પહેલગામ આતંકી ઘટનાના સંદર્ભે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા લેવાયેલો નિર્ણય

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પરશુરામ જયંતિની કાલે સાદગીપૂર્ણ ઉજવણી

Saurashtra | Rajkot | 28 April, 2025 | 11:05 AM
રાજકોટમાં પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા-મહાપ્રસાદ રદ્દ : ગોંડલ, વેરાવળ, ખંભાળીયા, વાંકાનેર, ધ્રોલ સહિતના શહેરો-ગામોમાં પરશુરામ જયંતિ નિમિત્તે વિવિધ સેવા કાર્યો હાથ ધરાશે : પહેલગામની આતંકી ઘટનામાં મૃતક દિવંગતોને શ્રધ્ધાંજલી પાઠવાશે
સાંજ સમાચાર

રાજકોટ, તા. ર8
આવતીકાલ તા.ર9ના મંગળવારે ભગવાન પરશુરામ જયંતી નિમિત્તે પરંપરાગત રીતે યોજાતી શોભાયાત્રા, મહાપ્રસાદ, આરતી વગેરેના આયોજનો મહદઅંશે રાજકોટ સહિત ગોંડલ, વાંકાનેર, ચાલાલા, બગસરા સહિત અન્ય સ્થળો પર  પહેલગામ આતંકી હુમલાના કારણે મોકુફ રખાયા છે અથવા તો સાદગીથી પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવનાર છે.

રાજકોટ
રાજકોટમાં પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા આવતીકાલે પહેલગામ આતંકી ઘટનાને કારણે શોભાયાત્રા તથા મહાપ્રસાદનું આયોજન રદ કરવામાં આવેલ છે તેમજ પરશુરામ ધામ ખાતે માત્ર મહાઆરતી યોજાશે તથા પહેલગામ  આતંકી હુમલામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રધ્ધાસુમન અપાશે.

જયારે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કાલે પરશુરામ જયંતિની સાદાઇથી ઉજવણી કરવામાં આવશે. કાલે 4.30 કલાકે પંચનાથ મંદિરથી પરશુરામ શોભાયાત્રાનો પ્રારંભ થશે વિવિધ માર્ગો પરથી પસાર થઇને ચૌધરી હાઇસ્કુલ ખાતે સંપન્ન થશે ત્યાં મહાઆરતી તથા પહેલગામ ઘટનાના મૃત્યુ પામેલા દિવંગતોને શ્રધ્ધાસુમન અપાશે.

ગોંડલ
બ્રાહ્મણોનાં આરાધ્યદેવ ભગવાન પરશુરામનો પ્રાગટ્ય દિન તા.29 મંગળવારનાં સાદગીપુર્ણ ઉજવવા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા નક્કી કરાયુ છે. શહેર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ જીતુભાઇ આચાર્ય એ જણાવાયુ કે કાશ્મીર નાં પહેલગાવ માં આતંકવાદીઓ એ નિર્દયપણે 27 નિર્દોષ લોકોનો ભોગ લીધો છે. જે નિંદનીય છે.બ્રામ્હણો હમેંશા રાષ્ટ્રવાદી રહ્યા છે.

ત્યારે અસુરી વિચારોનો સંહાર કરનારા ભગવાન પરશુરામ જન્મોત્સવ ગોંડલ બ્રહ્મસમાજ દ્વારા સાદગીપુર્ણ ઉજવાશે. શોભાયાત્રા તથા ભોજન પ્રસાદ બંધ રાખી તા.29 મંગળવાર સાંજે સાડા પાંચ કલાકે ભુવનેશ્ર્વરીમંદિર ખાતે આરતી અને પુજાનો કાર્યક્રમ રખાયો છે. બાદમાં મૃતાત્માઓને શ્રધ્ધાંજલી અર્પણ કરાશે.હિન્દુ સંગઠનો પણ પરશુરામ જન્મોત્સવમાં જોડાશે.

વેરાવળ
વેરાવળ બ્રહ્મ સમાજ પરશુરામ જ્યંતીએ શોભાયાત્રા ન કાઢવાની જાહેરાત કરી અને કાશ્મીરમાં આંતકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી પાઠવનાર છે.
કાશ્મીરના પહેલગામ આંતકવાદીઓએ કરેલ કાયરતા પૂર્ણ હુમલામાં નિર્દોષ 28 નાગરિકોના મૃત્યુ થયાની ઘટનાને લીધે દેશમાં શોકનો માહોલ હોવાથી તા.29 ના પરશુરામ જયંતિના પાવન દિવસે વેરાવળમાં નીકળનારી બ્રહ્મસમાજની શોભાયાત્રા ન કાઢવાનો નિર્ણય લીધેલ છે. આ દિવસે નિર્દોષ નાગરીકોના દિવ્ય આત્માની શાંતિ માટે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરેલ હોવાનું બ્રહ્મસમાજના પ્રમુખ સુજલભાઈ પાઠકએ જણાવેલ છે.

વાંકાનેર
વાંકાનેરમાં ભુદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ દાદાની જન્મ જયંતિની ઉજવણી તા. 30ના રોજ કરવામાં આવનાર હતી જેમાં આવતીકાલ તા. ર9ના રાત્રે પરશુરામ ભગવાનને આહવાન કરી ગરબા રાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ તા. 30ના રોજ સવારે રાજકોટ રોડ પર નવનિર્માણ પામનાર પરશુરામ ધામ ખાતે શાંતિ યજ્ઞ તથા સાંજે જકાતનાકા નેશનલ હાઇવેથી શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવનાર હતી.

પરંતુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ર7 નિર્દોષ  પ્રવાસીઓને ધર્મ પૂછી મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા માત્ર ભારત દેશ જ નિ પરંતુ આખુ વિશ્વ શોકમાં ગરકાવ થઇ ગયું છે. વિશ્ર્વના ખુણે ખુણેથી આ જઘન્ય કૃત્યને વખોડી કાઢવામાં આવ્યું છે અને સાથે જ આ માનવભક્ષી રાક્ષસોના સંહાર માટે દેશના પ્રજાજનો વડાપ્રધાનના નિર્ણય સામે મીટ માંડીને બેઠા છે.

આવા માનવ હત્યાકાંડને કારણે વાંકાનેરમાં પરશુરામ જન્મ દિવસે યોજાનાર દાંડિયા રાસ, શોભાયાત્રા તથા મહાપ્રસાદના કાર્યક્રમો રદ કરવામા ંઆવ્યા છે અને હવે તા. 30ના રોજ સવારે પરશુરામ ધામ ખાતે શાંતિ યજ્ઞ તથા દિવંગતોના આત્માના કલ્યાણ માટે શ્રધ્ધાંજલી તથા સાંજે મહાઆરતી સાદગીથી યોજવામાં આવશે જેની સમસ્ત બ્રહ્મસમાજ સહિત તમામ સનાતની હિન્દુ સમાજે નોંધ લેવા મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઇ  ઓઝા તથા વાંકાનેર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ જયેશભાઇ ઓઝાની યાદીમાં જણાવાયું છે.

ઉપલેટા
સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ જિલ્લા ઉપલેટા શહેર અને તાલુકાના મહામંત્રી યોગેશભાઈ વ્યાસે એક યાદીમાં જણાવેલ છે કે તારીખ 29 ના મંગળવારે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ જિલ્લા દ્વારા ઉપલેટામાં અખાત્રીજ ભગવાન પરશુરામના જન્મદિવસ નિમિત્તે કાશ્મીરમાં આતકવાદીઓ દ્વારા નિર્દોષ લોકો ઉપર હીચકારો હુમલો કરી 28 જેટલા નાગરિકોના મોત થયા છે.

બાળકો નિરાધાર થયા છે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ઉપરોક્ત દિવ્ય આત્માને શાંતિ માટે તારીખ 29 ના મંગળવારે અહીંના ત્રિલોકનાથ મંદિર ખાતેથી સવારે 9:00 વાગે શ્રદ્ધાંજલિ યાત્રા નીકળશે અને ગાયત્રી યજ્ઞ ભજન કીર્તન દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે નાથરા બાદ દિવ્યાંગ બાળકો અને વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ભોજન કરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે શ્રદ્ધાંજલિ યાત્રા નો રૂટ ત્રિલોકનાથ મંદિરથી બસ સ્ટેન્ડ ચોક બાવલા ચોક રાજમાર્ગ ગાંધી ચોક ભાદર ચોક અને સમસ્ત બ્રહ્મ સમાજની વાડી ડેનિસ હોલ પાસે યાત્રા પૂર્ણ થશે.

જામખંભાળીયા
બ્રહ્મ સમાજના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામ દાદાની જયંતિ નિમિત્તે આગામી મંગળવારે તારીખ 29 એપ્રિલના રોજ ખંભાળિયામાં બ્રહ્મ સમાજ દ્વારા મહા આરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલો થતાં આ ઘટનામાં 27 જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. આ આતંકી હુમલાને ધ્યાનમાં લઈને ખંભાળિયા બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ દાદાની જન્મ જયંતિ ખૂબ જ સાદગીપૂર્વક યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જેમાં મંગળવાર તા. 29 ના રોજ સાંજે 7:30 વાગ્યે અત્રે મોરલી મંદિર પાસે આવેલી શ્રી રાજ્ય પુરોહિત જ્ઞાતિની વાડી ખાતે માત્ર મહા આરતી તેમજ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરાયું આવ્યું છે.જેમાં બ્રહ્મ સમાજના જ્ઞાતિજનોએ સહભાગી થઈ અને સદગતના આત્માને શાંતિ મળે તેવી શ્રી પરશુરામ દાદાને પ્રાર્થના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ધ્રોલ
ધ્રોલ ખાતે દર વર્ષે ભગવાન શ્રી પરશુરામ જયંતીની ઉજવણી ભવ્ય રીતે બ્રહ્મસમાજ તરફથી કરવામાં આવે છે. આ વર્ષે પણ પરશુરામ જયંતીનું ભવ્ય રીતે ઉજવવા માટેનું આયોજન કરવામાં આવેલ પરંતુ તાજેતરમાં કાશ્મીરમાં  પહેલગામમાં આતંકવાદી દ્વારા હિન્દુ સમાજના યાત્રીઓ ઉપર હુમલો કરી ર8 પ્રવાસીઓને મોતનો ખુની ખેલ ખેલતા  આ વચ્ચે બ્રહ્મસમાજ તરફથી કાલે તા. 29ના પરશુરામ જયંતી પ્રસંગે દર વર્ષે યોજવામાં આવતી શોભાયાત્રા તથા  સમુહ ભોજનનો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે અને ફકત પરશુરામજી પૂજન કરવામાં આવશે. તેમજ હુમલામાં માર્યા ગયેલા દિવંગતો માટે શાંતિ પાઠ તથા ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ કરવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હોવાનું બ્રહ્મસમાજના આગેવાનો હરેશભાઇ દવે તથા ભદ્રેશભાઇ ત્રિવેદીએ જણાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj