રાજકોટ, તા. 3
રાજકોટમાં મહાપાલિકા હસ્તકના કરોડોના નવા વિકાસ કામોના લોકાર્પણ અને ભૂમિપૂજન કરાવવાના હોય, મુખ્યમંત્રીને આ કામો માટે રાજકોટ આવવાનું આમંત્રણ આપવા આજે મેયર નયનાબેન પેઢડીયા ગાંધીનગર ગયા છે. અટલ સ્માર્ટ સીટી સહિતના એકાદ હજાર કરોડના કામોની યાદી મુખ્યમંત્રી કાર્યાલયને સોંપવામાં આવી છે.
આગામી તા. 13 ડિસેમ્બરના શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજકોટ આવવાના છે. કણકોટ રોડ પર જશવંતપુર પાસે વિશાળ ઉમિયાધામનું નિર્માણ કરવામાં આવનાર છે. તેમના હસ્તે તા.13ના સવારે 9 વાગ્યે આ ધામનું ભૂમિપૂજન કરવા આયોજન કરાયું છે. સંસ્થા દ્વારા મુખ્યમંત્રીને અપાયેલા આમંત્રણનો સ્વીકાર કરાયાનું જાણવા મળ્યું છે. આથી આ દિવસે આ સાથે રાજકોટના વિકાસ કામોના પણ ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરાવવા મનપા શાસક પક્ષે પ્રયાસો કર્યા છે. આજે સાંજે ગાંધીનગર ખાતે મેયર નયનાબેન પેઢડીયા મુખ્યમંત્રીને મળવાના છે. આ બાદ એકાદ બે દિવસમાં કાર્યક્રમની તારીખ મળી જાય તેવી શકયતા છે.
આ ઉપરાંત રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગનું પણ ભૂમિપૂજન કરવાનું છે. આ કામનો શિલાન્યાસ પણ આ દિવસે મુખ્યમંત્રીના હસ્તે કરાવવા પંચાયતના પ્રતિનિધિઓ દ્વારા આમંત્રણ મોકલાયું છે. મનપાએ રૈયામાં અઢીસો કરોડના ખર્ચે બનાવેલા વિશાળ અટલ સ્માર્ટ સીટીનું પણ લોકાર્પણ કરવાનું છે. આ પ્રોજેકટ પુરો થઇ ગયેલો છે. તો પાણીની ડીઆઇ પાઇપલાઇન સહિતના રાજકોટના 7પ0 કરોડના અન્ય વિકાસ કામોના લોકાર્પણ અને ભૂમિપૂજન પણ કરવા મુખ્યમંત્રીને વિનંતી કરાઇ છે. આવાસ યોજનાનો ડ્રો પણ થઇ શકે છે. આથી રાજકોટના ખુબ મોટા અને મહત્વના કામો મુખ્યમંત્રીના હસ્તે શરૂ કરવા ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. મુુખ્યમંત્રીની તારીખ ફાઇનલ થાય એટલે મનપા કાર્યક્રમની તૈયારી શરૂ કરશે તેમ જાણવા મળ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy