રાજકોટ તા.21
રાજકોટ સહિત રાજયભરની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થવા પામેલ છે. આ દરમ્યાન રાજકોટ જીલ્લાની પાંચ નગરપાલિકાઓની યોજાનાર ચૂંટણી માટે આખરી મતદાર યાદીની પ્રસિધ્ધી આજે કરી દેવામાં આવેલ છે.
રાજકોટ જીલ્લામાં જસદણ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા એમ પાંચ નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે. જયારે ચાર તાલુકા પંચાયત જેમાં ઉપલેટા, જસદણ, જેતપુર અને ગોંડલ તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણી પણ નગરપાલિકાઓની ચૂંટણીની સાથે જ યોજાશે. જેમાં ઉપલેટા તાલુકા પંચાયતની ડુમિયાણી અને મોટી પાનેલી, જસદણ તાલુકા પંચાયતની આંબરડી અને ભાડલા, જેતપુર તાલુકા પંચાયતની પીઠડીયા અને ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠકની પેટા ચૂંટણી યોજાશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આગામી તા.1 ફેબ્રુઆરી સુધીમાં કોમ્યુનિકેશન પ્લાન તૈયાર કરવા માટે તમામ જીલ્લા કલેકટરોને આદેશ કરી દેવામાં આવેલ છે. રાજકોટ જીલ્લામાં પાંચ પાલિકાઓની ચૂંટણીની સાથે ચાર તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જીલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા કમ્મર કસી દેવામાં આવી છે. આ અંગે આજે બપોરના જીલ્લા કલેકટર કચેરી ખાતે રીટર્નીંગ ઓફીસરો તેમજ આસી. રીટર્નીંગ ઓફીસરોની ખાસ બેઠક આયોજીત કરવામાં આવી છે.
રાજકોટ જીલ્લામાં પાંચ નગરપાલિકાઓની 168 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં 324 મતદાન મથકો રહેશે. જેમાં જસદણ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજાશે આ માટે 44 મતદાન બુથો ઉપર મતદાનની પ્રક્રિયા થશે. જયારે જેતપુર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકોની ચૂંટણી યોજાશે. આ માટે 118 મતદાન બુથો તૈયાર કરાશે.
જયારે ધોરાજી પાલિકાના 9 વોર્ડની 36 બેઠકોની ચૂંટણી યોજાશે. આ માટે 85 મતદાન બુથો તૈયાર કરાશે. જયારે ભાયાવદર પાલિકાના 6 વોર્ડની 24 બેઠકની ચૂંટણી યોજાશે અને આ માટે 21 બુથો તૈયાર કરાશે તેમજ ઉપલેટા પાલિકાની 9 વોર્ડની 36 બેઠકની ચૂંટણી યોજાશે. જે માટે 26 મતદાન બુથો પર મતદાનની પ્રક્રિયા થશે.
પાલિકાની ચૂંટણી માટે રીટર્નીંગ ઓફીસરો અને મદદનીશ રીટર્નીંગ ઓફીસરને તાલીમ આપી સજજ કરવામાં આવી રહ્યા છે. જીલ્લામાં નગરપાલિકાઓની શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કમ્મર કસી દેવામાં આવી છે.
શુક્રવારે ગાંધીનગરમાં રાજયભરના કલેકટરોની કોન્ફરન્સ
►કાલે સરકારની નવી માર્ગદર્શિકા મુજબ કલેકટર કચેરીમાં યોજાશે લેન્ડગ્રેબીંગની બેઠક: 63 કેસ
અપીલના બોર્ડમાં 22 કેસની હાથ ધરાશે સુનાવણી
રાજકોટ જીલ્લા કલેકટર કચેરી ખાતે આવતીકાલે તા.22ને બુધવારના લેન્ડગ્રેબીંગ કમીટીની યોજાનાર બેઠક રાજય સરકારની નવી માર્ગદર્શીકા મુજબ આયોજીત કરવામાં આવી છે જેમાં 63 કેસની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.
આ બેઠકમાં દોઢ ડઝનથી વધુ અરજદારોની રૂબરૂ સુનાવણી કરવામાં આવનાર છે. આ માટે કલેકટર તંત્ર દ્વારા અગાઉથી જ આ અરજદારોને નોટીસ પાઠવવામાં આવી હતી. આવતીકાલે યોજાનાર આ લેન્ડગ્રેબીંગની આ બેઠકમાં કમીટીના તમામ સદસ્યો હાજરી આપશે.
આ ઉપરાંત આવતીકાલે કલેકટર કચેરી ખાતે અપીલના કેસોનું ખાસ બોર્ડ પણ બપોરના સેશનમાં યોજવામાં આવેલ છે. જેમાં 22 કેસોની સુનાવણી કરાશે. જયારે શુક્રવારે રાજયભરના કલેકટરોની ગાંધીનગર ખાતે કોન્ફરન્સ યોજવામાં આવી છે જેમાં મહેસુલી કામગીરીની મહેસુલ સચીવ દ્વારા સમીક્ષા કરવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy