રાજકોટ તા.23
રાજકોટમાં ઝંઝાવાત-મીની વાવાઝોડા સાથે ગુરૂવારે સાંજે પડેલા વરસાદથી માલ મિલકતને વ્યાપક નુકશાન થયુ હતું અને તેમાં વિજતંત્ર પણ ઝપટમાં આવી ગયુ હતું. શહેરમાં જુદા જુદા 15 સ્થળોએ વિજથાંભલા ધરાશાયી થયા હતા.
ઝાડ-હોર્ડિંગ્ઝ પડતા તાર તૂટયા હતા. આ ઉપરાંત 25 ટકા ફીડર ફોલ્ટમાં જતા સંખ્યાબંધ વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો.વિજ સપ્લાય ઠપ્પ થયાની 1200 થી વધુ ફરિયાદો નોંધાઈ હતી.
પશ્ચિમ ગુજરાત વિજ કંપની (પીજીવીસીએલ)ના સતાવાર સાધનોએ કહ્યુ હતું કે કૃષ્ણનગર સહિત જુદા જુદા વિસ્તારોમાં ભારે પવનના તોફાનમાં 15 વિજ થાંભલા પડી ગયા હતા. 51 વિજ ફીડરો ફોલ્ટમાં ગયા હતા.શહેરમાં વિજ સપ્લાય માટે 200 થી વધુ ફીડરો છે. તેમાંથી 25 ટકા ફીડર ફોલ્ટમાં જતા સંખ્યાબંધ વિસ્તારોમાં અંધારપટ સર્જાયો હતો.
એસટી ડીવીઝન-1 હેઠળનાં સપના, મોરબી રોડ, જય જવાન, કનક રોડ, રામેશ્વર, વિરાણી એટલાસ ફીડર, એસટી ડીવીઝન ર માં એસઆરપી નિર્મલા, મહાવીર તથા જાગનાથ ફીડર, એચટી-3 ડીવીઝન હેઠળનાં અર્જુન, સોમેશ્વર, ભવનાથ, રાધિકા, હરિદર્શન, રાણીપાર્ક, વિશ્વેશ્વર, અમૃત, યુવરાજપાર્ક સહિતના ફીડર ટ્રીપ થયા હતા અથવા ફોલ્ટમાં ગયા હતા.
પીજીવીસીએલ સુત્રોએ કહ્યું કે, ઝંઝાવાતી પવનમાં વૃક્ષો-ડાળખા,હોર્ડીંગ તૂટી પડયા હોવાથી વિજ સપ્લાય જાળવવાનું પડકારજનક હતું છતા આખી રાત રીપેરીંગ ટીમોને દોડતી રાખવામાં આવી હતી. વિજ પુરવઠો ખોરવાયાની ફરિયાદોનો મારો હતો.કસ્ટમર કેર સેન્ટરમાં 156 ફરીયાદો નોંધાઈ હતી.
જયારે દરેક સબ ડીવીઝનોમાં 50-60 ફરિયાદો નોંધાતા કુલ આંકડો 1200 થી પણ વધુ થઈ ગયો હતો.સીટી ઈજનેર બી.સી.રાઠોડે કહ્યું કે, ચેન્જ ઓવર આપીને તમામ વિસ્તારોમાં રાત્રે જ વિજ પ્રવાહ ચાલુ કરી દેવાયો હતો.
સાથોસાથ ખડી પડેલા વીજ પોલ ઉભા કરવા તથા તૂટી ગયેલા તાર રીપેર કે નવા નાખવા અને ફીડરોના ફોલ્ટ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વૃક્ષો-હોર્ડીંગ વિજ લાઈન પર ખાબકવાનાં કારણોસર અનેક સ્થળોએ વિજ તાર તૂટી ગયા હતા. ઝંઝાવાતનો દોર ખત્મ થયા બાદ તાબડતોબ વિજ લાઈન પર પડેલ વસ્તુઓ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
એકાદ-બે સ્થળોએ તો શેડના પતરા-છાપરા ઉડીને વિજલાઈન પર પડયા હતા. ગઈસાંજે ફુંકાયેલા ઝંઝાવાત પછી સર્જાયેલી સ્થિતિને કારણે વિજતંત્રે ભો દોડધામ કરવી પડી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy