વેરાવળ, તા. 9
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ યાત્રાધામ સોમનાથ મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરી દરિયાઈ સીમા પર કોસ્ટગાર્ડ સાથે સંયુક્ત પેટ્રોલિંગ, બોટ ચેકિંગ અને નિરીક્ષણ વધારાયું છે.
તાજેતરમાં જમ્મુ કશ્મીર રાજ્યના પહેલગામ ખાતે થયેલ આંતકવાદી હુમલો તેમજ ભારતીય સેનાનાં ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર સુરક્ષામાં ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ એન. જાડેજા દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મુજબુત બનાવવામાં આવી છે.
જેમાં સોમનાથ મંદીર સુરક્ષામાં તૈનાત પોલીસ સ્ટાફમાં પણ વધારો કરેલ તેમજ વધુ પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સબ ઇન્સ્પેકટરની તાત્કાલીક અસરથી નિમણુંક કરી સ્ટ્રેટેજિક પોઇન્ટ પર સુરક્ષામાં વધારો કરી મંદીરની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવામાં આવેલ તેમજ જીલ્લા પોલીસ કંટ્રોલરૂમ ખાતે શીફટ વાઇઝ નવા પોલીસ સબ ઇન્સ્પેકટરની નિમણુંક કરવામાં આવેલ છે.
સોમનાથ મહાદેવ મંદિર ઝેડ પ્લસ સિક્યુરિટી સુરક્ષા કવચ ધરાવે છે, જેથી સમગ્ર મંદિર પરિસરમાં ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા પહેલેથી જ અમલમાં છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા તથા ભારતિય સેનાના ઓપરેશન સિંદુર બાદ મંદિર પરિસર અને આસપાસના તમામ વિસ્તારોમાં ડોગ અને બોમ્સ સ્ક્વોડની સાથે પોલીસ દ્વારા સોશિયલ મીડિયાની તમામ ગતિવિધિ પર બારીક નજર રાખવામાં આવી રહી છે.
સોમનાથ મંદીરે આવતા પ્રત્યેક પ્રવાસીઓ અને વાહનોમાં શંકાસ્પદ વ્યક્તિનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. આ સિવાય મંદિરમાં દર્શન કરવા માટે જતા પ્રત્યેક પ્રવાસીઓની પણ મહિલા અને પોલીસ કર્મચારીઓ દ્વારા ખૂબ જ બારીકાઈથી તપાસ કરીને મંદિર પરિસરમાં દર્શન કરવા માટે જવા દેવામાં આવે છે.
સોમનાથ મંદિર સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે.
જીલ્લા પોલીસ વડા દ્વારા સુરક્ષાને લઈને કોઈપણ કચાસ ન રહે તે માટે યુદ્ધના ધોરણે વિશેષ સુરક્ષા અભિયાન શરૂ કર્યું છે. કોઈ પણ સંભવિત ઘટનાને રોકવા માટે ક્વિક રિસ્પોન્સ સેલ અને ખૂબ લાંબો દરિયા કિનારો ધરાવતા સોમનાથ મંદિર પરિસરની આસપાસ જીલ્લા પોલીસ તથા મરીન પોલીસ દ્વારા દરિયાઈ સુરક્ષાને પણ મજબૂત કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના તમામ કોસ્ટલ વિસ્તારમાં કોસ્ટગાર્ડ સાથે સંકલનમાં રહી દરીયામાં ઇન્ટરસેપ્ટર બોટ મારફત જોઇન્ટ પેટ્રોલીંગ તેમજ એસઓજી, મરીન પોલીસ દ્વારા માછીમારોની બોટ ચેકીંગ બોટ ચેકીંગ તેમજ ફીશરમેન વોચગૃપની મીટીંગ તથા દરીયાઇ કાંઠાના ગામડા વિસ્તારોમાં સ્થાનિક આગેવાનો સાથે મીંટીંગ કરી જરૂરી માહીતીની આપ લે કરવામાં આવી રહેલ છે તેમજ હથિયારી પોલીસની સતત હાજરી તેમજ પોર્ટ સિક્યોરીટીમાં વધારો તેમજ દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
મોકડ્રીલ
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગારના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા ઇમરજન્સીના સમયમાં નાગરિકોના જાન તથા મિલકતની સુરક્ષા તથા બચાવ કામગીરી અર્થે પુર્વ તૈયારીના ભાગ રૂપે મોકડ્રીલનુ આયોજન કરાયેલ જેમાં એચ.આર.ગોસ્વામી, આર.આર. રાયજાદા, પી.પી.પ્રજાપતિ, જી.એન. કાછડ, એ.બી.ગોહિલ તથા પોલીસ સ્ટાફ, રેલ્વે પોલીસ, રેલ્વે સ્ટાફ, ફાયર બ્રિગેડ, નગરપાલીકા, મેડિકલ ટીમ વિગેરે સાથે સંકલન કરી ઇમરજન્સીના સમયમાં બચાવ અને રાહત કામગીરી અંગે રેલ્વે સ્ટેશન ખાતે મોકડ્રીલનુ આયોજન કરવામાં આવેલ હતું જેમા નાગરિકોએ પણ સહભાગી થઇ કામગીરી નિહાળી માર્ગદર્શન મેળવેલ તેમજ નાગરિકોને કોઇ શંકાસ્પદ વસ્તુ, વ્યક્તિ કે પ્રવૃતી જણાઇ આવે તો તુરંત પોલીસનો સંપર્ક કરવા જણાવેેલ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy