રાજકોટ,તા.18
ગુજરાત કોંગ્રેસનાં નવસર્જનની કવાયત વચ્ચે પાર્ટીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સમગ્ર નેતાગીરી એકટીવ હોય તેમ પ્રભારીથી માંડીને પ્રદેશ પ્રમુખ પાર્ટીમાં પ્રાણ ફુંકવાની મહેનતમાં લાગી ગયા છે.આજે કોંગ્રેસની રાજકીય બાબતોની કમીટીની બેઠક યોજાઈ હતી.
તેમાં વિસાવદર તથા કડી બેઠકની પેટા ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય લેવાયો હતો.આમ આદમી પાર્ટીએ ગઠબંધનની પરવા કર્યા વિના ઉમેદવાર જાહેર કરી દેતા કોંગ્રેસ એકલા હાથે ઝંપલાવશે.
રાજકીય બાબતોની કમીટીની બેઠક બાદ કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહીલે જણાવ્યું હતું કે બેઠકમાં પાર્ટીનાં નવસર્જન સંબંધી કાર્યક્રમો તથા કાર્યકરોના સુચનો પર ચર્ચા થઈ હતી. આ સિવાય વિસાવદર તથા કડી બેઠક માટે યોજાનારી પેટા ચૂંટણી વિશે પણ ચર્ચા થઈ હતી.
કોંગ્રેસ અને આપનું રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન હોવા છતા આપ દ્વારા ઉમેદવાર જાહેર કરાયાનાં મુદ્દે ચર્ચા થઈ હતી અને પેટા ચૂંટણીની બન્ને બેઠકો એકલા હાથે લડવાનું નકકી કરવામાં આવ્યું હતું. ગઠબંધનનો ધર્મ નિભાવાયો નથી. ભુતકાળના ઈતિહાસને ધ્યાને રાખીને પેટા ચૂંટણીમાં એકલા હાથે ઝંપલાવવાનું નકકી કરવામાં આવ્યું છે.
બીજી તરફ કોંગ્રેસનાં પ્રભારી મુકુલ વાસનીકે પણ પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરી હતી. શકિતસિહ ગોહીલ, અમીત ચાવડા, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી, જીજ્ઞેશ મેવાણી, શૈલેષ પરમાર વગેરે હાજર હતા.
નવા જીલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા માટે નિરિક્ષકો મોકલવા સહીતના મુદાઓ પર ચર્ચા કરવામાં આવી છે. રાષ્ટ્રીય નિરિક્ષકોની જીલ્લાવાર ફાળવણી થઈ જ ગઈ છે. પ્રદેશ નિરિક્ષકોના શિડયુલ હવે નકકી થશે. 23 એપ્રિલથી 8 મે સુધી નિરિક્ષકો કયારે અને કયા જીલ્લામાં જશે તે વિશે ચર્ચા થઈ હતી. 31 મે સુધીમાં સંગઠન નિમણુંકો પૂર્ણ થવાનું શિડયુલ રાહુલ ગાંધીએ જાહેર કર્યાનું ઉલ્લેખનીય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy