કોલકાતા : ભારતીય ક્રિકેટ ટીમ માટે ’10-પોઇન્ટ માર્ગદર્શિકા’નો અમલ બીસીસીઆઈ દ્વારા ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળને જાણ કરીને શરૂ થઈ ગયો છે. જેમાં કોઇપણ ખેલાડીને સ્ટેડિયમમાં પ્રેકિટસ માટે જવા માટે અલગથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ટીમનાં તમામ ખેલાડીઓ અને સહાયક સભ્યોએ એક જ બસમાં હોટલથી સ્ટેડિયમ સુધીની મુસાફરી કરી હતી. ભારતીય ટીમ 22 જાન્યુઆરીએ ઈડન ગાર્ડન્સ ખાતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે કોલકાતામાં છે.
ઘરઆંગણે અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શરમજનક હાર બાદ બીસીસીઆઈએ 10 મુદ્દાની માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા અનુસાર, ’તમામ ખેલાડીઓએ નિર્ધારિત પ્રેકિટસ સત્રનાં સમગ્ર સમયગાળા માટે રોકાવું પડશે અને સ્થળ પર સાથે મુસાફરી કરવી પડશે. આ નિયમ ખેલાડીઓની પ્રતિબદ્ધતાને સુનિશ્ચિત કરે છે અને ટીમમાં મજબૂત કાર્ય નીતિને પ્રોત્સાહન આપે છે.
ભારતનાં કેપ્ટન રોહિત શર્માએ આ માર્ગદર્શિકાની કેટલીક જોગવાઈઓ સામે વાંધો વ્યક્ત કર્યો છે. જો કે, તે સમજી શકાય છે કે બીસીસીઆઈએ આ 10 માર્ગદર્શિકાઓમાંથી ઓછામાં ઓછી એકને લાગું કરી દીધી છે. સીએબીના પ્રમુખ સ્નેહાસીશ ગાંગુલી સહિત ભારત-ઈંગ્લેન્ડની મેચો હોસ્ટ કરતાં તમામ રાજ્ય ક્રિકેટ બોર્ડ સાથે નવી માર્ગદર્શિકા શેર કરવામાં આવી હતી અને નીતિઓને અનુસરવા માટે એસોસિએશનને કહેવામાં આવ્યું છે.
નવાં નિયમો લાગું થયાં બાદ પ્રથમ વખત ભારતીય ટીમ ટીમ બસમાં ઈડન ગાર્ડન્સ પહોંચી હતી. મુખ્ય કોચ ગૌતમ ગંભીર બસમાંથી સૌથી પહેલાં ઉતર્યા હતાં, ત્યારબાદ તેમનાં સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓ, જેમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હતાં.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી-20 શ્રેણીની પ્રથમ મેચ કોલકાતામાં રમાશે. આ પછી બંને ટીમો 25 જાન્યુઆરીએ ચેન્નાઈમાં ટકરાશે. છેલ્લી ત્રણ ટી-20 મેચ રાજકોટ, પુણે અને મુંબઈમાં યોજાશે. આ પછી, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 6 ફેબ્રુઆરીથી નાગપુરમાં ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy