32 વર્ષના કરિયરમાં આ પહેલીવાર નથી કે જ્યારે અક્ષય કુમાર ફ્લોપ ફિલ્મો આપી રહ્યો હોય. જ્યારે પણ નિષ્ફળતાનો દૌર આટલો લાંબો સમય ચાલ્યો, ત્યારે તે પ્રેક્ષકોને સાંભળતો અને પોતાને ફરીથી સ્થાપિત કરતો રહ્યો છે. 1990ના દાયકામાં એક્શન સ્ટાર તરીકે ડેબ્યૂ કર્યા બાદ અક્ષયે 2000ના દાયકાની ‘હેરાફેરી’ અને ’ધડકન’ દ્વારા પોતાને ફરી કોમિક અને રોમેન્ટિક હીરો તરીકે લોકો સમક્ષ રજૂ કર્યો હતો.
‘લક્ષ્મી બોમ્બ’ ને કારણે સર્જાયેલા વિવાદ બાદ અક્ષય કુમારની પડતી શરૂ થઈ હતી. હિંદુ સેના નામના સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ તત્કાલીન સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને ફરિયાદ નોંધાવી હતી. તેઓએ માંગ કરી હતી કે સરકારે દેવી લક્ષ્મીના નામની મજાક ઉડાવવા બદલ ‘લક્ષ્મી બોમ્બ’ના પ્રમોટર્સ, કાસ્ટ અને ક્રૂ સામે કાર્યવાહી કરવી જોઈએ. આખરે આ ફિલ્મનું નામ બદલીને ’લક્ષ્મી’ રાખવામાં આવ્યું હતું.
અવારનવાર અક્ષય કુમારને તેની કેનેડિયન નાગરિકતા મુદ્દે ગાળો ભાંડવામાં આવતી હોય છે. જો કે આ મુદ્દે પણ તેણે સ્પષ્ટતા કરી જ છે, તે કહે છે કે, ‘હું મારી નાગરિકતાને કારણે ફેલાઈ રહેલી નકારાત્મકતાને સમજી શકતો નથી. મેં ક્યારેય છુપાવ્યું નથી કે મારી પાસે કેનેડિયન પાસપોર્ટ છે. તે પણ સાચું છે કે, હું છેલ્લા સાત વર્ષમાં કેનેડા ગયો નથી. હું ભારતમાં કામ કરું છું અને મારા બધા ટેક્સ પણ ભારતમાં જ ભરું છું.’
અભિનેતા અક્ષય કુમારે તાજેતરમાં જ એક ટીવી ઇન્ટરવ્યૂમાં પોતાની ફ્લોપ ફિલ્મો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મારા માટે સૌથી મોટી શીખ એ છે કે મારા પ્રેક્ષકો એમ ઇચ્છે છે કે હું આડા અવળા અખતરા કરવાને બદલે એક્શન, કોમેડી ફિલ્મો તરફ પાછો ફરું. ફિલ્મો ફ્લોપ જાય તો તેના માટે હું કોઈને જવાબદાર ઠેરવાતો નથી. મતેમાં ફકત મારી જ ભૂલ છે,’ અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં ‘સૂર્યવંશી’ બાદ અક્ષય કુમારે એક પછી એક ઘણી ફ્લોપ ફિલ્મો આપી છે. જેમાં અતરંગી રે, બચ્ચન પાંડે, સમ્રાટ પૃથ્વીરાજ, રક્ષાબંધન, રામસેતુ અને સેલ્ફીનો સમાવેશ થાય છે.
ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ અને ‘રામ સેતુ’માં દેખીતી રીતે જ તે હિંદુ રાષ્ટ્રવાદીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ નું પ્રીમિયર નવી દિલ્હીમાં થયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે આ ફિલ્મ મહિલાનું સન્માન કરવાની અને મહિલા સશક્તિકરણની ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. આ ફિલ્મના ટ્રેલરમાં પૃથ્વીરાજને આઝાદી સુધી દેશના છેલ્લા હિન્દુ શાસક તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા. જો કે આ હકીકત ખોટી હતી. આમ છતાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં આ ફિલ્મ કરમુક્ત બની હતી. આ ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર છે. પરંતુ, તેનાથી કોઈ ફાયદો ન થયો. ફિલ્મનું બજેટ 175 કરોડ હતું અને તેણે વિશ્ર્વભરમાં માત્ર 90 કરોડની કમાણી કરી હતી. આમ આ ફિલ્મ અક્ષય કુમારની સૌથી મોટી ફ્લોપ સાબિત થઈ હતી.
હિન્દુ રાષ્ટ્રવાદની થીમ સાથેની બીજી ફિલ્મ ‘રામસેતુ’ હતી. એમાં અક્ષય કુમારે ભારત અને શ્રીલંકા વચ્ચેનો પૌરાણિક સેતુ ખરેખર અસ્તિત્વ ધરાવે છે એવું માનનારા એક વિજ્ઞાનીનો રોલ કર્યો હતો. આ મૂવી પણ બોક્સ ઓફિસ પર કોઈ કમાલ કરી શકી ન હતી. બજેટ 150 કરોડ હતું અને માત્ર 93 કરોડની કમાણી થઈ હતી. જ્યારે અક્ષય કુમારની અન્ય ફિલ્મો બોક્સ ઓફિસના વલણો સાથે સુસંગત હતી. બચ્ચન પાંડે’ એ 2014ની તમિળ હિટ ફિલ્મ ‘જિગરથંડા’ ની રીમેક હતી. ’અતરંગી રે’માં તમિલ સુપરસ્ટાર ધનુષની મહત્વની ભૂમિકા હતી. એ જ રીતે ‘સેલ્ફી’ પણ મલયાલમ સ્ટાર પૃથ્વીરાજના ડ્રાઇવિંગ લાઇસન્સની રિમેક હતી. પરંતુ આમાંથી એક પણ ફોર્મ્યુલા બોલિવુડમાં પોતાનું મેજિક બતાવી શકી નહીં.
બચ્ચન પાંડેએ 180 કરોડના બજેટ સામે 73 કરોડની કમાણી કરી હતી. અતરંગી રેને સીધી ઓટીટી પર રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે 150 કરોડના બજેટ પર બનેલી ‘સેલ્ફી’ પહેલા અઠવાડિયામાં માત્ર 17 કરોડ રૂપિયાની જ કમાણી કરી શકી હતી. ફિલ્મ ‘રક્ષાબંધન’નું બોક્સ ઓફિસ કલેક્શન 61 કરોડ રૂપિયા હતું, જ્યારે બજેટ 70 કરોડ હતું.
નવાઈની વાત તો એ છે કે ભૂતકાળમાં કોમિક અને એક્શન હીરોની છાપના સહારે જ અક્ષય કુમાર વર્ષો સુધી દર વર્ષે સૌથી વધુ સફળ ફિલ્મો આપનાર સ્ટાર બની રહ્યોં હતો.
સફળતાની ટોચ પર રહેલા અક્ષય કુમારે કેનેડાની નાગરિકતા માટે અરજી કરી હતી અને દીપા મહેતાની ફિલ્મ ‘વોટર’માં કામ કરવા તૈયાર થઈ ગયો હતો. તે પછી 2007 એ વર્ષ હતું જ્યાં તેણે તમામ પ્રકારની ફિલ્મો કરી હતી. ‘નમસ્તે લંડન’ એક સોશિયલ ડ્રામા હતો અને આ દ્વારા અક્ષય કુમાર પહેલીવાર મનોજ કુમાર બનવા તરફ આગળ વધ્યો હતો. ‘હે બેબી’ કોમેડી હતી, જ્યારે ‘ભૂલ ભુલૈયા’ હોરર કોમેડી હતી. પરંતુ, આ પછી, ફરીથી ઘણી નિષ્ફળતા મળી અને પછી અક્ષય કુમારે દેશભક્તિની ફિલ્મોમાં કામ કરવાનો પ્રવાહ પસંદ કર્યો હતો.
નીરજ પાંડેની ‘સ્પેશિયલ 26’ 2013માં આવી હતી. એમાં અક્ષયે ઠગનો રોલ કર્યો હતો. ‘બેબી’માં તે એક સ્પાય ઓફિસર બન્યો હતો. 2016માં રિલીઝ થયેલી ’એરલિફ્ટ’માં એક એનઆરઆઈનો રોલ કર્યો કે જે જે વિદેશમાં ભારતીય લોકોને મદદ કરે છે. ‘રૂસ્તમ’માં તે નેવી ઓફિસર બન્યો હતો, જેના પર પત્નીના પ્રેમીની હત્યાનો આરોપ લાગ્યો હતો. આ બંને ફિલ્મો માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આ સમય સુધીમાં તે પડદા પર રાષ્ટ્રધ્વજ ફરકાવી લોકોનું દિલ જીતનાર હીરો બની ગયા હતા. પરંતુ, 2017માં રિલીઝ થયેલી ‘ટોઇલેટ: એક પ્રેમ કથા’થી તેમણે સરકારી કાર્યક્રમો સાથે પોતાની જાતને જોડવાનું શરૂ કર્યું હતું. તેઓ સ્વચ્છ ભારત મિશનના બિનસત્તાવાર રાજદૂત બન્યા હતા. ‘પેડ મેન’ 2018માં આવી હતી. આ ફિલ્મ અરુણાચલમ મુરુગનાન્થમની બાયોપિક હતી, જેણે મહિલાઓને ઓછી કિંમતના સેનિટરી નેપકીન્સ પૂરા પાડ્યા હતા. આ પછી અક્ષય કુમારનો ફરી સુવર્ણયુગ શરૂ થયો હતો જ્યાં એની ફિલ્મોએ બોક્સ ઑફિસ પર સારો બિઝનેસ કર્યો હતો.
વર્ષ 2019માં પીએમ નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ લેવા માટે સમગ્ર બોલિવૂડમાંથી અક્ષય કુમારની પસંદગી કરવામાં આવી હતી. આ પછી તેની ફિલ્મ ‘અતરંગી રે’ વિવાદમાં આવી હતી. તેના પર લવ જેહાદનો આરોપ હતો. BoycottAtrangiRe સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી હતી. આ ફિલ્મમાં લવ જેહાદને પ્રમોટ કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, કારણ કે અક્ષય કુમારે એક મુસ્લિમ જાદુગરનો રોલ કર્યો હતો, જે એક હિન્દુ મહિલાના પ્રેમમાં પડે છે. આ સમયે જ વિવેચકોએ 2012માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઓએમજી: ઓહ માય ગોડ’ને લઈને ફરીથી વિવાદ ઉભો કર્યો હતો કે જેમાં હિન્દુ ધર્મની ધાર્મિક વિધિઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
તાજેતરમાં જ્યારે તેમની નાગરિકતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે, આંસુભરી આંખો સાથે તેમણે કહ્યું કે તેમને અપમાનજનક રીતે કેનેડિયન કુમાર કહેવામાં આવે છે. અક્ષયે કહ્યું કે 1990ના દાયકામાં તેમણે કેનેડાના પાસપોર્ટ માટે અરજી કરી હતી ત્યારે એની 15 ફિલ્મો ફ્લોપ નીવડી હતી. અક્ષયે કહ્યું હતું, ‘મારી ફિલ્મો ફ્લોપ થઈ રહી હતી અને દરેકને પૈસા કમાવવા પડે છે. આથી હું કેનેડા કોઈ નોકરી ધંધા માટે ગયો હતો. મારો મિત્ર કેનેડામાં હતો અને તેણે જ મને બોલાવ્યો હતો. મેં પાસપોર્ટ માટે અરજી કરી અને માંને ત્યાંની નાગરિકતા મળી ગઈ હતી. અનેક ફ્લોપ ફિલ્મો બાદ મારી માત્ર બે જ ફિલ્મો ભારતમાં રિલીઝ થવાની બાકી હતી. સદ્ભાગ્યે બંને ફિલ્મો સુપરહિટ નીવડી હતી. પછી મેં ફરીથી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.’
પરંતુ આ સમગ્ર મુદ્દો ચર્ચાનું કારણ હાલ એટલા માટે બન્યો છે કે અક્ષય કુમારે હવે ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી છે. ભારતીય નાગરિકતા મળ્યા બાદ તે કેનેડાની નાગરિકતા છોડી દેશે તેવી વાતો વહેતી થઈ છે. પરંતુ, બોલીવૂડનો તાજેતરનો ઇતિહાસ દર્શાવે છે કે હિંદુ રાષ્ટ્રવાદીઓ, ફિલ્મ સર્જકો કે અભિનેતાઓનું ગમે તેટલું તુષ્ટિકરણ થાય તો પણ તેને ટીકાથી બચાવી શકાય તેમ નથી. કરણ જોહરનું ઉદાહરણ સામે છે. તેમની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં પાકિસ્તાની કલાકારોને કાસ્ટ કરવા બદલ તેમની ટીકા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેણે વીડિયો મેસેજ જારી કરીને માફી માંગી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહોતો. આથી હવે જોવાનું એ રહેશે કે અક્ષય કુમાર ફરીથી ભારતીય નાગરિકતા મેળવીને સો કોલ્ડ દેશભક્ત બને છે કે નહીં અને ત્યાર બાદ રિલીઝ થનારી તેની ફિલ્મો સુપર ડુપર હિટ થાય છે કે નહીં !