► રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ જ નહીં, મતાધિકાર પણ જોખમમાં છે
► કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સુરતની અદાલતે બે વર્ષની સજા ફટકારીને તેમાંથી બચવા માટે 30 દિવસનો સમય આપ્યો જેનું કાઉન્ટ ડાઉન તે જ મીનીટે શરૂ થઇ ગયું હતું અને હવે રાહુલે રાજકીય સાથે કાનુની લડાઇ પણ આપવી પડશે પણ મહત્વનું એ છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પોતાની ભૂલમાંથી પણ શીખવા તૈયાર નથી
► બદનક્ષી ધારાની કલમ 499ને વધુ ધારદાર બનાવવા રાહુલ ગાંધીના પિતા અને પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીએ પ્રયત્ન કર્યો હતો જો તે સુધારો મંજૂર થયો હતો તો કદાચ રાહુલના માટે બચાવની એક પણ તક ન હોત અને 2013માં તેઓએ જ તેમની મનમોહન સરકારનો એક વટહુકમ ફાડીને પોતાની રાજકીય નૈતિકતા દર્શાવવા પ્રયત્ન કર્યો પરંતુ જો એ વટહુકમ મંજૂર થયો હોત તો ફકત ગઇકાલના ચુકાદાના એક સ્ટેથી રાહુલનું સભ્યપદ અને રાજકીય કારકીર્દી બચી શકી હોત
► રાહુલને ફકત બે વર્ષની સજાનો જ મુદો નથી જો સજા કાયમ રહે તો તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં આમ આઠ વર્ષ તેમના માટે ‘લીન’ પુરવાર થઇ શકશે, શુટ એન્ડ સ્કુટ એટલે કે બોલી અને નાસી જવું તે હવે આજના રાજકારણમાં શકય નથી, શબ્દો તમારો લાંબા સમય સુધી પીછો કરે છે અને હવે તેમાં કાનુન પણ જોડાયો છે, ભુતકાળમાં પણ રાહુલને માફી માંગવી પડી હતી અને સુપ્રિમ તે ભુલી નહીં હોય
શુટ એન્ડ સ્કુટ... આ વોર વર્ડ છે જયારે કોઇ એક ટાર્ગેટ પર હુમલો કરી ત્યાંથી સલામત દુર થઇ જવાનું છે તે સમયે આ શબ્દનો ઉપયોગ કરાય છે અને તેનાથી બેકફાયરથી બચી શકાય છે પોલીટીકસમાં તમારા શબ્દો તમારો લાંબો સમય સુધી પીછો કરે છે અને વળતો આક્રમણ પણ થાય છે અને હવે તો કાનુન પણ તમને છોડતો નથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને તેના જ શબ્દો બેકફાયર થયા છે અને હવે તેમનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. લોકસભાનું સભ્યપદ પણ તાત્કાલીક જોખમમાં છે અને જો રાહુલ ગાંધી વળતી કાનુની લડાઇ જીતશે નહીં તો તેઓને સજાના બે વર્ષ અને ત્યારબાદ અદાલત દ્વારા થતી સજા અને જેલવાસ કાપવા બદલ તેમના પર લોકપ્રતિનિધિત્વ ધારાની વધુ એક જોગવાઇ લાગુ થશે તેમાં તેઓ છ વર્ષ સુધી તેઓ ચૂંટણી લડી શકશે નહીં તેમનો મતાધિકાર પણ છીનવાઇ શકે છે. જે એક મોટુ પોલીટીકલ ડેમેજ હશે. સૌથી મહત્વનું એ છે કે આ ક્રીમીનલ ડેફમેશનનો કેસ છે અને તેથી રાહુલા ગાંધી માફી માંગીને પણ છટકી શકશે નહીં તેઓ પાસે હવે હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ કોઇ તાત્કાલીક રાહત આપે તે પ્રાથમિકતા હશે અને સજા રદ કરાવવા સિવાય કોઇ વિકલ્પ નથી તેમાં પણ સમય પણ ઓછો છે. ફકત 30 દિવસમાં તેઓએ તેમના કાનુની નિષ્ણાંતોને પૂરી રીતે એકશનમાં આવવું પડશે અને ગઇકાલે સુરતની અદાલતે રાહુલ ગાંધીને એક જ દિવસમાં દોષિત ઠેરવ્યા અને સજાની જાહેરાત કરી તે મીનીટથી જ કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે.
રાહુલ ગાંધીને ઇન્ડીયન પેનલ કોર્ટ એટલે કે આઇપીસીની ધારા 499 અને પ00 હેઠળ સજા થઇ છે અને તે ક્રિમીનલ ડેફોમેશનની છે અને હવે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંસદમાં ખાનગી સભ્યનો ખરડો રજૂ કરી ક્રિમીનલ ડેફમેશન એટલે કે બદનક્ષીની આ જે કલમો છે તેને આઇપીસીમાંથી બહાર કરવા સુધારા ખરડો રજૂ કરવાની જાહેરાત કરી છે પરંતુ તે સ્વીકારાય તેવી શકયતા નથી. કારણ કે આ એવું કાનુની હથિયાર રાજનેતાઓ પાસે આવી ગયું છે જેમાં વિરોધી જેલના સળીયા ગણતા કરી શકાય છે. રાઘવ ચઢ્ઢાનો આરોપ છે કે વર્તમાન શાસક પક્ષ વિરોધીઓને ખતમ કરવા તેનો દુરઉપયોગ કરી રહ્યો છે પણ આ અલગ રાજકીય વિષય છે અને ડેફમેશનને રાજકીય ફોજદારી પ્રક્રિયા એટલે કે ક્રિમીલાઇઝેશન માંથી રદ કરવા આ કોઇ પ્રથમ વખત લોકસભામાં ખરડો રજૂ થયો છે તેવું નથી ર017માં બીજુ જનતા દળના સાંસદ તથાગત સત્યપથીએ રાઇટ ટુ પ્રોટેકશન ફોર સ્પીચ એન્ડ રેપ્યુટેશન ટાઇટલથી ખરડો રજૂ કર્યો હતો અને તેમાં પણ આ જ માંગણી હતી પરંતુ તે સ્વીકારાયો નહીં. હવે ચઢ્ઢાની ખરડાની પણ આ જ હાલત થશે તે નિશ્ચિત છે.
કલમ 499 અને પ00ની જોગવાઇ વિસ્તૃત છે જયાં કલમ 499 કોઇપણ વ્યકિત બોલીને અથવા તો વાંચીને કે પછી જે પછી વાંચવાના હોય તે ઇરાદો દર્શાવે અથવા તો સાંકેતિક રીતે પણ અન્ય કોઇ વ્યકિત પર કે સમુદાય પર ખોટા આરોપ લગાવે તેના કારણે તેની સામાજીક અને વ્યકિતગત પ્રતિષ્ઠાને હાની પહોંચે તે બદલ કલમ 499 હેઠળ બદનક્ષીનો ફોજદારી કેસ થઇ શકે છે અને કલમ પ00માં તે હેઠળ સજાની જોગવાઇ છે. રાહુલ ગાંધીને બે વર્ષની સજા કલમ પ00 હેઠળ અપાય છે અને તેમાં ખુબ જ જટીલ કાનુની દલીલો થઇ હતી અને હજુ પણ જોવા મળશે. જેમાં રાહુલ ગાંધીએ છેલ્લે અદાલતમાં એમ કહીને બચાવ કરવાનો પ્રયત્ન કર્યો કે તેઓ રાજનેતા તરીકે પોતાની ફરજ બજાવી છે તો પણ તે સ્વીકાર્ય બન્યું નથી. અદાલતે પણ ત્યાં સુધી કહ્યું કે એક રાજનેતા અને એક સાંસદ તરીકે તમારે વધુ જવાબદારીપૂર્વક બોલવાની જરૂર છે. હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં આ કાનુન અને બંધારણ દ્વારા આપવામાં આવેલી અભિવ્યકિતની આઝાદી સહિતના અનેક મુદાઓ ચર્ચાશે પરંતુ કદાચ રાહુલ ગાંધી માટે હવે બચાવની બહુ શકયતા નથી.
એ વાસ્તવિકતા છે કે આ કાનુન બ્રિટીશ શાસનની દેન છે જયારે તેમના શાસન સામે કોઇ હરફ ન ઉચ્ચારી શકે તેમ માટે બનાવાયો હતો અને બ્રિટનમાં તે લાગુ નથી પરંતુ ભારતમાં તે વધુ આક્રોશ બનાવાયો છે. રાહુલ ગાંધીએ આભાર માનવો જોઇએ કે તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ તો આ કાનુનની વધુ ધારદાર બનાવવા માટે કોશીશ કરી હતી અને હાલની જોગવાઇ બદલીને બદનક્ષી સાબિત કરવાની જવાબદારી હાલ ફરીયાદીની છે તેના બદલે આરોપી એ સાબિત કરવાનું રહેતું હતું કે તેના વિરોધીથી કોઇ બદનક્ષી થઇ નથી. અને જો એ સુધારો મંજૂર થયો હોત તો આ કેસ લાંબો ચાલ્યો પણ ન હોત, દેશભરમાં તે સમયે મીડીયા પાવરફુલ હતું અને સરકારનો ઇરાદો મીડીયાને મુશ્કેલીમાં મુકવાનો હતો અને તેથી જ સરકાર પણ દબાણ આવ્યું અને રાજીવ ગાંધીને તેનો સુધારો ખરડો પાછો ખેંચવાની ફરજ પડી હતી.
વાસ્તવમાં રાહુલ ગાંધીની તરફેણમાં દલીલ કરતા કોંગ્રેસના ધારાશાસ્ત્રી ગૌરવ ભાટીયાએ આ ચુકાદાથી તેઓ સ્તબ્ધ છે બદનક્ષીની ધારા કલમ 101માં દર્શાવાયુ છે કે ફરિયાદ પક્ષ એ જયાં સુધી એ સાબિત ન કરે કે તેના સીધા રેફરન્સ આ વાત કરાઇ છે ત્યાં સુધી તેને જનરલાઇઝ કરી શકાય નહી. આ કેસમાં ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ તેમની અને મોદી સમાજની બદનક્ષી થઇ છે તેવું દર્શાવીને કેસ કર્યો હતો તેમાં સફળ નિવડયા છે.
2013માં સુપ્રિમ કોર્ટ એ લીલી થોમસ વિરૂધ્ધ કેન્દ્ર સરકારના કેસમાં લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 8(4) રદ કરી હતી જેમાં દર્શાવાયું હતું કે ધારાસભ્ય કે સાંસદ તેની સજા સામે અપીલ કરે તો તેનું સભ્ય પદ સલામત રહેતુ હતું. પરંતુ તેનાથી આ ધારાની અને બંધારણીય જોગવાઇનો ખુલ્લેઆમ ભંગ થતો હતો તેથી કેરળના એક સંગઠન વતી થયેલી રીટમાં સુપ્રિમ કોર્ટે માન્ય રાખીને ફકત અપીલ નહીં પરંતુ ઉપલી અદાલતો દ્વારા દોષ અને સજા બંનેમાં સ્ટે આપવામાં આવે તો જ સભ્યપદ સલામત રહે તે જોગવાઇને માન્ય રાખી હતી. અને તે બાદ તે સમયની મનમોહન સરકારે સુપ્રિમના ચુકાદાને નિરર્થક કરવા ખાસ વટહુકમ બહાર પાડવાની તૈયારી કરી જેની કેબીનેટની મંજૂરી મળી ગઇ હતી. રાહુલ ગાંધીએ તેની સામે અસંમતિ દર્શાવી એટલું જ નહીં પત્રકાર પરિષદમાં જાહેરમાં આ વટહુકમના કાગળના લીરા ઉડાડયા અને હવે તેઓ ખુદ પોતે જે વટહુકમ મંજૂર થવા ન દીધો કે કાનુન બનવા ન દીધો તેના ભોગ બની રહ્યા છે. કદાચ તેમની પોતાની નૈતિકતા યોગ્ય હોય તો પણ કાનુની રીતે તેમનો સમય શરૂ થઇ ગયો છે અને હવે 30 દિવસ સૌથી મહત્વના બની રહેશે.
ચોકીદાર ચોર હૈ : રાહુલે સુપ્રિમના મોઢામાં શબ્દો મુકીને બાદમાં માફી માંગી હતી
રાફેલ કાંડમાં જયારે સર્વોચ્ચ અદાલતે તેના પ્રાથમિક નિરીક્ષણમાં કેટલાક પુરાવા અને અન્ય માહિતી માંગી તો રાહુલ ગાંધીએ તે સમયે એવું પણ વિધાન કર્યુ કે સર્વોચ્ચ અદાલતે સ્વીકાર્યુ કે ચોકીદાર ચોર છે. વાસ્તવમાં સુપ્રિમના કોઇપણ તબકકામાં આવો પ્રશ્ન ઉઠાવાયો ન હતો અને તેથી જ તે સમયના તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની ખંડપીઠ સમક્ષ જયારે રાહુલ ગાંધી સામે સુપ્રિમ કોર્ટની અવમાનનાનો કેસ આવ્યો તો રાહુલ ગાંધીને પોતાની ભુલનો અહેસાસ થયો અને તેઓએ બાદમાં સુપ્રિમ કોર્ટની માફી માંગીને મામલો પૂરો કર્યો હતો પરંતુ આ કેસમાં માફીને કોઇ સ્થાન જ નથી. રાહુલે તે સમયે પોતે અખબારી અહેવાલોના આધારે આ વિધાન કર્યુ હતું તે કહીને છટકવા પ્રયત્ન કર્યો પણ કાનુન કદી અખબાર વાંચતું નથી તે ભૂલી ગયા હતા.