પાકિસ્તાને પણ ભારત પર હુમલાનો પ્રયાસ કર્યાના રીપોર્ટથી ગભરાટ

ભારતીય શેરબજાર પણ ગગડયુ : ઇન્ટ્રા-ડે 750 પોઇન્ટથી વધુનો કડાકો : ડોલર 88 પૈસા તૂટયો

India, Business | 08 May, 2025 | 03:49 PM
શેરબજારમાં અંતિમ મીનીટોમાં જ ધડાધડ વેચવાલી : રૂપિયામાં પણ જોરદાર દબાણ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 8
ભારત-પાકિસ્તાન તનાવ વચ્ચે પણ તેજીમાં અડીખમ રહેલું ભારતીય શેરબજાર આજે એકાએક ગગડી ગયું હતું અને સેન્સેકસમાં ઇન્ટ્રા-ડે 700 પોઇન્ટથી વધુનો કડાકો સર્જાયો હતો અને છેલ્લે 411 પોઇન્ટ ઘટીને બંધ આવ્યું હતું.

શેરબજારમાં શરૂઆત સાવચેતીના ટોને થઇ હતી. પાકિસ્તાન સાથે ગંભીર ટેન્શન છતાં ભારતનો હાથ ઉપર હોવાથી અને કોઇ ગંભીર સ્થિતિ પેદા નહીં થવાની અટકળોથી તેજી તરફી ટ્રેન્ડ ઝળવાયેલો રહ્યો હતો.

વિદેશી નાણા સંસ્થાઓની  સતત લેવાલી સહિતના પોઝીટીવ કારણોથી અસર હેઠળ તેજીના માર્ગે દોડતું રહ્યું હતું. આજે બપોરે ભારતના ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાને પણ વળતા હુમલાની કોશીશ કરી હોવાનું જાહેર થતા માર્કેટમાં ગભરાટ સર્જાયો હતો અને ધડાધડ મંદીમાં સરકવા લાગ્યું હતું. માર્કેટ બંધ થવાની ગણતરીની મીનીટો પૂર્વે આક્રમક વેચવાલીથી માર્કેટ ધસી પડયું હતું.

શેરબજારમાં આજે મોટા ભાગના શેરોમાં ગાબડા હતા. હેવીવેઇટની સાથોસાથ રોકડાના શેરો પણ તૂટયા હતા.  મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 411 પોઇન્ટ ઘટીને 80334 બંધ આવ્યો હતો. પરંતુ તે ઇન્ટ્રા-ડે ઉંચામાં 80927 તથા નીચામાં 79987 થયો હતો.

નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 140 પોઇન્ટ ઘટીને 26273 હતો જે ઉંચામાં 24447 તથા નીચામાં 24150 હતો. કરન્સી માર્કેટમાં પણ ડોલર સામે રૂપિયો ગગડયો હતો અને 28 પોઇન્ટના કડાકાથી 85.71 સાંપડયો હતો.

પાકિસ્તાનને આર્થિક તમાચો: પાક શેરબજાર વધુ સાત ટકા ગગડયુ: કામકાજ બંધ કરવા પડયા
કરાંચી તા.8 :   પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે શરૂ કરેલુ ઓપરેશન સિંદુર આગળ ધપાવતાં તથા પાકિસ્તાનનાં અનેક શહેરોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોને પગલે પાક શેરબજાર ધૂળધાણી થવા લાગ્યુ છે. આજે વધુ 7 ટકાનો કડાકો સર્જાતા એક તબકકે કામકાજ બંધ કરી દેવામાં આવ્યા હતા.

ભારતની સ્ટ્રાઈકને પગલે ગઈકાલે પણ કરાંચી સ્ટોક એકસચેંજમાં છ ટકાથી વધુનો કડાકો સર્જાયો હતો. આજે સતત બીજા દિવસે વેચવાલીનો મારો ચાલુ રહ્યો હતો અને સાત ટકાથી વધુનો કડાકો સર્જાયો છે.

પાકિસ્તાન ભારતનો પ્રહાર ઝીલી જ રહ્યું છે. ઉપરાંત ભંડોળ સુવિધા મામલે આવતીકાલે આઈએમએફનો નિર્ણય થવાનો હોવાથી તેના પર મીટ હતી.

પાકિસ્તાનમાં સળંગ બે દિવસનાં કડાકાને પગલે ઈન્વેસ્ટરોને અબજો રૂપિયાનું નુકશાન થયુ છે. ભારત સાથેની દુશ્મનાવટ મોંઘી પડી હોય તેમ આર્થિક પાયમાલી તરફ ધકેલાવા લાગ્યુ છે.

પહેલગામમાં 22 એપ્રિલનાં રોજ ત્રાસવાદી હુમલા બાદ કરાંચી સ્ટોક એકસચેંજનો કેએસઈ 100 ઈન્ડેકસ 13 ટકા તથા કેએસઈ-30 ઈન્ડેકસ 14.3 ટકા ગગડયો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj