લખનૌ (ઉતરપ્રદેશ) તા.18
એક બાજુ દેશમાં ગરમી કાળો કેર મચાવી રહી છે ત્યારે ઉતરપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા અને કમોસમી વરસાદે તબાહી મચાવી છે. ઉતરપ્રદેશમાં ગઈકાલે ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે 11 લોકોના મોત થયા છે.
આ ઘટનાઓ રામનગરી અયોધ્યા સહિત બારાબંકી અને અમેઠી જિલ્લામાં પણ બની હતી. અનેક લોકો ઘાયલ થયા હતા. તો હિમાચલ પ્રદેશમાં પણ વાવાઝોડા અને કહેર મચાવ્યો છે. બુધવારે વાવાઝોડાએ એક મહિલા અને એક બાળકનો જીવ લીધો હતો. હવામાન વિભાગે આજે અને કાલે ભારે વરસાદ અને કરાવૃષ્ટિનું ઓરેંજ એલર્ટ આપ્યું છે.
ઉતરપ્રદેશમાં વાવાઝોડા વરસાદથી 11ના મોત: યુપીમાં ગઈકાલે અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદથી અવધમાં 11 લોકોના મોત થયા હતા. આ ઘટનાઓ રામનગરી અયોધ્યા, બારાબંકી, અમેઠી જિલ્લામાં બની હતી. વાવાઝોડાને કારણે દીવાલ, છાપરા અને વૃક્ષો ધરાશાયી થયા હતા.
આ ઘટનાઓને પગલે સીએમ યોગીએ અધિકારીઓને સખ્ત નિર્દેશ આપ્યા છે કે અસરગ્રસ્ત પરિવારોને મળીને તેમને તાત્કાલિક રાહત પહોંચાડવામાં આવે, સાથે સાથે અધિકારીઓ અસરગ્રસ્ત ક્ષેત્રમાં ભ્રમણ કરે.
અયોધ્યામાં અલગ અલગ દુર્ઘટનામાં પાંચ મહિલાના મૃત્યુ થયા છે અને અડધો ડઝન લોકો ઘાયલ થયા છે. અમેઠી જિલ્લામાં વીજળી પડવાથી એક મહિલાનું મોત થયું હતું. કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે માર્ગો પર અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. જેના કારણે વાહન વ્યવહાર, વીજ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ખેતીના ખાસ કરીને ઘઉંના પાકને નુકસાન થયું છે.
બારાબંકીમાં પાંચના મોત: યુપીમાં અવધ ક્ષેત્રમાં ગુરુવારે સાંજે અચાનક વાવાઝોડા, વરસાદ અને કરાવૃષ્ટિથી છાપરા, દીવાલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. જેના કારણે પાંચ લોકોના મોત નિપજયા હતા.
યુપીમાં અવધ ક્ષેત્રમાં વરસાદ, વાવાઝોડુ અને કરાવૃષ્ટિથી સર્જાયેલી તબાહીને લઈને જિલ્લાના અધિકારીઓને રાહતકાર્ય સંચાલીત કરવાના આદેશ આવ્યા છે.
હિમાચલમાં વાવાઝોડાએ મચાવ્યો કહેર: બેના મોત: હિમાચલ પ્રદેશમાં બુધવારની રાત્રે આવેલા વાવાઝોડાએ મોટી તબાહી મચાવી હતી. જેના કારણે હમીરપુરમાં વૃક્ષ પડવાથી 8 વર્ષના બાળક અને સિરમોર જિલ્લામાં એક મહિલાનું મોત થયું હતું. અનેક લોકો ઘાયલ થયા હતા. અનેક ઘરોને નુકસાન થયું છે અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
હવામાન વિભાગે 18 અને 19 એપ્રિલે ભારે વરસાદ અને કરાવૃષ્ટિનું ઓરેંજ એલર્ટ જાહેર કર્યુ છે. હમીરપુર જિલ્લાના બડસરમાં મજુરોની ઝુંપડી પર વૃક્ષ ધરાશયી થવાથી 8 વર્ષના બાળક અને બલઢાડાના ચરયાચી ગામમાં છત તૂટી પડતા મહિલાનું મૃત્યુ નિપજયું હતું.
જયારે અન્ય લોકો ઘાયલ થયા છે. મંડીના પરોહ ગામે વૃક્ષ પડવાથી 16 બકરીઓ અને મેહતપુરમાં વાવાઝોડાથી થાંભલો તૂટવાથી વિજશોકથી બે ગૌવંશના મોત થયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy