AHMEDABAD : પાર્કિંગ સુવિધા વગરના ખાણીપીણીના ડઝન પાર્લર સીલ : AMC ત્રાટકી : રાજકોટમાં પણ પગલાની જરૂર

Gujarat | Ahmedabad | 26 April, 2025 | 03:51 PM
એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠીયા, રજવાડી, ગજાનંદ પૌવા સહિતના વેપારીઓએ અનેક નોટીસ છતાં વાહનો માટે સગવડતા ઉભી ન કરતા આકરૂ પગલુ : મહાનગરોમાં ગંભીર સમસ્યા સામે કડક કાર્યવાહી અનિવાર્ય
સાંજ સમાચાર

અમદાવાદ, તા. 26
રાજયના જુદા જુદા શહેરોમાં ટ્રાફિક અને પાર્કિંગનો પ્રશ્ન અતિ ગંભીર બનેલો છે. અનેક રાજમાર્ગો સહિતના વિસ્તારોમાં કોમ્પ્લેક્ષ, બિલ્ડીંગ, શોરૂમ, દુકાનો બહાર વાહન પાર્કિંગની જગ્યા ન હોવાથી મોટી સમસ્યા સર્જાય છે.

આથી અમદાવાદમાં એસજી હાઇવે પર કર્ણાવતી કલબ સામેની ડઝન જેટલી ખાણીપીણી સહિતની દુકાનો પાર્કિંગ સુવિધાના અભાવે સીલ કરી દેવાનું ભારે પગલુ મહાપાલિકાએ ભર્યુ છે. તો રાજકોટ સહિતના શહેરોમાં પણ રાજમાર્ગો પર પાર્કિગની સુવિધા વગર ધમધમતા વ્યાપારી સંકુલો સામે આવી કાર્યવાહી કરવાની જરૂર હોવાનો મત છે. 

શહેરોમાં અનેક વિસ્તારોમાં વાહન પાર્કિંગની સુવિધા વગર વેપાર ધંધા ચાલતા હોય છે. અનેક રાજમાર્ગો અને વેપારી વિસ્તારોમાં ખુદ દુકાનદારોના વાહન રાખવા જગ્યા હોતી નથી. ત્યાં ગ્રાહકોના અસંખ્ય વાહનો પાર્ક થાય છે અને પોલીસ નિયમીત રીતે ડિટેઇન કરે છે. યાજ્ઞિક રોડથી માંડી લાખાજીરાજ રોડ, રૈયા રોડ, ટાગોર રોડ, 150 ફુટ  રોડના ઘણા ભાગ, મવડી, નાના મવા, પારેવડી ચોક સહિતના વિસ્તારોમાં બિલ્ડીંગ અને દુકાનો બહાર વાહનોના ઢગલા હોય છે.

ગ્રાહકોની ભીડ ખાણીપીણીના સ્થળે ખુબ હોય છે. અમદાવાદમાં સીલ કરાયેલી મિલ્કતમાં ચા-નાસ્તાની દુકાનો સામેલ છે. રાજકોટમાં પણ આ દુષણ વધારે હોય, ટ્રાફિક અને પાર્કિંગનો પ્રશ્ન હલ કરવા ત્યાં કાયદેસર પાર્કિંગની જરૂરીયાત છે જેનો અમલ મહાપાલિકા કરાવી શકે તેમ છે. 

અમદાવાદમાં ટ્રાફિકની ભીડ હળવી કરવા માટે, દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ વિભાગે આજે એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબની સામે આવેલા બાર વાણિજ્યિક મથકોને સીલ કરી દીધા હતા.

વારંવાર લેખિત અને મૌખિક સૂચનાઓ છતાં ગ્રાહકો માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા પૂરી પાડવામાં નિષ્ફળતા બદલ ઇસ્કોન ગઢિયા, કર્ણાવતી સ્નેક્સ, રજવાડી ટી, ગાત્રાલ ટી સ્ટોલ અને ગજાનંદ પૌવા હાઉસ સહિત અન્ય એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

મનપા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વેપારીઓને અગાઉ તેમના ગ્રાહકો માટે પાર્કિંગ સુવિધાઓ ગોઠવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો જેથી વ્યસ્ત એસજી હાઇવે પર વાહનોની અવરજવર સુગમ રહે. જોકે વેપારીઓ તરફથી ખાતરી આપવામાં આવી હોવા છતાં જરૂરી પાર્કિંગ વ્યવસ્થાનો અમલ કરવામાં આવ્યો ન હતો.

આ જાણીતી ખાણીપીણીની દુકાનો અને નાસ્તાની દુકાનોમાં આવતા ગ્રાહકો માટે પાર્કિંગની જગ્યાનો સતત અભાવ ટ્રાફિક જામ અને હાઇવેના આ પટ પર મુસાફરો માટે અસુવિધાનું કારણ બની રહ્યો છે. 

મનપાના દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ અને ટાઉન ડેવલપમેન્ટ વિભાગે આજે કાર્યવાહી કરી કુલ બાર દુકાનો સીલ  છે. આ પગલાનો હેતુ વિસ્તારની અન્ય વાણિજ્યિક સંસ્થાઓને પાર્કિંગ નિયમોનું પાલન કરવા અને સામાન્ય લોકોની સુવિધાને પ્રાથમિકતા આપવા માટે એક મજબૂત સંદેશ મોકલવાનો છે. આ વ્યવસાયોને સીલ કરવાથી આ સંસ્થાઓમાં વારંવાર આવતા ગ્રાહકો માટે કામચલાઉ મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે.

જોકે, અધિકારીઓનું માનવું છે કે આ પગલું લાંબા ગાળાના ટ્રાફિક વ્યવસ્થાપન અને અમદાવાદના સૌથી વ્યસ્ત રસ્તાઓમાંથી એક પર વાહનોનો સરળ પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે.

સીલ કરાયેલ વ્યવસાયો હવે પાર્કિંગની સ્થિતિ સુધારવા અને તેમની કામગીરી ફરી શરૂ કરવા માટે કયા પગલાં લેશે તે જોવાનું બાકી છે. હવે રાજકોટ સહિતના મહાનગરના તંત્રો પાર્કિંગ સમસ્યા ઉકેલવા આવી કોઇ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહ્યું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj