► ક્ષત્રિય સમાજની એકતા, તેનું જતન, વ્યસનમુકિત વગેરે સંબંધી સામુહિક ચિંતન કરીને સમાજને કઈ રીતે આગળ લઈ જઈ શકાય તે વિચારવાનો સમય આવી ગયો છે: ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા
► આગામી તા.15ના રવિવારે ગાયત્રી આશ્રમ ગધેથડમાં ઉજવાશે ગુરૂવંદના કાર્યક્રમ
રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાનું ગધેથડ ગામનો ગાયત્રી આશ્રમ અને ગુરૂ શ્રી લાલદાસબાપુની નામના દેશ-વિદેશમાં છવાઈ છે. તેમના અઢારેય વર્ણના લાખો ભકતો છે. સેવા, સાધના અને સંતનો દિવ્ય અવતાર એટલે ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુ.
ગઈકાલ તા.2જીના ગધેથડ ગાયત્રી આશ્રમે પૂ.લાલબાપુના સાંનિધ્યમાં ગુરૂ દત્તાત્રેય જયંતીને અનુલક્ષીને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ગુજરાતના 35 રજવાડાના રાજવીઓ, ક્ષત્રિય આગેવાનો, પૂર્વ મંત્રીઓ ધારાસભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પૂ.લાલબાપુએ જણાવ્યું હતું કે રાજપૂતોની શકિત અને ભકિતનો શ્રેય ખરેખર માતાઓ અને બહેનોના ફાળે જાય છે. આપણે માતા-બહેનને જગદંબા કહીએ તો જરાય ખોટું નથી. તેમણે જણાવ્યું કે આ પવિત્ર જગ્યામાં અઢારેય વર્ણના લોકો આવે છે અહીં નાત-જાતનો ભેદભાવ નથી. આશ્રમમાં હજારો દર્દીઓ આવે છે અને તેમનું નિદાન કરીને દવાઓ આપવામાં આવે છે. અહીં કેન્સરગ્રસ્ત દર્દીઓ પણ આવતા હોય છે. આ સેવા નિ:શુલ્કપણે બજાવવામાં આવે છે કોઈની પાસેથી 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી.
પૂ.લાલબાપુએ આગામી તા.14મીના ગુરૂ દત્તાત્રેય જયંતી નિમિત્તે ગુજરાતના રાજવીઓને તથા ક્ષત્રિય અગ્રણીઓ કાઠી-ક્ષત્રિય અગ્રણીઓને આમંત્રિત કરીને બોલાવ્યા હતા. આ પ્રસંગે રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે પૂ.લાલબાપુના આમંત્રણનો સ્વીકાર કરીને અત્રે સૌ પધાર્યા છે. અહીં પૂ.લાલબાપુના દર્શન, આશીર્વાદ તથા પ્રસાદ આરોગવાનો લાભ મળ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ સભાનો મુખ્ય આશય ક્ષત્રિય સમાજની એકતા, તેનું જતન, વ્યસનમુકિત વગેરે સંબંધી સામુહિક ચિંતન કરીને સમાજને કઈ રીતે આગળ લઈ જઈ શકાય તે વિચારવાનું છે. આ પ્રસંગે જામનગરના યુવરાજ અજયસિંહ જાડેજા (ક્રિકેટર), રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા, ગોંડલથી રાજેન્દ્રસિંહજી બાપુ, લાઠીથી ઠાકોર કીર્તિકુમારસિંહજી, વીરપુરથી ઠાકોર દેવેન્દ્રસિંહજી, ખીરસરાના જયસિંહજી બાપુ, જામનગરના કે.એસ. અર્જુનસિંહજી, પાળથી અમરસિંહજી, રાજપરાથી રાજવિજયસિંહજી, કોઠારીયાથી ઠા.જયદીપસિંહજી, મેંગણીના દરબાર ઉપેન્દ્રસિંહજી, ચોટીલાના દરબાર સાહેબ જયવીરસિંહજી, માખાવડના કે.એસ. હરિશ્ર્ચંદ્રસિંહજી, કે.એસ. ચંદ્રજીતસિંહજી બાપુ, બાબરાના યશવંતકુમારજી, બિલખાથી ધીરજસિંહજી બાપુ, માંડવગઢથી પુંજાભાઈ વાળા, ઢાંકના દરબાર રાજસિંહજી વાળા, મા સાહેબ ભારતીબા, લાખણકાથી કે.એસ. હરદીપસિંહજી, જસદણથી સત્યકુમારજી ખાચર, યશુબાપુ વાળા, ચુડાના ભરતસિંહજી વાળા, નડાળાના રાજદીપસિંહ વાળા, હરસુખરપુરથી નિર્મળસિંહજી વાળા, જશવંતસિંજી વાળા, આણંદપુરથી જીતેન્દ્રભાઈ ખાચર, જયવીરસિંહ દાદાબાપુ (ચોટીલા), ભાયાવદરના રાજેન્દ્રસિંહ વાળા, રૂપાવટીના જયરાજસિંહજી, સહિત અન્ય રજવાડાના રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ક્ષત્રિય અગ્રણીઓની ઉપસ્થિતિ
આ પ્રસંગે પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, જામનગરના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા (હકુભા), ધારાસભ્ય ગીતાબા જાડેજા, ધારાસભ્ય રીવાબા જાડેજા, ગણેશજી, કચ્છના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના અન્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધ્રોલથી ક્ષત્રિય અગ્રણી ધર્મવિજયજી, લાખણકાના ચંદ્રજીતસિંહજી યશવંતકુમાર (બાબરા) ભરતસિંહજી (બિલખા) વગેરે આવેલા હતા. સાંસદ શકિતસિંહજી ગોહિલ તથા શંકરસિંહજી વાઘેલાએ શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.
પૂ.લાલબાપુ
ગાયત્રી ઉપાસક તરીકે સૌરાષ્ટ્ર સહિત દેશ વિદેશમાં મૂળ નામના મેળવી ચૂકેલા પૂ.લાલબાપુએ 65 વર્ષની ઉમર દરમિયાન 50 વર્ષ એકાંતવાસમાં રહીને કઠોર સાધના કરી છે તેઓ પાંચથી વધુ એકાંતવાસમાં સાધના કરી ચૂકયા છે. જેમાં 21 મહિનાથી 12 વર્ષ સુધીનો સમાવેશ થાય છે.
પૂ.લાલબાપુ આશ્રમમાં રહેલી પોતાની સાધના કુટિરમાં રહીને કઠોર સાધના કરે છે. માતાજીની આરાધના સમયે તેઓ કોઈને મળતા નથી. તેમની સાધના કુટીરમાં તેમના શિષ્ય રાજુ ભગત અને દોલુ ભગતને જવાની મંજુરી છે. સાધના કુટીરમાં નીચે એક ભોયરૂ આવેલું છે ત્યાં બેસીને તેઓ કઠોર સાધના કરે છે જયાં સૂર્ય પ્રકાશ પણ પહોંચી શકતો નથી.
તા.15ના ગુરૂભકિત કાર્યક્રમ
ગુરૂ દત્તાત્રેય જયંતીની ઉજવણી નિમિતે ગાયત્રી આશ્રમ ગધેથડમાં તા.15મીના રવિવારે ગુરૂ ભકિત કાર્યક્રમનું આયોજન કરાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy