જામનગર તા.30
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરાના હસ્તે જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં સિલ્વર સ્કાઈ રોડ પર વનકવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના હેતુથી,જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મીયાવાન્કીની વનીકરણ પદ્ધતિને લક્ષ્યમાં રાખી ગુજરાત વન વિભાગ દ્વારા વનકવચ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. વનકવચએ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં આવેલ પડતર જમીનમાં હરિયાળી વધારવા માટે,એકઝડપથી નાનું વન બનાવવાની પદ્ધતિ છે.એક નાનકડી જગ્યામાં પણ ઘનિષ્ટ વાવેતર કરી નાનું વન ઉભું કરી શકાય.
અંદાજીત રૂ.25 લાખના ખર્ચે વર્ષ 2023-24માં જામનગર શહેરમાં જામનગર - કાલાવડ રોડ પર આવેલ જાડા ટી.પી.સ્કિમ નં.84 માં ગુજરાત વન વિભાગ તથા જામનગર મહાનગર પાલિકાના સંયુકત ઉપક્રમે 1 હેકટર જેટલા વિસ્તારમાં મિયાવાકી પધ્ધતિથી વનકવચનું નિર્માણ કરવામાં આવેલ છે. વનકવચનો હેતુ લોકોમાં વન પ્રત્યે જાગૃતિ અને અભિરૂચી વધારવાનો છે.
જેમાં જમીનમાં કુલ સાતસ્તરમાં ક્રમશ : કોકોપીટ, માટી, ઘઉંની ફોતરી, વર્મી કમ્પોસ્ટ, માટી,ઘાંસ બાજરીના પુળાનું મલ્ચીંગના સ્તર બનાવી વિવિધ રોપાઓ જેમાં નિમ્નસ્તર, મધ્યમસ્તર તેમજ ઉચ્ચસ્તરિય રોપાઓની 1K1મીટરના અંતરે વાવેતર કરવામાં આવેલ છે. કુલ 38 જાતના કુલ 10,000 રોપાઓ વાવેતર કરવામાં આવેલ છે. મિયાવાકી પધ્ધતિ દ્વારા તૈયાર કરાયેલા આ વનની વૃદ્ધિ ખુબજ ઝડપથી થઇ 20 માસના ટુંકા ગાળામાં લગભગ 10 થી 15 ફુટ જેટલી વૃક્ષોની ઉંચાઇ થયેલ છે.
આ સિવાય વનકવચમાં નાના બાળકોને રમવામાટે બાલ ક્રિડાંગણ બનાવવામાં આવેલ છે. મુલાકાતીઓને વનમાં વિહાર કરવા વનકવચની ફરતે ખુબજ સરસ પાથ-વે બનાવવામાં આવેલ છે. જેમાં વિહાર કરતા મુલાકાતીઓને પ્રકૃતિના ખોળે ફરતાં હોય તેવો આહલાદક અનુભવ માણવા મળે છે. મુલાકાતીઓને આરામ કરવા માટે વનકુટિરનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં બેસવા માટે બાંકડાઓની વ્યવસ્થા તથા સેલ્ફી પોઇન્ટનું નિર્માણ પણ કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્યો શ્રીમતી રીવાબા જાડેજા અને શ્રી દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નરશ્રી ડી.એન.મોદી, અગ્રણીઓશ્રી વિનોદભાઈ ભંડેરી અને શ્રીમતી બીનાબેન કોઠારી, ચીફ કન્ઝર્વેટરઓફ ફોરેસ્ટ ડો.રામ રતન નાલા, નાયબ વન સંરક્ષકશ્રી અરુણકુમાર, રેન્જ ફોરેસ્ટ ઓફિસરોશ્રી હર્ષાબેન પંપાણીયા અને શ્રી દક્ષાબેન વઘાસીયા, વન વિભાગના અધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, અગ્રણીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy