26
જમ્મુ-કાશ્મીર આતંકી હુમલા સંદર્ભે વેરાવળમાં મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવી કાળી પટ્ટી પહેરી નમાઝ અદા કરી હતી અને આતંકવાદીઓને કડક સજાની માંગ કરેલ છે.

વેરાવળની મુસ્તફા મસ્જિદમાં સેંકડો મુસ્લિમ બિરાદરોએ જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે જુમ્માની નમાઝ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ અફઝલ પંજાએ જમ્મુ-કાશ્મીરમાં 25 થી વધુ નિર્દોષ લોકોની હત્યાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી. તેમણે સઈદ હુસેન શાની બહાદુરીની પ્રશંસા કરી. સઈદ હુસેને આતંકવાદીઓ પાસેથી બંદૂક છીનવી અનેક લોકોનો જીવ બચાવ્યો અને પોતાના પ્રાણની આહુતિ આપી તેમજ વધુમાં જણાવ્યું કે હિંદુસ્તાનનો મુસલમાન હંમેશા દેશભક્ત રહ્યો છે.

તેમણે કુરાનનો હવાલો આપતા કહ્યું કે એક નિર્દોષ વ્યક્તિની હત્યા સમગ્ર માનવતાની હત્યા સમાન છે. તેમણે માંગ કરી કે ભારત સરકાર આ માનવ સંહારના દોષિતોને કડકમાં કડક સજા કરે. મસ્જિદના ઇમામ મૌલાના સરફરાજ અહેમદ નૂરીએ સ્પષ્ટ કર્યું કે ઇસ્લામમાં આવા આતંકવાદીઓને કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે નિર્દોષ લોકોની હત્યા કરનાર કોઈપણ ધર્મનો હોઈ શકે નહીં. તેમણે ભારત સરકારને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી જેથી ભવિષ્યમાં કોઈ આવી ઘટના કરતા પહેલા સો વાર વિચારે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj