► ભૂજ સહિતના 26 એરબેઝ પર હુમલાનો પ્રયાસ: વિંગ કમાન્ડર વ્યોમીકાસિંઘ
નવી દિલ્હી,તા.10
છેલ્લા 72 કલાકથી ભારત અને પાકિસ્તાન વચ્ચે શરુ થયેલી લશ્કરી અથડામણમાં આજે વિદેશ વિભાગ દ્વારા પત્રકાર પરિષદમાં વિદેશ સચીવ શ્રી વિક્રમ મીસ્ત્રી એ કહ્યું કે ભારત અત્યંત સંયમીત રીતે જવાબ આપી રહ્યું છે અને પાકના કોઈપણ પ્રોપેગેન્ડાને સફળ થવા દેશે નહી.
ભૂમિદળના કર્નલ સોફીયા કુરેશી અને હવાઈદળના વિંગ કમાન્ડર વ્યોમિકાસિંઘ સાથે સંયુક્ત પરિષદમાં ઓપરેશન સિંદુરની માહિતી આપતા કર્નલ સોફીયાએ જણાવ્યું કે, પાકિસ્તાની દળો હવે ભારત સાથેની સરહદની નજીક ફોરવર્ડ પોસ્ટ પર ખડકાઈ રહ્યા છે અને તે ઉશ્કેરણીજનક અને તનાવ વધારવાની કામગીરી કરે છે.
કર્નલ સોફીયાએ જણાવ્યું કે, પાકિસ્તાનનું આ પગલુ બંને દેશો વચ્ચેની વર્તમાન પરીસ્થિતિને ભડકાવનારું બની રહેશે. ભારતીય દળો પણ વળતો જવાબ આપવા માટે તૈયાર છે. આ પત્રકાર પરિષદમાં ભારતે જણાવ્યું કે, પાકિસ્તાનના નુરખાન સહિતના ચાર એરબેઝને નિશાન બનાવાયા છે.
જયારે પાક દળોએ હાઈસ્પીડ મિસાઈલ છોડીને ભારતીય હવાઈદળના કેટલા બેઝ પર હુમલો કર્યો છે. વિંગ કમાન્ડર વ્યોમિકાસિંઘે જણાવ્યું કે ભારતે પાકિસ્તાનના આક્રમક વલણનો મુકાબલો કરવા લડાયક વિમાન સહિતની સુવિધાઓનો ઉપયોગ શરુ કર્યો છે.
પાકિસ્તાનના કોઈપણ પ્રયાસને તોડી પાડવામાં આવશે. પાકિસ્તાને ગઈકાલે ભારતના પશ્ચિમ ક્ષેત્રના ભૂજ સહિતના 26 મથકો પર હુમલાની કોશિશ કરી છે.
પાક હુમલામાં ભૂજ સહિતના એરબેઝને મામુલી નુકસાન
નવી દિલ્હી,તા.10
વિંગ કમાન્ડર વ્યોમિકાસિંઘે આજે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે, પાકિસ્તાની દળોએ પશ્ચિમમાં ભૂજ હવાઈદળ મથક પર કરેલા હુમલાના પ્રયાસમાં આ એરબેઝ ઉપરાંત ઉધમપુર, પઠાણકોટ અને આદમપુરમાં નજીવુ નુકસાન થયું છે.
પાકિસ્તાને હાઈસ્પીડ મિસાઈલ છોડી પંજાબ એરબેઝ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો જયારે ભૂજમાં શક્તિશાળી ડ્રોન મારફત હુમલો કરાયો હતો.
એસ-400, બ્રહ્મોસ ફેસીલીટીને તબાહ કર્યાનો પાકનો દાવો ફગાવતુ ભારત
કર્નલ સોફીયા કુરેશીએ પાકનો પ્રોપેગેન્ડા તોડયો: સરહદ પારથી હોસ્પિટલો અને સ્કુલોને તથા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવાઈ રહ્યા છે
નવી દિલ્હી તા.10
ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા સૈન્ય તનાવમાં પાક દ્વારા ફેલાવાઈ રહેલા જૂઠાણાનો આજે પર્દાફાશ કરતા સૈન્યના પ્રવકતા કર્નલ સોફીયા કુરેશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન હોસ્પિટલ અને સ્કુલોને નિશાન બનાવવા પ્રયત્ન કરી રહ્યું છે પણ પાકિસ્તાન દ્વારા જે રીતે આદમપુર, સુરતપુર સ્થિત એસ-400 એન્ટી મિસાઈલ સીસ્ટમ કે બ્રહ્મોસ ફેસીલીટી અથવા તો નગરોટા દારૂગોળા સેન્ટરને નિશાન બનાવાયુ હોવાનું જે દાવો કર્યો છે તેને અમે નકારીએ છીએ.
પાકિસ્તાન હવે નિયંત્રણ રેખા પર નાગરિક વિસ્તારોમાં હુમલા કરી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની હુમલાના નાગરિકોના મોત થયા છે અને ઈમારતોને નુકશાન થયુ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ઉશ્કેરણીજનક કામ કરી રહ્યું છે પરંતુ ભારતીય દળો અત્યંત સંયમથી જવાબ આપી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy