અમદાવાદ,તા.4
ખ્યાતિ હોસ્પિટલકાંડ મુદ્દે ધરપકડથી બચવા માટે આરોપી ડો. સંજય મુળજીભાઈ પટોલિયાએ કરેલી આગોતરા જામીન ગ્રામ્ય કોર્ટના પ્રિન્સીપાલ સેશન્સ જજ કે.એમ.સોજીત્રાએ ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો કેસ છે, જેની તપાસ ચાલી રહી છે. સરકાર પાસેથી પૈસા મેળવવાનું સુઆયોજીત કાવતરું છે.
ત્યારે આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં. અદાલતે આગોતરા જામીન ફગાવ્યાની સાથે જ ડો. પટોલિયા પોલીસના સકંજામા આવી ગયા હતા અને આજે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ડો. કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી અંગે 5 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરાશે.
આરોપી ડો. સંજય પટોલિયાએ ધરપકડથી બચવા ત્રણ કેસોમાં આગોતરા જામીન અરજી કરી એવી રજુઆત કરી હતી કે, હું નિર્દોષ છું, મારે આ કેસ સાથે કોઈ જ લેવા દેવા નથી, મને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે.
કયાંય નાસી કે ભાગી જાઉં તેમ નથી. કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન પર મુક્ત કરવો જોઈએ.
અરજી સામે ખાસ સરકારી વકીલ વિજય બારોટે એવી દલીલ કરી હતી કે, આરોપીઓએ પીએમજેએવાય યોજનાનો ખોટી રીતે આર્થિક લાભ લેવા માટે પુર્વ આયોજીત કાવતરું રચ્યું હતું. આરોપીઓએ બોરીસણા ગામમાં કેમ્પ યોજી 19 લોકોને હોસ્પિટલ લાવ્યા હતા અને બે વ્યક્તિને જરૂર ન હોવા છતા સ્ટેન્ટ મુકી દેતા મોત નિપજયું હતું.
આમ આરોપીની ગુનાઈત બેદરકારી છે. ડો. સંજય ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેકટર છે. હોસ્પિટલના તમામ લાઈસન્સ ડો. સંજયે મેળવ્યા છે. આરોપીઓ દર્દીઓને બીમારી ન હોવા છતા ખોટા પુરાવા ઉભા કરી તેમના જીવન સાથે ચેડાં કર્યા છે, આરોપીઓ સામે 42 સાક્ષીના નિવેદન છે, આરોપી ડો. સંજયે વર્ષ 2012 ભાગીદારી નામી ડેવલપર્સ પ્રા.લી. કંપની ખરીદી હતી.
ત્યારબાદ તેમાં નામ ઉમેરવામાં આવ્યા હતા, પછી ડો. સંજયે હેતુફેર કરાવ્યો હતો અને ફર્મનું નામ બદલી એશિયન બેરીયાટ્રીકસ હોસ્પિટલ રાખવામાં આવ્યું હતું અને વર્ષ 2018માં મનીષ ખૈતાનને ભાગીદારીમાંથી છુટા કરવામાં આવ્યો હતો અને ભાગીદાર તરીકે સંજય પટોલિયા તથા મહેન્દ્ર નરવરિયાને ઉમેરવામાં આવ્યા હતા. 2021માં ભાગીદાર તરીકે કાર્તિક પટેલ, પ્રદીપ કોઠારી, ચિરાગ રાજપૂતને બનાવવામાં આવ્યા હતા.
નામ બદલી ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ કરવામાં આવ્યું હતું. આરોપી ડો. સંજય પટોલિયાએ ઓકટોબર 2024માં હોસ્પિટલમાંથી 22.40 અને તેની પત્નીએ 5.37 લાખ રૂપિયા લીધા હતા. આ મામલે તપાસ ચાલી રહી છે ત્યારે આરોપીને આગોતરા જામીન પર મુક્ત ન કરવો જોઈએ. આવી રજુઆત બાદ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy