રાજકોટ સહિત રાજયભરના રેવન્યુ કર્મચારીઓ માસ CL પર : કામગીરી ઠપ્પ : દેકારો

Gujarat | Rajkot | 30 April, 2025 | 03:56 PM
પ્રમોશનમાં વિસંગતતા, બદલીમાં અન્યાય, જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના અધ્ધરતાલ લટકતા પ્રશ્નો અંગે કલેકટરને અપાયું આવેદનપત્ર: સુત્રોચ્ચાર
સાંજ સમાચાર

રાજકોટ તા.30
રાજકોટ સહિત રાજયભરના 4000થી વધુ રેવન્યુ કર્મચારીઓ વિવિધ અણઉકેલ પ્રશ્નો સબબ આજે માસ સીએલ મુકી આજે એક દિવસની હડતાલ પર ઉતરી જતા રેવન્યુ કામગીરી ઠપ્પ થઈ જવા પામી છે. જેના પગલે અરજદારોમાં મોટો દેકારો બોલી જવા પામેલ છે.

મહેસુલી કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓના અધ્ધરતાલ લટકતા પ્રશ્નો અંગે આજે રાજકોટ સહિત રાજયભરના જીલ્લા કલેકટરોને આવેદનપત્ર સુપ્રત કરી સુત્રોચ્ચાર કરવામાં આવેલ હતા. રેવન્યુ કર્મચારીઓની આ હડતાલના પગલે રેશનકાર્ડ વિભાજન, રેશનકાર્ડમાં નવા નામ દાખલ કરવા, દબાણ હટાવ ઝુંબેશ, મિલ્કત જપ્તી સહિતની મહેસુલી કામગીરી ઠપ્પ બની જવા પામી હતી. કર્મચારીઓની આ હડતાલના પગલે કલેકટર કચેરી-તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેલા અરજદારોને કામ નહીં થતા ન છુટકે પરત ફરવાની ફરજ પડી હતી.

આ અંગે મહેસુલી કર્મચારી મંડળ રાજકોટ જીલ્લાના પ્રમુખ કીરીટસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મહેસુલી કર્મચારીઓના પ્રમોશનમાં વિસંગતતા, બદલીમાં અન્યાય, જુની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્નો અંગે છેલ્લા લાંબા સમયથી રાજય સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે.

પરંતુ તેમના પ્રશ્નોના ઉકેલ માટે રાજય સરકાર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરાયેલ નથી. રાજય સરકારની નીતિ રીતિ સામે કર્મચારીઓમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠયો છે. મહેસુલ વિભાગના નિયમોમાં અનેક વિસંગતતાઓ રહેલી છે.

સરકાર દ્વારા તેમના પ્રશ્નનો ઉકેલવામાં નહીં આવતા આ આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવેલ છે. સરકાર તેમના પર લક્ષ આપી તેમના પડતર પ્રશ્નો તત્કાલ હલ કરે તે અતિ આવશ્યક છે.

સરકાર દ્વારા તેમના પ્રશ્નો ઉકેલવા માટે હાથ નહીં ધરે તો આગામી દિવસોમાં કર્મચારીઓની હડતાલની નોબત આવે તેવી શકયતા રહેલી છે.  રાજકોટ જીલ્લા કલેકટર કચેરી ખાતે રાજકોટ શહેર જીલ્લાના 400 જેટલા કર્મચારીઓએ એકત્રીત થઈ સુત્રોચ્ચાર કર્યા હતા.

આ તકે કચેરીના પટાંગણમાં કર્મચારીઓની મળેલી સભાને મહેસુલી કર્મચારી મંડળના જીલ્લા પ્રમુખ કિરીટસિંહ ઝાલાએ સંબોધી હતી. કલેકટર અને તાલુકા મામલતદાર કચેરીઓના મહેસુલી કર્મચારીઓ માસ સીએલ મુકી હડતાલ પર જતા કર્મચારીઓના અભાવે આ મહેસુલી કચેરી સુમસામ બની જવા પામી હતી.

કર્મચારીઓની લડત અંગે સરકારને રિપોર્ટ કરાશે: કલેકટર પ્રભવ જોષી
રાજકોટ તા.30

રાજકોટ શહેર જીલ્લાની મહેસુલી કચેરીઓના કર્મચારીઓ માસ સીએલ મુકી આજે સામુહિક રીતે હડતાલ પર ઉતરી જતા આ મામલે જીલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે આ અંગે તેઓ દ્વારા રાજય સરકારને રીપોર્ટ કરાશે.

અહીં એ ઉલ્લેખનીય છે કે, મહેસુલી કર્મચારીઓની આજની માસ સીએલ સામે ગઈકાલે જ સરકારે બાંયો ચડાવી મહેસુલી કર્મચારીઓની રજા મંજુર નહીં કરવા માટે જીલ્લા કલેકટરોને આદેશ આપ્યા હતા.

આ અંગે રાજય સરકારના મહેસુલ વિભાગના સેકશન અધિકારી દિનેશ પરમારે પણ ખાસ પરિપત્ર ઈસ્યુ કરી માસ સીએલ પર જનાર કર્મચારીઓ સામે નોકરીમાં બ્રેક સહિત આકરી કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. 

ખાસ કિસ્સા સિવાય કર્મચારીઓની રજા મંજુર નહીં કરવા માટે તેઓએ જીલ્લા કલેકટરોને તાકીદ કરી હતી તેમ છતા પણ મહેસુલી કર્મચારીઓ આજે માસ સીએલ મુકી હડતાલ પર ઉતરી જતા કલેકટર દ્વારા આ અંગે રાજય સરકારને રિપોર્ટ મોકલવામાં આવનાર છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj