અમદાવાદ, તા.14
ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી વોર જેવી પરિસ્થિતિમાં પાકિસ્તાનને ડ્રોન આપનાર તુર્કીમાં ફરવા નહીં જવાનો દેશના ઘણાબધા લોકોએ નિર્ધાર કર્યો છે જેમાં અમદાવાદના જૈન લોટસ ગ્રુપના 800 સભ્યો પણ સામેલ છે.
તુર્કીની ટૂર રદ્દ કરનારા જૈન લોટસ ગ્રુપના સભ્યોએ કહ્યું હતું કે, આપણા દેશના દુશ્મન દેશ પાકિસ્તાનને સપોર્ટ કરનાર તુર્કીમાં અમે ફરવા નહીં જઈએ એટલું જ નહીં, આ વર્ષે કોઈ ટૂર નહીં કરીએ.
પાકિસ્તાને ભારત પર જે ડ્રોનથી હુમલા કર્યા એ ડ્રોન મેડ ઇન તુર્કીનાં હતાં અને આ ડ્રોન તુર્કીએ પાકિસ્તાનને આપ્યાં હતાં. જોકે પાકિસ્તાને કરેલા હુમલામાં ભારતીય સેનાએ ડ્રોન તોડી પાડ્યાં હતાં, પરંતુ બીજી તરફ પાકિસ્તાનને સપોર્ટ કરનાર તુર્કી સામે ભારતીયોમાં રોષ ફેલાયો છે અને તુર્કીમાં ફરવા જવાનો બોયકોટ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે અમદાવાદમાંથી જૈન સમાજના એકસાથે 800 લોકોએ તુર્કીનો પ્રવાસ રદ કરી દીધો છે. એ વિશે વાત કરતાં જૈન લોટસ ગ્રુપના ટ્રેઝરર વિપુલ શાહે કહ્યું હતું કે, ‘પાછલા દિવસોમાં જે પરિસ્થિતિ ઊભી થઈ અને જે રીતે તુર્કી પાકિસ્તાનને સપોર્ટ કરે છે એ જોઈને અમે બધાએ મોરલ ગ્રાઉન્ડ પર વિચાર્યું કે આપણે તુર્કી ન જવું જોઈએ.
આપણા દેશના દુશ્મન દેશ પાકિસ્તાનને બીજો દેશ સપોર્ટ કરતો હોય તો એ દેશને આપણે સપોર્ટ ન કરવો જોઈએ. આ વાતને લઈને અમે ટ્રિપ કેન્સલ કરી છે. દિવાળી પછી અમારા જૈન લોટસ ગ્રુપના 800 જેટલા લોકો તુર્કી જવાના હતા. 12 દિવસ અને 11 રાત્રિની ટૂર પ્લાન કરી હતી.
તુર્કીના કાપાડોકિયા, ઇસ્તાંબુલ સહિત ચાર પ્લેસમાં અમે જવાનું નક્કી કર્યું હતું. બધા સભ્યોએ એક જ દિવસે નહીં પણ દર ત્રીજા દિવસે 80 જણના ગ્રુપમાં તુર્કી પહોંચવાનું આયોજન કર્યું હતું, પરંતુ હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિ ઊભી થઈ છે.
એ જોતાં અમારા પ્રેસિડન્ટ, જોઇન્ટ સેક્રેટરી સહિત કોર કમિટીએ બધાના વ્યક્તિગત મત લીધા અને કમિટીએ જોઇન્ટ નિર્ણય કર્યો કે આપણા દેશના દુશ્મન દેશ પાકિસ્તાનને સપોર્ટ કરનાર દેશ તુર્કીમાં ફરવા માટે નહીં જવું. આપણે આર્મી તરીકે વોર કરવા નથી જઈ શકવાના, પણ દેશના સપોર્ટમાં આટલું તો કરી શકીએને?’
જૈન લોટસ ગ્રુપના પ્રેસિડન્ટ મયૂર શાહે કહ્યું હતું કે, ‘દિવાળી પછી અમે 800 જણે તુર્કીનો પ્લાન કર્યો હતો, પણ આતંકવાદના હુમલા પછી જે પરિસ્થિતિ ડેવલપ થઈ એમાં વિચાર કર્યો કે દુશ્મન દેશને જે સપોર્ટ કરે છે એને ત્યાં ન જઈએ એટલે ટર્કી નથી જવું, દેશની સાથે રહેવું જોઈએ, દેશના સપોર્ટમાં ઊભા રહીએ; એટલે ફાઇનલી પ્લાન ડ્રોપ કર્યો છે.
અમારા ગ્રુપના બધા સભ્યોએ એક મત પર આવીને આ નિર્ણય કર્યો છે. અમારી સામાજિક સંસ્થા છે અને 12 મહિનામાં એકાદ ટૂર પોતાના ખર્ચે કરતા હોઈએ છીએ. અમે સભ્યોની સલામતી, સિક્યોરિટી અને સેફ્ટી પણ વિચારતા હોઈએ છીએ.’
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy