ગાંધીનગર,તા.13
ગુજરાત સહિત દેશભરમા વધતા માર્ગ અકસ્માતો વિશે સરકાર ચિંતીત છે અને તે અટકાવવા માટે વખતોવખત નવા પગલા જાહેર થતા હોવા છતાં દુર્ઘટનાનો સિલસિલો અટકતો નથી. ગુજરાતમાં 2013થી 2022ના ગાળા દરમ્યાન માર્ગ અકસ્માતોમાં 75738 લોકોએ જાન ગુમાવ્યા હતા અને દેશમાં સૌથી વધુ અકસ્માત મોતમાં આઠમુ રાજય બન્યુ હતું.
લોકસભામાં રજુ કરાયેલા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 2016થી 2022ના સાત વર્ષના ગાળામાં માર્ગ અકસ્માતમાં 4072 સગીર (18 વર્ષથી ઓછી ઉંમર) ભોગ બન્યા હતા. 18થી25 વર્ષના 10426, 25થી60 વર્ષના 35725 તથા 60 વર્ષથી વધુ વયના 3095 લોકો મોતને ભેટયા હતા.
છેલ્લા 10 વર્ષમાં માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ 197283 મોત ઉતરપ્રદેશમાં નોંધાયા હતા. બીજા ક્રમે તામીલનાડુમાં 165847, મહારાષ્ટ્રમાં 120613, કર્ણાટકમાં 106544, મધ્યપ્રદેશમાં 104874, રાજસ્થાનમાં 102712 તથા આંધ્રપ્રદેશમાં 86035 લોકોનો ભોગ લેવાયો છે.
કેન્દ્રીય પરિવહનમંત્રી નીતીન ગડકરીએ લેખિત જવાબમાં કહ્યું હતું કે 2030 સુધીમાં માર્ગ અકસ્માત તથા મોતની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો કરવા માટે સરકાર કટીબદ્ધ છે. આ માટે માર્ગોની ડીઝાઈનમાં જરૂરી ફેરફારો કરવા સહિતના માર્ગ સલામતીના કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે.
તેઓએ કહ્યું કે, જોખમી બ્લેકસ્પોટ ગણાતા માર્ગોમાં ઈલેકટ્રોનીક ઉપકરણોથી મોનીટરીંગ ગીચ વધુ ટ્રાફીક ધરાવતા માર્ગો માટે ખાસ કદમ ભરવા સહિતના પગલા લેવામાં આવી રહ્યા છે.
ચાર વર્ષમાં 2.57 લાખ ટુ-વ્હીલર ચાલકો અકસ્માતોમાં ભોગ બન્યા
પગપાળા જતા 1.11 લાખ લોકોએ પણ જીવ ગુમાવ્યા
કેન્દ્ર સરકારે રજુ કરેલા આંકડાકીય રિપોર્ટ પ્રમાણે 2019થી 2022ના ચાર વર્ષના સમયગાળામાં દેશમાં 2.57 લાખ ટુ-વ્હીલર ચાલકો માર્ગ અકસ્માતોમાં મોતને ભેટયા હતા.
આ સિવાય પગપાળા જતા 1.11 લાખ લોકોનો પણ વાહનોની ટકકર લાગવાની ઘટનાઓમાં ભોગ લેવાયો હતો. આ જ સમયગાળામાં 18050 સાયકલ સવારો, 82301 કારમાં સવાર લોકો તથા 43411 ટ્રકમાં સવાર લોકોનો ભોગ લેવાયો હતો. વાહનચાલકોનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy