ન પંચાંગ ન પંડિત... આ અક્ષય તૃતિયા છે

Dharmik | 29 April, 2025 | 11:29 AM
સાંજ સમાચાર

અક્ષય તૃતિયા સામાન્ય રીતે લોકો ખરીદી અને લગ્ન માટે ઓળખે છે. પણ, તેનો મહિમા આના કરતાં ઘણો મોટો છે. તે શ્રદ્ધા, સદગુુણ અને સૌભાગ્યનો ઉત્સવ છે. આ દિવસે શ્રદ્ધા અને સત્કર્મ સાથે વાવેલા બીજ જીવનમાં શાશ્વત ફળ આપે છે.

આ દિવસના દાન, તપ અને શુભ કાર્યોના ફળનો ક્યારેય નાશ થતો નથી. અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતિયા તિથિના રોજ ઉજવવામાં આવે છે, જે આ વખતે 30 એપ્રિલે છે. ’અક્ષય’ એટલે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી, તેથી આ દિવસે કરવામાં આવેલ પુણ્ય, દાન, તપ અને શુભ કાર્ય શાશ્વત ફળ આપે છે. અક્ષય તૃતિયા પર અબુજ મુહૂર્ત આવે છે.

મતલબ કે આ દિવસે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કોઈપણ શુભ સમય વગર કરી શકાય છે. આનો અર્થ એ છે કે અક્ષય તૃતિયા સ્વયં સ્પષ્ટ શુભ સમય છે. એટલે કે આ દિવસે કરવાના શુભ કાર્યો માટે ન તો પંચાંગની સલાહ લેવાની જરૂર છે કે ન તો કોઈ પંડિત વગેરે પાસેથી શુભ સમય મેળવવાની. જ્યોતિષશાસ્ત્ર અનુસાર અક્ષય તૃતીયા એવી તિથિ છે, જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને ઉચ્ચ સ્થાનમાં હોય છે, જેના કારણે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય માટે અલગ મુહૂર્ત રાખવાની જરૂર નથી

જ્યારે સત્યયુગ શરૂ થયો
અક્ષય તૃતીયાનો મહિમા સ્કંદ પુરાણ, મહાભારત, વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણ સહિત અનેક ગ્રંથોમાં વર્ણવવામાં આવ્યો છે. સ્કંદ પુરાણ અનુસાર, આ દિવસે ગંગાનું અવતરણ થયું હતું, જેણે સમગ્ર પૃથ્વીને શુદ્ધ કરી હતી. મહાભારતના વનપર્વમાં ઉલ્લેખ છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને ’અક્ષય પત્ર’ આપ્યું હતું, જેના કારણે તેમનું ભોજન ક્યારેય સમાપ્ત થયું ન હતું.

વિષ્ણુ પુરાણ જણાવે છે કે આ તિથિએ ભગવાન વિષ્ણુએ પરશુરામના રૂપમાં અવતાર લીધો હતો, જેના કારણે આ દિવસે પરશુરામ જયંતિ પણ ઉજવવામાં આવે છે. ભાગવત પુરાણમાં કહેવાયું છે કે ત્રેતાયુગની શરૂઆત અક્ષય તૃતીયાથી થઈ હતી. આ તિથિથી સત્યયુગની શરૂઆત પણ માનવામાં આવે છે.

શું બે દિવસ મનાવાશે અક્ષય તૃતિયા ?
અક્ષય તૃતિયા તિથિ બે દિવસ છે. પરંતુ તા. 29ના રાત્રે 8.09 વાગ્યાથી શરૂ થઇને તા.30ના સાંજે 5.55 વાગ્યા સુધી રહેશે આમ ઉદય તિથિને અનુસાર તા. 30 એપ્રિલ જ અક્ષય તૃતિયા છે. આ દિવસે વિશેષ રૂપથી દાનનું મહત્વ છે. આ દિવસે માતા ગૌરી, કુબેર, તુલસી, ગણેશજીની સાથે લક્ષ્મી નારાયણની પુજા કરવી જોઇએ.

વિશેષ શુભ યોગ
આ વખતે અક્ષય તૃતિયા તા. 30 એપ્રિલ અર્થાત આવતીકાલે છે. અનેક શુભ યોગો છે જેથી આ દિવસનું મહત્વ સવિશેષ વધી જાય છે. આ ત્રણ યોગ છે. રવિ, શોભન તથા સર્વાર્થ સિધ્ધિ યોગ છે. રવિ યોગમાં કરવામાં આવતુ દરેક કાર્ય સિધ્ધ થાય છે. કારણ કે સુર્યના વિશેષ પ્રભાવથી શુભતા વધે છે. શોભન યોગમાં કરવામાં આવતુ રોકાણ, વિવાહ અથવા નવું કાર્ય બેહદ સફળ થાય છે ત્યારે સર્વાર્થ સિધ્ધિ યોગ દરેક ઇચ્છાને પૂર્ણ કરનારૂ માનવામાં આવે છે.

પાંડવોના અક્ષયપાત્રવાળી આ કથા સાંભળી છે ?
મહાભારત કાળમાં જયારે પાંડવો વનવાસમાં હતા ત્યારે દ્રૌપદીને એ ચિંતા થઇ કે વનમાં અતિથિઓનો સત્કાર કઇ રીતે કરવો ? તેમની ચિંતા જોઇને ભગવાન શ્રીકૃષ્ણે દ્રૌપદીને ‘અક્ષય પાત્ર’ આપ્યું. જયાં સુધી દ્રૌપદી ભોજન કરતી નહી ત્યાં સુધી પાત્રનું અન્ન સમાપ્ત થતું નહોતું, એથી પાંડવોએ મુશ્કેલીના દિવસોમાં પણ અસંખ્ય અતિથિઓની સેવા કરી એ પણ કહેવામાં આવે છે. અક્ષય તૃતિયાના દિવસે કુબેરને ધનાધ્યક્ષનું પદ મળ્યું હતું. બદ્રીનાથના કપાટ પણ આ દિવસે જ ખુલે છે.

શું કરવું જોઇએ
♣ જો કોઇ નવો વેપાર, રોકાણ કે જીવનથી જોડાયેલ કોઇ મોટો નિર્ણય લેવાનો હોય તો અક્ષય તૃતિયાનો દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે.
♣ અક્ષય તૃતિયા પર સોનુ-ચાંદીની ખરીદી કરવી અત્યંત શુભ માનવામાં આવે છે આ ધનવૈભવમાં વૃધ્ધિનો સંકેત આપે છે.
♣ આ દિવસે ગાય માતાને લીલુ ઘાસ ખવડાવવું પુણ્યદાયી માનવામાં આવે છે તેથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.
♣ જરૂરતમંદોને શીતલ જળનું દાન કરવું તેથી જીવનમાં શાંતિ અને સૌભાગ્ય વધે છે.
♣ તુલસીમાં જળ નાંખવાથી તથા દીપક પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.
♣ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પુજા કરી, તેમને ખીર અને તાજા ફુલ અર્પિત કરવા તેથી ઘરમાં સ્થાયી સમૃધ્ધિ આવે છે.
♣ અનાજ, વસ્ત્ર અને જરૂરતની ચીજોનું દાન કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે.

માત્ર અક્ષય તૃતિયા પર જ વૃંદાવનમાં શ્રી બાંકેબિહારી મંદિરમાં ચરણ દર્શન થાય છે. સમગ્ર વર્ષ બિહારીજીના ચરણ ઢાંકેલા રહે છે. પુરી જગન્નાથ રથયાત્રા માટેના રથના નિર્માણનું કાર્ય અક્ષય તૃતિયાના દિવસથી શરૂ થાય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj