તનાવના વાતાવરણમાં સરહદી જીલ્લાઓમાં કેવી તૈયારી? કલેકટરો - પોલીસવડા સાથે મુખ્યમંત્રીની બેઠક

Gujarat, Saurashtra | Rajkot | 09 May, 2025 | 04:57 PM
દુરસંચાર સાધનોથી માંડીને આવશ્યક ચીજોના સ્ટોક સહિતના મુદ્દે સમીક્ષા
સાંજ સમાચાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. 

મુખ્યમંત્રીએ ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકવામાં આવેલા છે તે સંદર્ભમાં વહીવટી તંત્ર, પોલીસ અને અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ પાસેથી તેમના જિલ્લામાં હાથ ધરાઇ રહેલી સુરક્ષા-સલામતીની આગોતરી વ્યવસ્થાની વિગતો પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા મેળવી હતી. 

મુખ્યમંત્રી શુક્રવારે સવારે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યસચિવ પંકજ જોષીની ઉપસ્થિતિમાં સરહદી વિસ્તાર ના કચ્છ અને બનાસકાંઠા તથા પાટણ અને જામનગર જિલ્લાઓ સહિત રાજ્યની એકંદર સ્થિતિની ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી. 

તેમણે ખાસ કરીને પ્રવર્તમાન સ્થિતિમાં બધા જિલ્લાઓના કંટ્રોલરૂમ અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત કાર્યરત રહે તે માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા. 

મુખ્યમંત્રીએ આપાત કાલીન સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઇન, સેટેલાઈટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરી લેવાની પણ તાકીદ કરી હતી. 

મુખ્યમંત્રીએ હાલની તનાવપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાઓના સરહદી ગામોના ઈવેક્યુએશન પ્લાન કાર્યરત કરવા સાથોસાથ નાગરિક સંરક્ષણની સજ્જતા, સુરક્ષિત સ્થાનો-સેઈફ હાઉસની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોની પર્યાપ્ત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

નાગરિકોને આવશ્યક વસ્તુઓનો અને પેટ્રોલ-ડીઝલ જેવા ફ્યુઅલનો પુરવઠો મેળવવામાં કોઈ તકલીફ ન રહે તે માટે સંબંધિત જિલ્લા અને તંત્ર વાહકોને આ જથ્થા નો પૂરતો સંગ્રહ તકેદારીના ભાગરૂપે કરી લેવા પણ મુખ્યમંત્રીએ સૂચનો કર્યા હતા. 

આરોગ્ય વિભાગ અને વાહન વ્યવહાર વિભાગ પણ પૂરી વ્યવસ્થાઓ અને મેન પાવર સાથે કોઈ પણ વિકટ સ્થિતિ ને પહોંચી વળવા સજ્જ રહે તેવા નિર્દેશો પણ મુખ્યમંત્રીએ આ સમીક્ષા બેઠકમાં આપ્યા હતા.

સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી લેવા તેમજ મોબાઇલાઈઝેશન અને ચેતવણી માટેની વ્યવસ્થા ચકાસી લેવાની સ્પષ્ટ સૂચનાઓ પણ મુખ્યમંત્રીએ જિલ્લાના વડાઓને આપી હતી. 

તેમણે લોકોમાં ખોટો ભય કે દહેશત ન ફેલાય અને અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે લોકજાગૃતિ અભિયાન શરૂ કરવા પણ સૂચવ્યું હતું. લોકોને પણ સરકાર ના વિવિધ વિભાગોના અધિકૃત સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવતી સત્તાવાર માહિતી અને સમાચારો અને સૂચનાઓ પર ધ્યાન આપવાનો તેમણે અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી: તૈયારીની વિગતો મેળવી
પાકિસ્તાન સાથે યુદ્ધનાં માહોલથી ગુજરાતનાં કચ્છ સહિતના સરહદી જીલ્લાઓમાં હાઈએલર્ટ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી.

સરહદી જીલ્લાઓમાં સુરક્ષા તૈયારી વ્યવસ્થાની વિગતોથી વાકેફ થયા હતા અને માર્ગદર્શન આપ્યુ હતું. વડાપ્રધાને કચ્છ, બનાસકાંઠા, પાટણ તથા જામનગર જેવા સંવેદનશીલ સરહદી જીલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાની પણ વિગતો મેળવી હતી.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj