નવી દિલ્હી,તા.28
પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક કડક પગલાં લીધાં છે. ભારતે સિંધુ જળ સંધિ રદ કરીને પાકિસ્તાનને પાણીના ટીપે-ટીપે તરસાવાનો પાયો નાખ્યો છે. આ સાથે, ભારત જવાબી કાર્યવાહીની તૈયારી પણ કરી રહ્યું છે.
વડાપ્રધાનથી લઈને ગૃહમંત્રી, રક્ષામંત્રી અને સેના પ્રમુખ સુધી સતત બેઠકોનો દોર ચાલુ છે. એક તરફ પાકિસ્તાન પહેલેથી જ ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ઊભી થાય તો પાકિસ્તાન વધુ પાછળ ધકેલાઈ જશે. બંને દેશો વચ્ચે હાલ તણાવ ચરમસીમાએ છે અને આ દરમિયાન પાકિસ્તાન તરફથી ગીદડ ભભકી પણ આવવા લાગી છે.
પહેલગામ હુમલા વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ દરમિયાન પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ઝેર ઓક્યું છે. અબ્બાસીએ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી અને કહ્યું કે શાહીન અને ગઝનવી સહિત 130 મિસાઈલો ભારત માટે તૈનાત છે.
તેમણે કહ્યું કે, અમે જે શાહીન અને ગઝનવી મિસાઈલો અમારા ઠેકાણાઓ પર રાખી છે, તે હિંદુસ્તાન માટે છે. અમારી પાસે જે 130 હથિયારો છે, તે ફક્ત શોકેસ માટે નથી, અને તમને ખબર નથી કે તે પાકિસ્તાનના કયા ભાગમાં તૈનાત છે.
અબ્બાસીએ ભારતને યુદ્ધની ધમકી આપતાં કહ્યું કે, આ બેલિસ્ટિક મિસાઈલો, આ ક્રૂઝ મિસાઈલો, આ શાહીન, આ ઘોરી - આ અમારા શોકેસમાં નથી, આ તમારી તરફ છે, બીજા કોઈની તરફ નહીં. તેમણે કહ્યું કે જો ભારત સિંધુ જળ સંધિને સ્થગિત કરીને પાકિસ્તાનના પાણીના પુરવઠાને રોકવાની હિંમત કરશે, તો તેનું સંપૂર્ણ યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે.
પાકિસ્તાને તેની મોટાભાગની મિસાઈલો ચીનના સહયોગથી બનાવી છે અને તેમાં ચીની ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. પાકિસ્તાનની ઘોરી -1 મિસાઈલની રેન્જ આશરે 1100 કિલોમીટર છે, જ્યારે ઘોરી -2ની રેન્જ 1800-2000 કિલોમીટર છે. શાહીન-1ની રેન્જ 750 કિલોમીટર છે અને શાહીન-2ની રેન્જ 1500-2000 કિલોમીટર છે.
ગઝનવી નામની તેમની મિસાઈલ ટૂંકી રેન્જની બેલિસ્ટિક મિસાઈલ છે, જેની રેન્જ 300 કિલોમીટર છે. આ ટેક્નોલોજી પણ ચીન પાસેથી નકલ કરવામાં આવી છે. એક તરફ પાકિસ્તાનમાં ખાવાના ફાંફા છે, તો બીજી તરફ સેના આ હથિયારોમાં ભ્રષ્ટાચાર કરીને જનતાને મૂર્ખ બનાવી રહી છે.
ભારત એવા ગણ્યા-ગાંઠ્યા દેશોમાં સામેલ છે, જેમની મિસાઈલો સામે મોટા-મોટા દેશો પણ ઘૂંટણ ટેકી શકે છે. ભારત પાસે પૃથ્વી-1 (150 કિલોમીટર રેન્જ), પૃથ્વી-2 (250-300 કિલોમીટર રેન્જ) અને પૃથ્વી-3 (750 કિલોમીટરથી વધુ રેન્જ) છે, જેના પર 7 પ્રકારના હથિયારો લગાવી શકાય છે.
આ ઉપરાંત, અગ્નિ-1 (700 કિલોમીટર રેન્જ), અગ્નિ-2 (2000 કિલોમીટર રેન્જ), અગ્નિ-3 (3000 કિલોમીટર રેન્જ), અગ્નિ-4 (4000 કિલોમીટર રેન્જ) અને અગ્નિ-5 (5000 કિલોમીટર રેન્જ) જેવા હથિયારો છે, જે એક જ ઝટકામાં લાહોર, કરાચી અને ઈસ્લામાબાદને રાખમાં ફેરવી શકે છે.
આ ઉપરાંત, ભારત પાસે બરાક-8 મિસાઈલ છે, જે 2469 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હુમલો કરી શકે છે અને જમીનથી હવામાં માર કરવામાં સક્ષમ છે. ભારતે 4 વર્ષ પહેલાં નૌસેનાની સબમરીનમાં ઊં-4 મિસાઈલનો સમાવેશ કર્યો છે, જે પરમાણુ હથિયાર લઈને 3500 કિલોમીટર સુધી માર કરી શકે છે.
ભારત પાસે વિશ્વની સૌથી ખતરનાક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસ પણ છે, જે 700 કિલોમીટર સુધી વાર કરી શકે છે. આ 4939 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હુમલો કરે છે, જેનાથી દુશ્મનના રડાર પણ તેને પકડી શકતા નથી અને મિનિટોમાં પાકિસ્તાનનાં અનેક શહેરો નષ્ટ કરી શકાય છે.
એરક્રાફ્ટમાં પાકિસ્તાનથી બમણી ક્ષમતા
ભારત માત્ર મિસાઈલોમાં જ નહીં, પરંતુ એરક્રાફ્ટની બાબતમાં પણ પાકિસ્તાનથી ઘણું આગળ છે. અનુસાર, ભારત પાસે કુલ 2229 એરક્રાફ્ટ છે, જેમાંથી 1672 કોઈપણ સમયે હુમલો કરવા તૈયાર છે. જ્યારે પાકિસ્તાન પાસે કુલ 1399 એરક્રાફ્ટ છે, જેમાંથી માત્ર 979 જ સક્રિય છે.
ભારત પાસે રાફેલ જેવા વિમાનો છે, જેની રેન્જ 3700 કિલોમીટર છે અને ટોપ સ્પીડ 2200-2300 કિલોમીટર પ્રતિ કલાક છે. રાફેલ ઘણી બાબતોમાં ચીનના J20 અને પાકિસ્તાનના F16થી ઘણું સારું છે.
ગ્રાઉન્ડ ફોર્સમાં પણ ભારત ઘણું આગળ
ભારત પાસે 2527000 પેરા મિલિટરી ફોર્સ છે, જ્યારે પાકિસ્તાન પાસે માત્ર 500000 પેરા મિલિટરી ફોર્સ છે. ભારતની વાયુસેનામાં 310575 સૈનિકો છે, જ્યારે પાકિસ્તાન પાસે 78128 સૈનિકો છે. ભારતીય સેનામાં 2197117 સ્થળસેનાના જવાનો છે અને નૌસેનામાં 142252 સૈનિકો છે. જ્યારે પાકિસ્તાન પાસે સેનામાં 1311500 અને નૌસેનામાં 124800 સૈનિકો છે.
ભારત પાસે 4201 ટેન્ક છે, જેમાંથી 3151 યુદ્ધ માટે તૈયાર છે, જ્યારે પાકિસ્તાન પાસે 2627 ટેન્ક છે, જેમાંથી માત્ર 1839 જ સક્રિય છે. નૌસેનામાં પણ ભારત પાકિસ્તાનથી ઘણું આગળ છે.
ભારત પાસે 2 એરક્રાફ્ટ કેરિયર છે, જ્યારે પાકિસ્તાન પાસે એક પણ નથી. ભારત પાસે 13 ડિસ્ટ્રોયર છે, જ્યારે પાકિસ્તાન પાસે એક પણ નથી. ભારત પાસે 18 સબમરીન છે, જ્યારે પાકિસ્તાન પાસે માત્ર 8 છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy