રાજકોટ, તા.24
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર શહેર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનો માટે અદ્યતન સુવિધાસભર રીડિંગ લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે 21 જાન્યુઆરીના રોજ આ રીડિંગ લાયબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ઉદઘાટક તરીકે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વરદ હસ્તે રીડિંગ લાયબ્રેરીનું રીબીન કાપીને ઉદઘાટન કર્યું હતું.
શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર શહેરના હાર્દ સમા વિસ્તાર એવા સરગાસણ ચોકડી ખાતે આવેલા નક્ષત્ર બિલ્ડિંગમાં ત્રીજા માળે અદ્યતન સુવિધાસભર રીડિંગ લાયબ્રેરી બનાવવામાં આવી છે. જેમાં 100થી વધુ વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં બેસીને વાંચન કરી શકશે. આ રીડિંગ લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે પર્સનલ ડેસ્કની સાથે રોલિંગ ચેર અને બોસ ચેરની સુવિધા, લોકરની સુવિધા, વાઈ-ફાઈની સુવિધા, એસીની સુવિધા અને ડાયનિંગની સુવિધા આપવામાં આવી છે.
રીડિંગ લાયબ્રેરીના ઉદઘાટન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ દિપ પ્રાગટ્ય કર્યું હતું.
દિપ પ્રાગટ્ય બાદ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના પ્રમુખ હરેશભાઈ પરસાણાએ સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા. ઉદઘાટન પ્રસંગે હાજરી આપનાર કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાનું ખોડલધામનો ખેસ પહેરાવી મા ખોડલની પ્રતિમા આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy