જામ ખંભાળિયા, તા. 13
ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી ખૂબ જ કથળી ગઈ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ખંભાળિયા શહેરમાં લોકોના ઘરેથી કચરો ઉપાડવાની કામગીરીમાં અગાઉ નગરપાલિકાના 17 વાહનો અને 42 કર્મચારીઓને બાજુ પર રાખીને, તેમના પગાર અને નોકરી ચાલુ રાખીને, ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
પરંતુ પેધી ગયેલા અને અનેક વખત કચરામાં વજનદાર વસ્તુ, બાંધકામ કાટમાળ સાથે પકડાયેલા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં નગરપાલિકાના તમામ સદસ્યોની સહમતિ પછી પણ અહીં નવો કોન્ટ્રાક્ટર ન મળતા હાલ અગાઉના પેધી ગયેલા કોન્ટ્રાક્ટરને જાણે પગલાં લેવા અને કડક કાર્યવાહીનો ડર ના હોય તેમ શહેરના અનેક વિસ્તારોમાં રોજના બદલે ત્રણ દિવસે કચરો ઉપાડવામાં આવે છે. તેથી નગરજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
અહીંના પોસ રહેણાંક વિસ્તાર રામનાથ સોસાયટીમાં દરરોજ કચરો ઉપાડવામાં આવતો નથી. જ્યારે અન્ય વિસ્તારોમાં મહદ અંશે રોજ કચરો ઉપાડવામાં આવે છે. કોન્ટ્રાક્ટર પાસે વાહનો નથી તેવા પણ ક્યારેક બહાના બનાવવામાં આવે છે.
રહેણાંક મકાનમાં બે દિવસ સુધી દુર્ગંધ મારતી કચરા ટોપલી રાખવામાં આવતા ખાસ કરીને બહેનો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ક્યારેક તો ત્રણ-ચાર દિવસે આવતી કચરા ગાડી મારફતે કચરો ઉપાડવામાં આવે છે.
ખંભાળિયાથી નાના દ્વારકા જેવા સેન્ટરોમાં પણ ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી સ્થિત રીતે ચાલે છે. ત્યારે ખંભાળિયામાં આ કામગીરી સુવ્યવસ્થિત રીતે કેમ ન થઈ શકે? તેવો યક્ષ પ્રશ્ન નગરજનોમાં ઊઠવા પામ્યો છે. (તસ્વીર : કુંજન રાડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy