◙ જામનગરના પુજા ધવલભાઇનો પણ સમાવેશ : પ્રથમ વખત સૌરાષ્ટ્રના કોઇ ડિપોર્ટ થયા
◙ પોલીસ ચકાસણી બાદ તમામને તેમના રાજયોમાં રવાના કરાશે: અગાઉની ફલાઈટમાં આવેલા 8 ગુજરાતીઓને ઘરે પહોચાડી દેવાયા
અમૃતસર: અમેરિકામાં ગેરકાનુની રીતે ઘુસીને વસી ગયેલા વિદેશીઓને પરત તેમના દેશ મોકલવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલી ઝુંબેશમાં મધરાતે 33 ગુજરાતીઓ સહિત ભારતના વધુ 112 નાગરિકો સાથેની અમેરિકી લશ્કરી-ટ્રાન્સપોર્ટ વિમાનની ફલાઈટ અમૃતસર વિમાની મથકે લેન્ડ થઈ હતી અને હવે સુરક્ષા તપાસ બાદ હવે તેઓને તેમના વતન રાજયમાં રવાના કરવામાં આવી રહ્યા છે.
હજુ ગઈકાલે સાંજે જ એક ફલાઈટ આવ્યા બાદ થોડા કલાકના અંતરે વધુ ફલાઈટ આવી પહોંચી હતી. રાત્રીના 10.03 કલાકે અમૃતસર વિમાની મથકે આ ટ્રાન્સપોર્ટ વિમાન લેન્ડ થયું તેમાં 112 ભારતીયો- 44 હરિયાણા, 33 ગુજરાત, 31 પંજાબ અને ઉતરપ્રદેશના બે તથા ઉતરાખંડ અને હિમાચલના એક-એક વ્યક્તિ હતા. 112માં 19 મહિલાઓ અને 14 બાળકોનો સમાવેશ થાય છે.
હવે સરકારે આ ભારતીયોને તેમના વતન મોકલવા તૈયારી કરી છે. અગાઉથી જ આ ફલાઈટના મુસાફરોની યાદી પહોંચી જતા અનેક મુસાફરના કુટુંબીજનો પણ અમૃતસર વિમાની મથકે પહોંચ્યા હતા. આ ગેરકાનુની વસાહતીઓને પરત મોકલતા સમયે અગાઉની માફક જ બેડી-હાથકડી બાંધીને મોકલવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ બાદ પણ તેમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. હજુ સેંકડો ભારતીયો અમેરિકી એજન્સી આઈસીઈના કબ્જામાં છે અને તેઓને પરત મોકલાશે તે નિશ્ર્ચિત છે. ગુજરાતમાં બીજી ફલાઈટના પ્રવાસીઓ તેમના વતન પહોંચી ગયા છે અને હવે ત્રીજી ફલાઈટના વધુ 33 પણ આજે સાંજ સુધીમાં આવી જશે.
‘એરલીફટ’ કરાયા હોય તેમ ડિપોર્ટીઓનું સન્માન
કેન્દ્રીય મંત્રીએ ડિપોર્ટીઓને આવકાર્યા: હરિયાણા સરકારે મોદી-સૈનીની તસવીરો સાથે બેનર લગાવી બસ મોકલી
નવી દિલ્હી: અમેરિકાથી પરત આવતા ગેરકાનુની રીતે અમેરિકામાં ગયેલા ભારતીયોને લઈ આવતા વિમાનને શા માટે અમૃતસર જ લેન્ડ કરાવવામાં આવે છે તે અંગે પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંતસિંહ માને રાજયને બદનામ કરવા કેન્દ્ર પ્રયાસ કરી રહ્યું હોવાનો આક્ષેપ કર્યા બાદ ગઈકાલ તો તેમાં વધુ રાજકારણ જોવા મળ્યુ હતુ.
પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટુ એરપોર્ટ પર મોજૂદ હતા અને હરિયાણા સરકારે રાજયની બાવન સિટર એ.સી. બસ તેના નાગરિકોને પરત લેવા મોકલી જેના પર મુખ્યમંત્રી તિર્થયાત્રા યોજના હરિયાણા તેવુ લખાણ હતુ અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજયના નાયબ મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીની તસવીરો પણ હતી. આમ ભારતીયો કોઈ મોટુ સાહસ કરીને પરત આવ્યા હોય તેવો માહોલ હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy