વિશ્વભરના 150 કરોડથી વધુ અનુયાયીઓ શોકમાં ગરકાવ

ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા પોપ ફ્રાન્સીસનું નિધન

World | 21 April, 2025 | 03:58 PM
◙ લાંબા સમયથી બિમાર 88 વર્ષના પોપએ વેટીકન સીટીમાં તેમના નિવાસસ્થાને જ અંતિમ શ્વાસ લીધા
સાંજ સમાચાર

► ગઈકાલે જ વેટીકનની વિખ્યાત બાલ્કનીમાં હજારો અનુયાયીઓને ઈસ્ટરની શુભકામના પાઠવી હતી

► હવે અંતિમયાત્રા સહિતની માહિતી જાહેર થશે: 13 વર્ષ પોપ પદે રહેલા ધર્મવડાના દર્શનાર્થે અનેક રાષ્ટ્રવડા - હજારો અનુયાયીઓ ઉમટશે

વેટીકન: ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરૂ પોપ ફ્રાન્સીસનું આજે રોમના વેટીકન સીટીમાં 7.35 કલાકે નિધન થયું છે. 88 વર્ષના પોપ ફ્રાન્સીસ લાંબા સમયથી ન્યુમોનિયાની બિમારીથી પિડાતા હતા અને તેઓને સઘન સારવાર અપાયા બાદ ઈસ્ટરનો તહેવાર મનાવ્યો હતો.

બાદમાં વેટીકનના કાસા સાંતા માર્ટા સ્થિત તેમના નિવાસે અંતિમ શ્વાસ લીધા હતા. અસ્વસ્થ હોવા છતાં તેઓએ ઈસ્ટર નિમિતે વેટીકન સીટીમાં એકત્ર થયેલા હજારો શ્રદ્ધાળુઓને દર્શન આપ્યા હતા.

વિશ્વભરમાં અંદાજે 150 કરોડથી વધુ કેથોલીક સંપ્રદાયના લોકો માટે તેઓ ભગવાન ઈસુ ખ્રિસ્તના પ્રતિનિધિ હતા. તેઓને 2013માં પોપ તરીકે સ્થાપીત કરાયા હતા અને 13 વર્ષ પદ પર રહ્યા હતા.

1936માં આર્જેન્ટીનાના બુનર્સ આયર્સમાં જન્મેલા શ્રી પોપ ફ્રાન્સીસનું મૂળ નામ જોર્ગ મારીયો બર્ગાલીયો હતુ અને કેમીકલ ટેકનીશિયન તરીકેની કેરીયર શરુ કર્યા બાદ ધર્મના તરફી તેમના ઝુકાવના કારણે 1958માં તેઓએ ઈસાઈ ધર્મની પરંપરા મુજબ જે સુઈટથી જોડાયા અને 1969માં પાદરી બન્યા હતા.

તેઓ રોમન કેથોલીક ચર્ચના પ્રમુખ લેટીન અમેરિકી હતા. તેઓને બચપણમાંજ તેમના ફેફસાના એક હિસ્સો દુર કરાયો હતો. જે વૃદ્ધાવસ્થામાં તેમના માટે ચિંતા બન્યો હતો. 1 માસ પુર્વે તેઓને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. અગાઉ 2023માં પણ આવીજ સ્થિતિમાં તેઓ સ્વસ્થ થવામાં સફળ રહ્યા હતા પણ છેલ્લે તેમના ફેફસામાં ન્યુમોનીયાની અસર વધી ગઈ હતી.

વેટીકન સીટીએ જાહેર કર્યુ છે કે, પોપ ફ્રાન્સીસ ‘હોમ ઓફ ફાધર’ પવિત્ર પિતાના ઘરે પરત ફર્યા છે. તેમના કાર્યકાળ સમયમાં પોપ ફ્રાન્સીસે અનેક સુધારાવાદી નિર્ણય લીધા હતા.

તેઓએ રવિવારે જ વેટીકનની સેન્ટપીટર સ્કવેરમાં ઉપસ્થિત અનુયાયીઓને હેપી ઈસ્ટરનો સંદેશ આપ્યો હતો. તેઓએ પરંપરાગત શબ્દ ‘ટુ-ધ સીટી એન્ડ વર્લ્ડ’ તેવું ઈટાલીયન ભાષામાં હેપી ઈસ્ટર કહ્યું હતું.

જો કે તેઓએ ઈસ્ટર માસની ઉજવણીમાં ભાગ લીધો ન હતો અને તેના બદલે કાર્ડીનલને આ જવાબદારી સોંપી હતી. જો કે ઈસ્ટર પ્રાર્થના બાદ તેઓ પરંપરાગત રીતે બાલ્કનીમાં જોવા મળ્યા હતા. હવે તેમની અંતિમ વિધિની સતાવાર જાહેરાત થશે. જયાં વિશ્ર્વભરના ખ્રિસ્તી સમુદાયના લોકો તથા અનેક રાષ્ટ્રના વડા પણ ઉપસ્થિત રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj