રાજકોટ, તા.14
ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધની પરિસ્થિતિ શાંત થઇ થાળે પડતા રાજકોટનું હીરાસર સ્થિત ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બે દિવસ પહેલા જ હવાઇ સેવા માટે ખુલ્લુ મુકયા બાદ આજે ફરી હવાઇ સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે આજે સાંજે ઇન્ડિગો એર લાઇન્સની રાજકોટ-મુંબઇ-રાજકોટ અને રાજકોટ-દિલ્હી-રાજકોટ ફલાઇટનું ઉડ્ડયન શરૂ થનાર છે.
જમ્મુ-કાશ્મીરનાં પહેલગામ આતંકી હુમલાનાં પગલે ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધની પરિસ્થિતિ સર્જાતા ગત તા. 7 થી 9 અને ત્યારબાદ વધુ તા. 15મી સવાર સુધી રાજકોટ સહિત દેશભરના 16 જેટલા એરપોર્ટ સિવિલ ફલાઇટ માટે બંધ કરાયા હતા.
જોકે બાદ તા. 12નાં રોજ રાજકોટ સહિતના એરપોર્ટ સિવિલ ફલાઇટ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. પરંતુ ગઇકાલે તા. 13ના રોજ રાજકોટ એરપોર્ટમાં એક પણ ફલાઇટનું આવાગમન થયું ન હતું. ઇન્ડિગોએ જાહેર કરેલ એક ફલાઇટ પણ કેન્સલ કરી હતી.
દરમિયાન આજે 7 દિવસ બાદ આજે સાંજે ઇન્ડિગો એર લાઇન્સની 16:ર0 કલાકની રાજકોટ-મુંબઇ-રાજકોટ અને 17:પ0 કલાકની રાજકોટ-દિલ્હી-રાજકોટ બે ફલાઇટનું લેન્ડીંગ-ટેક ઓફ થનાર છે.
જોકે એર ઇન્ડિયા એર લાઇન્સ તરફથી કોઇ સત્તાવાર ફલાઇટ શરૂ થવાની જાહેરાત થઇ નથી. કદાચ આવતી કાલથી રાજકોટથી મુંબઇ-દિલ્હી સેવા શરૂ કરે તેવી શકયતા છે.
આવતીકાલથી રાજકોટ એરપોર્ટમાં બંને એર લાઇન્સની રાબેતા મુજબ મુંબઇ, દિલ્હી, પુના, ગોવા, હૈદરાબાદ, બેંગ્લોર સહિતની 10 થી 11 ફલાઇટ શરૂ થનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે. હવાઇ સેવા શરૂ થતા હવાઇ મુસાફરોએ રાહત અનુભવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy