♦ ભારતે પ્રથમ વખત એક પશ્ચિમના દેશ સાથે નવી ડિપ્લોમસી અપનાવી છે તે પણ રસપ્રદ છે
♦ કેનેડા અને ભારત વચ્ચે વધતા જતા તનાવ એ લાખો ભારતીયોઓની ચિંતા વધારી છે પરંતુ મોદી સરકારની ડિપ્લોમસીમાં હંમેશા ભારતીયો જ કેન્દ્રમાં રહ્યા છે ખાલિસ્તાન પ્રત્યેનો ટ્રુડોનો પ્રેમ પોલીટીકલ હોય શકે અને કેનેડાના અન્ય રાજકીય નેતાઓ જે હાલ ટ્રુડો નીતિ કરી રહ્યા છે તે પણ પોલીટીકલ છે કારણ કે તેમને પણ અંતે તો 40 વર્ષથી વધુ સમયથી અહીં વસેલા શીખોના મતો મહત્વના છે અને તેથી આ વિવાદએ સરકારની ફોરેન પોલીસીનો ટેસ્ટ મોડેલ પણ બની જશે
♦ એ વાસ્તવિકતા છે કે છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાની આતંકવાદીઓના મોત રહસ્યમય રહ્યા છે પરંતુ ભારત એ ઇઝરાયલ નથી કે વિદેશી ધરતી પર જઇને કોઇ આ પ્રકારનું ઓપરેશન કરે (સર્જીકલ સ્ટ્રાઇકની વાત જુદી છે) ‘રો’નું કલ્ચર મોસાદ (ઇઝરાયલ એજન્સી) રહ્યું નથી પણ પાકિસ્તાન અને અમેરિકામાં પણ ખાલિસ્તાનીઓની હત્યા થઇ છે તેની તપાસમાં ભારતે કોઇ દિવસ વિઘ્ન સર્જયુ નથી, કેનેડામાં ટ્રુડોએ પુરાવા વગર જ સીધા આક્ષેપ કર્યા તે પણ દર્શાવે છે કે તેમનું નિશાન અલગ છે
♦ અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો હંમેશા ફલેકસીબલ ડિપ્લોમસી સાથે આગળ વધે છે, કેનેડાને સાથ આપનાર અમેરિકા તેની જ ધરતી પર ખાલિસ્તાની હત્યા થઇ તો શા માટે તપાસ કરતી નથી, મહત્વનું એ છે કે પાકિસ્તાનને 370 અબજ ડોલરની વિશ્ર્વ બેંક સહાયમાં અમેરિકાની ભૂમિકા છે અને તેની સામે યુક્રેનમાં અમેરિકાએ પોતાનો સ્વાર્થ સાધ્યો છે અને ઇમરાનને હટાવવામાં અમેરિકાનો હાથ છે આમ બાઇડન સરકાર પણ ડબલ ગેમ ખેલી રહી છે
કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ તેમના કટ્ટરવાદી સાથેના એક લાચારી બની ગયેલા રાજકીય સંબંધોને છુપાવવા માટે તેમના જ દેશમાં થયેલી ખાલિસ્તાની હત્યાઓ માટે ભારતને જવાબદાર ગણાવીને તેમના જ પોતાના માટે મુશ્કેલી ઉભી કરી છે. ટ્રુડોના કોઇ પુરાવા વગરના આક્ષેપોના કારણે બંને દેશોના સંબંધોને એક મોટી મુશ્કેલીમાં મુકી દીધા છે અને ભારતની ચિંતા સૌથી મોટી એ હોય શકે કે કેનેડામાં વસતા રેડીકલ ખાલિસ્તાનીવાદીઓને કદાચ પહોંચી શકાય પરંતુ અહીંં જે લાખો ભારતીયો વસી ગયા છે અને દર વર્ષે ત્રણથી ચાર લાખ વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા માટે આવે છે તેની સલામતીની ચિંતા સ્વાભાવિક રીતે ભારત સરકારને હોય, કેનેડામાં ખાલિસ્તાની ગમે તેટલું જોર કરે તેમાં ભારતમાં ખાલિસ્તાનનું સ્વપ્ન સાકાર થવાનું નથી તે નિશ્ચિત છે કારણ કે હાલમાં જ વોશિંગ્ટન સ્થિત પીઇડબલ્યુ રીસર્ચ સેન્ટરના એક રીપોર્ટ મુજબ 2021માં તેઓએ જે સર્વે કર્યો હતો તેમાં 95 ટકા શીખો ભારતીય તરીકે ખુશ છે અને 70 ટકા ત્યાં સુધી માને છે કે વિદેશમાં જઇને કોઇ શીખ ભારતની પ્રતિષ્ઠા કે તેના સાર્વભૌમત્વ સાથે કોઇ પ્રશ્ન ઉઠાવવા પ્રયત્ન કરતો હોય તો તે સાચો શીખ નથી અને બહુ થોડા શીખો ખાલિસ્તાન મુવમેન્ટને ટેકો આપતા હશે છતાં પણ વિદેશમાં જે ખાલિસ્તાની ચળવળને હાઇલાઇટ મળી રહી છે સૌ પ્રથમ તો પાકિસ્તાનનું ફંડીંગ, તે કોઇપણ ભોગે ભારત વિરોધ પ્રવૃતિને ઉત્તેજન આપવા માંગે છે અને જયારે કાશ્મીરમાં પાકિસ્તાનની અસ્થિરતાની સામે ભારત સરકારે આકરા પગલા લીધા તેનાથી હવે તે ખાલિસ્તાનીઓને મદદ કરીને એક કાંકરે બે પક્ષી મારવા પ્રયત્ન કરે છે.
સૌપ્રથમ તો ખાલિસ્તાની ભાવના ઉશ્કેરીને આ મુદો જીવતો રાખવા માંગે છે બીજો મુદો એ છે કે અહીં વસતા હિન્દુઓને સતત અસુરક્ષાનો ભાવ સર્જાય તો તેનાથી મોદી સરકારને પણ મુશ્કેલી ઉભી થઇ શકે જયારે બીજી તરફ શીખો કે જે કેનેડામાં સૌથી વધુ વસયા છે તેઓ પણ અહીં વસી ગયા પછી અને વિદેશમાં વસતા ભારતીયોમાં સૌથી વધુ શીખો કેનેડામાં છે તેમને પણ અહીં જે લઘુમતી સ્ટેટસનો સામનો કરવો પડે છે અને ખાસ કરીને ગોરા સમુદાય એ હજુ પણ ચામડીનો ભેદ યથાવત રાખ્યો છે તેથી શીખો પોતાને અલગ ઠલગ મહેસુસ કરે છે. ભારતમાં તેને લઘુમતી કરતા પણ એક લડાયક સમુદાય તરીકે અને દેશની પ્રગતિમાં સૌથી મોટા યોગદાન તરીકે યાદ રાખવામાં આવે છે. ભારતમાં શીખો પ્રત્યે ધૃણા નથી કારણ કે તેઓ ભારતીય છે. એક અલગ પંથ કે સમુદાયમાં તેઓ પોતે આગળ વધતા હોવાથી તેઓ ભારતીય મટી જતા નથી.
પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે કેનેડામાં જે રીતે ભારતે આક્રમક વલણ અપનાવ્યું તે શું ડિપ્લોમસીમાં બદલાવનો પણ સંકેત આપે છે. સૌથી મહત્વનું છે કે ભારત કદી ઇઝરાયલ કે અમેરીકાની જેમ અન્ય દેશની ભૂમિ પર જઇ આ પ્રકારના ઓપરેશનમાં કદી સામેલ થયું નથી. મોસાદની વાત જુદી છે, ‘રો’ (ભારતીય વિદેશી જાસુસી એજન્સી)નું કલ્ચર જુદુ છે અને તેથી ખાલિસ્તાની ઉગ્રવાદીની અમેરિકા કે કેનેડામાં હત્યા અને તેમાં ભારત તરફ જે શંકા વ્યકત થઇ રહી છે. તેમાં શું કોઇ ડિપ્લોમસી ચેઇન બતાવે છે. જો કેનેડાની વાત કરીએ તો ર80 જેટલા કેનેડાના નાગરિકોની જ હત્યામાં ખાલિસ્તાનીઓનું હાથ હોવાનું ખુદ કેનેડીયન પોલીસ સ્વીકારે છે.
એર ઇન્ડીયાની ફલાઇટમાં થયેલા બ્લાસ્ટમાં 3ર9 લોકો માર્યા ગયા જેમાં ર80 કેનેડાના હતા. છતાં પણ ટુડો હજુ સુધી કેમ ખાલિસ્તાની પ્રત્યે એટલી સહાનુભૂતિ ધરાવે છે, જાપાનમાં પણ થયેલા બ્લાસ્ટમાં એક શીખ ઇન્દ્રજીતસિંહ રૈયાતની સંડોવણી ખુલી અને તે બ્રિટીશ કેનેડીયન નાગરિક હતોે. નિજજરની જેમ જ તે બ્રિટીશ કોલંબીયા કે જે કેનેડાનો ભાગ જ છે ત્યાં રહેતો હતો પરંતુ ન્યુયોર્ક સ્થિત વર્લ્ડ શીખ ઓર્ગેનાઇઝેશનની તરફથી 1984માં ન્યુયોર્કમાં એક સંમેલન સમયે એવું કહેવાયું કે 50 હજાર હિન્દુઓની હત્યા ન કરાય ત્યાં સુધી ચેનથી બેસાશે નહીં આ તેમનો આક્રોશ 1984ના ઇન્દીરા ગાંધીની હત્યા બાદના શીખ વિરોધી રમખાણ સામે હતો. છતાં પણ અમેરિકા ચૂપ રહ્યું છે પરંતુ કેનેડામાં ખાલિસ્તાનીઓની મુવમેન્ટ 40 વર્ષ જુની છે. કેનેડાના રાજકીય નેતાઓમાં ભલે હાલ થોડા ટ્રુડોની ટીકા કરતા હોય પણ જો તેમને તક મળે તો તેઓ ખાલિસ્તાની સાથે થઇ જાય તો આશ્ચર્ય થશે નહીં.
જોકે એ પણ વાસ્તવિકતા છે કે થોડા ખાલિસ્તાની તરફી કટ્ટરવાદીની હત્યા હજુ પણ એક રહસ્ય બની રહ્યું છે પરંતુ તે પરદેશની ધરતી પર થઇ છે. અને તેની તપાસમાં ભારત સરકાર કયાં રોકતી નથી તો શા માટે અમેરિકા અને કેનેડા સહિતના દેશો તે તપાસમાં સાચા અપરાધીઓને શોધતા નથી. જયાં સુધી અમેરિકાનો પ્રશ્ન છે તો તેનું વલણ બેવડુ જ રહ્યું છે. અમેરિકામાં પણ ખાલિસ્તાનીઓની હત્યા થઇ, શા માટે બાઇડન કે સરકાર તેમાં અસલી અપરાધીને શોધતી નથી. પાકિસ્તાનના લાહોરમાં પણ પરમજીતસિંહ પંજવારની હત્યા થઇ હતી. શા માટે પાકિસ્તાન સરકાર સાચા અપરાધીને શોધ્યા નહીં અને નિજજરની હત્યામાં તુર્ત જ ભારતની ભૂમિકા અંગે અમેરિકાએ પણ કેનેડાને અડધા સૂરે સાથ આપ્યો તેની પાછળ પણ અમેરિકાની ડિપ્લોમસી છે. હાલમાં જ જે રીતે એક આવેલા અહેવાલમાં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળમાં પાકિસ્તાનને 300 અબજ ડોલરની સહાય અપાય તેમાં અમેરિકાની મંજુરી વગર શકય ન હતુ અને અમેરિકાએ જે શરતો મુકી હતી. તેમાં પાકિસ્તાને યુક્રેનને શસ્ત્રો પુરા પાડવા અને પાકિસ્તાનમાં ઇમરાન સરકારની બરતરફી અને તે એક પેકેજ ડીલ હતું. અમેરિકા પાકિસ્તાનને પણ પોતાના હાથમાં રાખવામાં માંગે છે. ભારતને વધુ સાથે રાખે તેમાં મુખ્ય કારણ એ છે કે ચીન સામે લડવામાં ભારત જે સક્ષમ છે તે પાકિસ્તાન નથી કે એશિયાનો અન્ય દેશ નથી અને તેથી બાઇડન કે અમેરિકા તંત્ર હોય એક આર્થિક તાકાત તરીકે અને ઉભરતી લશ્કરી તાકાત તરીકે પણ ભારતની જરૂર છે. છતાં પણ તેણે પાકિસ્તાનને સાવ ‘રાઇટ-ઓફ’ કરી નાંખ્યુ નથી આમ કેનેડાની એક કટોકટીના અનેક પ્રશ્નો ઉભા થાય છે.
પરંતુ ભારતમાં સૌથી મોટી ચિંતા ત્યાં વસતા ભારતીયોની છે કે જેને યુક્રેનની જેમ એરલીફટ કરવા પણ સહેલા નથી યુક્રેનમાં ફકત ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ગયા હતા નહીં કે તેઓ ત્યાં વસવાટ કરવાના હતા. અન્ય દેશોમાં પણ કદાચ તે જ પરિસ્થિતિ હશે. પરંતુ કેનેડામાં જે રીતે ભારતીયોએ પોતાનું અમેરિકા બાદનું બીજુ વતન બનાવ્યું છે તે પછી આ પ્રકારના ડિપ્લોમટી તનાવ એ ભારતની ચિંતા હશે. મોદી સરકારે જે આક્રમક નીતિ અપનાવી છે તે અમેરિકાને જવાબ હશે અને ટ્રુડોના વિરોધીઓ હાલ ભારતની સાથે જ પરંતુ તેનાથી ખાલિસ્તાની કટ્ટરવાદીની નોંધપાત્ર તાકાત છે તે બદલાશે કે કેમ તે પ્રશ્ન છે. ભારતે પ્રથમ વખત એક પશ્ચિમના દેશ સાથે નવી ડિપ્લોમસી નીતિ અપનાવી છે તે પણ રસપ્રદ છે.