ખાલિસ્તાન : ભારત અને કેનેડાના સબંધોને વેન્ટિલેટર પર ચડાવનાર મહામારી!


Advertisement



► ખાલિસ્તાન ચળવળ એ એક અલગતાવાદી ચળવળ છે કે જે ભારતના પંજાબ પ્રદેશમાં ખાલિસ્તાન (‘ખાલસાની ભૂમિ’) તરીકે ઓળખાતા સાર્વભૌમ રાજ્યની સ્થાપના કરીને શીખો માટે એક અલગ દેશ-માતૃભૂમિ બનાવવા માંગે છે. આ ખાલિસ્તાન મુવમેન્ટની ઉત્પત્તિના મૂળિયાં ભારતની સ્વતંત્રતા વખતે ધર્મને આધારે થયેલા વિભાજનમાં રહેલા છે. વર્ષ 1940માં, એક શીખ પત્રિકામાં શીખ ધર્મના લોકો માટે એક અલગ દેશની માંગ કરવામાં આવી હતી, તેમાં પ્રથમ વખત ‘ખાલિસ્તાન’નું આહ્વાન કરવામાં આવ્યું હતું.

► છેલ્લા કેટલાક વર્ષોથી ફરી એક વખત શીખો માટેના અલાયદા ‘ખાલિસ્તાન’ નામના દેશની માંગ પ્રબળ બની રહી છે અને નવાઈની વાત એ છે કે આ માંગ ભારત કરતાં ભારતની બહાર રહેતા શીખોમાં એટલે કે ખાલિસ્તાનવાદીઓમાં વધુ પ્રચંડ રીતે પ્રસરી રહી છે. એક સમયે ફકત એક ચળવળ તરીકે ઓળખાતું ‘ખાલિસ્તાન આંદોલન’ હવે ‘ખાલિસ્તાન આતંકવાદ’ બની ચૂક્યું છે.

► સ્ટેટિસ્ટિક્સ કેનેડાના એક અહેવાલ અનુસાર, વર્ષ 2020માં કેનેડિયન શૈક્ષણિક સંસ્થાઓમાં લગભગ 2,20,000 ભારતીય વિદ્યાર્થીઓ નોંધાયા હતા. કેનેડાની મુલાકાત લેનાર પ્રવાસીઓમાં ભારત વર્ષ 2019માં કેનેડાનો નવમો સૌથી મોટો પ્રવાસીઓનો સ્ત્રોત પણ હતો. વધુમાં, કેનેડાએ ભારતમાં ખાણકામ, તેલ અને ગેસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં લગભગ 45 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. જો રાજકીય તણાવ વધતો જ રહેશે અને સુમેળભર્યા સંબંધો નહીં સ્થપાય તો આ ક્ષેત્રોને પણ પડકારોનો સામનો કરવો પડી શકે છે.

ભારતના પંજાબ ક્ષેત્રમાં ખાલિસ્તાનનું સ્વતંત્ર રાજ્ય બનાવવાની હિમાયત કરનારા શીખ અલગતાવાદી નેતા હરદીપસિંહ નિજ્જરનું તાજેતરમાં કેનેડામાં મૃત્યુ થવાથી કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી વિવાદ ઉભો થયો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર એવો આરોપ લગાવ્યો છે કે, 18 જૂને બ્રિટિશ કોલંબિયાના સરેમાં શીખ મંદિરની બહાર હરદીપસિંહ નિજ્જરની હત્યા થઈ હતી, આ હત્યા પાછળ ભારતનો હાથ છે. બેશક ભારતે આ આરોપને નકારી કાઢ્યો છે અને તેને ‘વાહિયાત’ ગણાવ્યો છે અને સાથે જ કેનેડાને આવા વિવાદિત નિવેદનો કરવાને બદલે કેનેડાની ભૂમિ પર ચાલી રહેલી ભારત વિરોધી પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. જે બાદ કેનેડીયન સરકારે કેનેડામાં રહેલા ભારતીય રાજદ્વારી અધિકારીને કેનેડા છોડીને ભારત પરત ફરવા કહ્યું હતું અને અંતે ભારત સરકારે પણ ભારતમાં રહેલા કેનેડીયન રાજદ્વારી અધિકારીને પાંચ દિવસની અંદર ભારત છોડવાનો આદેશ આપ્યો છે. આથી હવે ભારત અને કેનેડા વચ્ચેના ડિપ્લોમેટિક સબંધોનો અંત આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે.

આ ઘટનાને લીધે ખાલિસ્તાનના મુદ્દા પર પહેલાથી જ તણાવપૂર્ણ રહેલા સંબંધોમાં વધુ મોટી તિરાડ સર્જાઇ છે અને હવે કદાચ નજીકના ભવિષ્યમાં સબંધો ફરી સુમેળભર્યા બને તેવું લાગી રહ્યું નથી. ખાલિસ્તાન ચળવળ એ એક અલગતાવાદી ચળવળ છે કે જે ભારતના પંજાબ પ્રદેશમાં ખાલિસ્તાન (‘ખાલસાની ભૂમિ’) તરીકે ઓળખાતા સાર્વભૌમ રાજ્યની સ્થાપના કરીને શીખો માટે એક અલગ દેશ-માતૃભૂમિ બનાવવા માંગે છે. આ ખાલિસ્તાન મુવમેન્ટની ઉત્પત્તિના મૂળિયાં ભારતની સ્વતંત્રતા વખતે ધર્મને આધારે થયેલા વિભાજનમાં રહેલા છે. વર્ષ 1940માં, એક શીખ પત્રિકામાં શીખ ધર્મના લોકો માટે એક અલગ દેશની માંગ કરવામાં આવી હતી, તેમાં પ્રથમ વખત ‘ખાલિસ્તાન’નું આહ્વાન કરવામાં આવ્યું હતું. શીખ ડાયસ્પોરાના નાણાકીય અને રાજકીય સમર્થન સાથે, આ ચળવળ ભારતના પંજાબ રાજ્યમાં વિકાસ પામી હતી.

1980ના દાયકાના અંત ભાગમાં ભારતમાં આ ખાલિસ્તાન આંદોલન તેની ટોચ પર પહોંચ્યું હતું. શીખ અલગતાવાદી નેતા જગજીતસિંહ ચોહાણે એવો દાવો પણ કર્યો હતો કે વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ ખાલિસ્તાન માટે ‘શક્ય હોય તેટલી તમામ મદદ’ કરવાની તૈયારી દર્શાવી હતી. ખાલિસ્તાન આંદોલનને લઈને મુખ્ય ટર્નિંગ પોઈન્ટ વર્ષ 1984માં આવ્યો કે જ્યારે ભારતીય સેનાએ પંજાબના અમૃતસરના સુવર્ણ મંદિરમાં પ્રવેશ કરી બળવાખોર નેતા ભિંડરાવાલેને ગોળી મારીને ઠાર કર્યો. આ ઘટનાના મહિનાઓ પછી, બદલો લેવાની ભાવના સાથે તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને બે શીખોએ ગોળી મારી દીધી હતી જેથી ઇન્દિરા ગાંધીનું નિધન થયું હતું. ઇન્દિરા ગાંધીની હત્યાથી નવી દિલ્હીમાં શીખ વિરોધી રમખાણો સર્જાયા હતા. આ રમખાણો અત્યંત લોહિયાળ બન્યા હતા,

આથી ઘણા શીખોએ પોતાનો જીવ બચાવવા માટે ભારત છોડીને કેનેડા સહિત અન્ય દેશોમાં આશરો લીધો હતો. આથી હવે હાલની પરિસ્થિતિ એવી છે કે ભારત કરતાં ભારતની બહાર શીખોની વસ્તી અનેક ગણી વધારે છે. ખાલિસ્તાનના હિમાયતી શીખોની સૌથી વધુ સંખ્યા કેનેડામાં છે. આથી ભારત સરકાર ઘણાં લાંબા સમયથી કેનેડીયન સરકાર પર દબાણ ઊભું કરી રહી છે કે, તેઓ કેનેડાની જમીન પર થઈ રહેલી ભારત વિરોધી પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડક પગલાં ભરે. આ વર્ષના જૂન મહિનામાં ભારતના વિદેશ મંત્રી ડો. જયશંકરે વર્ષ 1984માં ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાને દર્શાવતી પરેડમાં ફ્લોટને મંજૂરી આપવા બદલ કેનેડા પર આકરા પ્રહારો કર્યા હતા. જે બાદ કેનેડાએ દુનિયા સામે પોતાનું મોઢું સારું દેખાડવા માટે ફકત એમ કહી દીધું કે, ‘કેનેડીયન સરકાર ભારતમાં અલગતાવાદી ચળવળને પુનજીર્વિત કરવાનો પ્રયાસ કરનાર કોઈને પણ સમર્થન નથી આપી રહી,

પરંતુ તેઓ પોતાના નાગરિકોને કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શન કરવા માટે વાણી સ્વતંત્રતાના હકને છીનવી ન શકે.’ આ સાથે જ ભારતે એવો પણ આક્ષેપ કર્યો છે કે કેનેડા ‘ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ’ને આશ્રય આપે છે કે જે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે ખતરો છે. ભારતે તેના આતંકવાદ વિરોધી કાયદા હેઠળ અનેક વ્યક્તિઓ અને જૂથોને ‘આતંકવાદી’ તરીકે સૂચિબદ્ધ કર્યા છે કે જેમાં નિજ્જરનો પણ સમાવેશ થાય છે. અગાઉ ભારતે કેનેડા પાસેથી કેટલાક શંકાશીલ આતંકીઓ અને ઉગ્રવાદીઓનાં પ્રત્યાર્પણની પણ માંગ કરી હતી પરંતુ કેનેડા સદાયની જેમ આ બાબતને નકારતું રહ્યું છે. ભારત અવારનવાર કેનેડાના કેટલાક રાજકીય વ્યક્તિઓ દ્વારા ખાલિસ્તાન માટે સહાનુભૂતિ અથવા સમર્થન દર્શાવવા પર પણ નારાજગી વ્યક્ત કરતું રહ્યું છે. પરંતુ કેનેડા ભારતની નારજગીને હંમેશની જેમ નજર-અંદાઝ કરી રહ્યું હતું. કેનેડા અને ભારત વચ્ચે વાર્ષિક આશરે 8 બિલિયન ડોલરના મૂલ્યના દ્વિપક્ષીય વેપાર સંબંધો છે. બંને દેશો વર્ષ 2010થી વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર વાટાઘાટો કરી રહ્યા છે.

તાજેતરમાં આ જ ખાલિસ્તાન મુદ્દાને કારણે બંને દેશો વચ્ચે યોજાનારી આર્થિક બાબતો અંગેની એક બેઠકને પણ રદ કરવામાં આવી હતી. જે બાદ હવે, બંને દેશોએ એકબીજાના રાજદ્વારી અધિકારીઓને હાંકી કાઢતા એવું લાગી રહ્યું છે કે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોનો પણ અંત આવશે. ભારત અને કેનેડા વચ્ચેનો વર્તમાન વિવાદ ટૂંક સમયમાં ઉકેલાય તેવી શક્યતા નથી, કારણ કે બંને દેશોએ આ મામલે સખત વલણ અપનાવ્યું છે અને ડી-એસ્કેલેશન (તણાવ ઓછા કરવાના પ્રયત્નો)ના કોઈ સંકેતો દર્શાવ્યા નથી. ટ્રુડોએ કહ્યું છે કે તેઓ ભારત સામેના તેમના આરોપોથી પીછેહઠ કરશે નહીં, અને તેઓ માનવાધિકાર અને લોકશાહી માટે પોતાનું સ્ટેન્ડ યથાવત રાખશે. જ્યારે ભારતે પણ ડંકાની ચોંટે કેનેડાને કહી દીધું છે કે ભારત પોતાની આંતરિક બાબતોમાં અન્ય કોઈ દેશ તરફથી કોઈપણ પ્રકારની દખલગીરી સહન કરશે નહીં. અને ભારત સરકાર કેનેડા પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાનો આદર કરે.’

Advertisement
Advertisement
Advertisement