ભાવનગરમાં હીરાની મોટી ઠગાઇ: આજે ડાયમંડ માર્કેટ બંધ

Crime | Bhavnagar | 09 May, 2025 | 10:35 AM
એસો.ના પ્રમુખ અને દલાલે વેપારી સાથે 76 લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ: અન્ય વેપારીઓના નાણા પણ ડૂબ્યા
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.9
ભાવનગરના પિતા-પુત્ર સહિત ચાર વેપારી પાસેથી હીરા ખરીદ્યા બાદ હીરા દલાલે રકમ ન ચૂકવતાં ભાવનગર ડાયમંડ એસો.ના પ્રમુખે મધ્યસ્થી કર્યા બાદ બાકી રહેતી રૂા. 76 લાખ ચૂકવવા ખાત્રી આપ્યા બાદ બન્નેએ હાથ ઉંચા કરી દેતા પ્રમુખ સહિત બે વિરૂદ્ધ રૂા.76 લાખની રકમ ઉચાપતઉચાપત કરી રકમ ઓળવી ગયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ નજીકના સીદસરના નવાપરા ખાતે રહેતા અને નિર્મળનગર ક્રિસ્ટલ બિલ્ડિંગમાં આવેલી ઓફિસ નં. 102માં હીરાની લે-વેચના વ્યવસાયી માવજીભાઈ ભગવાનભાઈ ધામેલિયાને કાળીયાબીડમાં રહેતા હીરા દલાલ ઈશ્વર શામજીભાઈ ભરોડિયા સાથે પરિચય થતાં  તા.1મે 2024થી 3 સપ્ટ.2024 સુધીમાં અલગ અલગ ચિઠ્ઠીઓ દ્વારા રૂા. 77,73,354 કિંમતના 246.74 કેરેટના હીરા વેચવા આપ્યા હતા.

ઉપરાંત માવજીભાઈના પુત્ર નિલેશભાઈએ પણ રૂા.15,75,154ની કિંમતના  50.51  કેરેટના હીરા વેચવા આપ્યા હતા.  પિતા-પુત્રએ મળી દલાલ ઈશ્વર ભારોડીયાને આપેલાં રૂ. 93,48,508 કિંમતના હીરા સામે નાણાંની  ઉઘરાણી કરતાં દલાલે વાયદાઓ આપી રૂપિયા પરત ન આપતાં તેની વિરૂદ્ધ ગત 22 સપ્ટ.2024એ નિલમબાગ પોલીસ મથકમાં અરજી અપાતાં દલાલ પોલીસ સમક્ષ હાજર થયો હતો.

જો કે, પોલીસ નિવેદન બાદ માવજીભાઈના પુત્ર નિલેશભાઈને ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસીયાએ ફોન કરીને નિર્મળનગર ઓફિસેં બોલાવ્યા હતા.

જ્યાં ઈશ્વર ભરોડિયા,તેના કાકા વલ્લભભાઈ,પ્રમુખ ઘનશ્યામ ગોરસીયા ઉપરાંત જેમના નાણાં બાકી હતા તેવા ધર્મેશભાઈ તુલસીભાઇ ધામેલિયા અને મહેશભાઈ મોહનભાઈ સાચાપરા પણ હાજર હતા. ઘનશ્યામ ગોરસીયાએ મધ્યસ્થીથી પિતા-પુત્ર અને મહેશભાઈ સાચાપરા વચ્ચે ઉસરડ ગામની સાત વીઘા જમીન,રૂા.8.70 લાખ અને બાકીના રૂ.10 લાખ  છ દિવસમાં આપવાની વાત કરી હતી અને બાકીની રકમ કટકે કટકે આપવાની પ્રમુખ ગોરસીયાએ મૌખિક બાંહેધરી આપી હતી.

સમય મર્યાદામાં રૂપિયા નહીં મળતા વેપારીએ પ્રમુખ પાસે ઉઘરાણી કરી ત્યારે તેણે ઈશ્વરભરોડિયા ફોન ઉપાડીને મરી જવાની ધમકી આપે છે, તમે તમારા પૈસા તમારી રીતે લઈ લેજો તેમ કહીને જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા હતા.

જો કે,દલાલ અને પ્રમુખ બન્ને એ હીરાના વેપારીઓની બાકી રકમ રૂ.76,36,928 નહીં આપી એક બીજાએ સમજૂતી કરી બન્ને શખ્સ વિશ્ર્વાસઘાત કર્યાનું માલૂમ પડતાં વેપારી માવજીભાઈ ભગવાનભાઈ ધામેલિયાએ ભાવનગર ડાયમંડ એસો. પ્રમુખ ઘનશ્યામ ગોરસીયા અને દલાલ ઈશ્વર શામજીભાઈ ભરોડિયા વિરૂદ્ધ બાકી રકમ ઓળવી ગયાની વિવિધ કલમ અન્વયે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી દલાલ ઇશ્વર શામજીભાઈ ભરોડિયાને ઝડપી લીધો છે.જયારે, પ્રમુખની શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

હીરાબજાર
વેપારીએ ડાયમંડ એસો.ના પ્રમુખ અને દલાલ સામે પોલીસ ફરિયાદ નોઁધાવતાં  નિર્મળનગર હીરાબજારમાં ચકચાર મચી હતી. બનાવને લઈ તાકિદની અસરથી ડાયમંડ એસો.ની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે આજે શુક્રવારના રોજ નિર્મળનગર હીરાબજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જયારે, ફરિયાદને ડાયમંડ એસો.એ ચોક્ક્સ તત્વોની હેરાનગતિ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

અન્ય બે વેપારીઓ
દલાલ ઇશ્વર ભરોડિયાએ હીરાના વેપારી ધર્મેશભાઈ તુલસીભાઇ ધામેલિયાના રૂા. 11,90,430ના 49.72 કેરેટ અને મહેશભાઈ મોહનભાઈ સાચાપરાના રૂા.30,50,137ના 111.75 કેરેટ હીરા મળી રૂ.42,40,567 ના હીરા વેચવા માટે મેળવી ઓળવી ગયો હોવાનું ફરિયાદીએ નિલમબાગ પોલીસને જણાવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj