રાજકોટ, તા. 30
આજે ભારતભરમાં અખાત્રીજ એટલે કે અક્ષય તૃતિયા પર્વ ઉજવવામાં આવે છે. આજના દિવસે વસ્તુ ખરીદવી શુભવંતી ગણવામાં આવે છે. આ ઉપરાંત આજે ખાસ પ્રસંગો યોજાય છે. નવી શરૂઆત કરવામાં આવે નવા ઘરમાં કુંભ મુકાય છે. નવા કાર્યના શ્રીગણેશ કરાય છે તેમજ ખાસ વસ્તુ ખરીદવા પણ આજનો દિવસ શુભ ગણવામાં આવે છે.
અક્ષય તૃતિયામાં સોનુ-ચાંદી ખરીદવાનો ખાસ મહત્વ રહેલું છે. લોકો આજે શુકનવંતી ખરીદી કરવા તેમજ આજના શુભ દિનથી લગ્ન પ્રસંગ કે ખાસ દિવસ માટે સોના-ચાંદીની ખરીદી કરે છે. દર વર્ષે આજના દિવસે બહોળા પ્રમાણમાં સોના-ચાંદીની ખરીદી થાય છે.
સવારથી સોની બજારમાં દુકાનોમાં લોકોની ભીડ જોવા મળે છે. પરંતુ આ વર્ષની અખાત્રીજ વેપારીઓ અને લોકો માટે અલગ છે. કારણ કે સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડયા છે.
હાલ સોનુ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગયું છે જેના કારણે છેલ્લા કેટલાક મહિનાથી સોનાની ખરીદીમાં બે્રક જોવા મળી રહ્યું છે. સોનુ રૂા. એક લાખની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયું હતું. ત્યારે ખરીદી પર સંપૂર્ણ બ્રેક લાગી ગયો હતો.
છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવ ઘટતા બજારમાં ખરીદીની ચમક જોવા મળી રહી છે. વેપારીઓની પણ અક્ષય તૃતિયાના પર્વ પર ખરીદીને લઇને આશા છે.
આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આથી વેપારીઓને સારા વેપારની આશા છે. સવારથી બજારમાં ધીમી ખરીદીની શરૂઆત થઇ છે અને સાંજે ખરીદીમાં ચમક જોવા મળશે તેવી વેપારીઓને આશા છે.
રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસો.ના પ્રમુખ મયુર આડેસરા જણાવે છે કે સવારે 10 વાગ્યા બાદ ખરીદીની ધીમી શરૂઆત થઇ છે. સવારના ભાગમાં તાપ હોવાના કારણે લોકો ખરીદી કરવાનું ટાળી રહ્યા છે.
ત્યારે વેપારીઓને સાંજના સમયે સારા વેપારની આશા છે. દર વર્ષ કરતા આ વર્ષે ખરીદી ઓછી જોવા મળી રહી છે. પરંતુ લોકો શુકનવંતી ખરીદી કરી અખાત્રીજનું મુહૂર્ત જાળવી રહ્યા છે.
ખાસ કરીને 100 મીલી ગ્રામથી 50 ગ્રામ સુધીની સોનાની ગીની, ઇયરીંગ, વીંટી, બ્લેસલેટ સહિત પરચુરણ ખરીદી કરી રહ્યા છે. 1000થી લઇ 5 લાખ સુધીની ગીનીનું વેચાણ થઇ રહ્યું છે. આજે ભાવ ઘટતા સારા વેપારની આશા છે.
સોની બજારના વેપારી સોનુભાઇ સાહોલીયા જણાવે છે કે, સવારથી ખરીદીની ધીમી શરૂઆત થઇ છે પરંતુ લોકો અખાત્રીજની શુકનવંતી ખરીદી કરશે તેવી આશા છે. લોકો 18 અને 22 કેરેટની જવેલરી વધુ પસંદ કરી રહ્યા છે.
જેમાં એન્ટીક, રોઝ ગોલ્ડ, કાસ્ટીંગ જવેલરીની માંગ વધુ છે અને શુકન સાચવવા ગીનીની વધુ ખરીદી થઇ રહી છે. લોકો માટે સોનુ હંમેશા પ્રથમ પસંદગી રહ્યું છે આથી ભાવ વધારા સામે પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે સોનુ શ્રેષ્ઠ માને છે.
રાધિકા જવેલર્સવાળા અશોકભાઇ જણાવે છે કે અખાત્રીજ એ વેપારીઓ માટે મોટો તહેવાર છે. આજના દિવસે સારી ખરીદીની આશા હોય છે પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 50 ટકા ઓછી ખરીદી જોવા મળી રહી છે. ઓલટાઇમ હાઇ સોનાએ લોકોની ખરીદી પર બ્રેક મારી દીધી છે. વેપારીઓએ આજ દિવસ માટે સારી એવી તૈયારી કરી હતી.
પરંતુ સવારથી જ થઇ રહેલી ધીમી ખરીદીએ વેપારીઓનું મનોબળ નબળુ પાડયું છે. હાલ શુકનવંતી ખરીદી માટે લોકો ગીનીની ખરીદી વધુ કરી રહ્યા છે. લોકો જોઇ રહ્યા છે જેમાં મેકીંગ ચાર્જીંસ ઓછો લાગે તેવી જવેલરીની ખરીદી કરે છે.
આ ઉપરાંત ગ્રાહકોને આકર્ષવા વેપારીઓએ અનેક ડિસ્કાઉન્ટ ઓફર રાખી છે. જેમાં પર 10 ગ્રામે મેકીંગ ચાર્જીસ પર 4 હજારનું ડિસ્કાઉન્ટ, ડાયમંડ પર પ0 ટકા ડિસ્કાઉન્ટ રાખેલ છે.
સવારે ખરીદી ઓછી જોવા મળી હતી પરંતુ સાંજ પડતા જ બજારોમાં ગ્રાહકોની હલચલ જોવા મળી હતી. સોનાના ભાવ ભલે વધારે હોય પરંતુ લોકો ખરીદી કરે છે અને અખાત્રીજનું શુકન સાચવે છે.
ભીષણ ગરમીના કારણે સવારના સમયે ખરીદી ઓછી
છેલ્લા કેટલાક દિવસથી સુરજદેવતા પણ પોતાનો કોપ વરસાવી રહ્યા છે. ભીષણ ગરમીના કારણે લોકો બહાર જવાનું ટાળે છે જેના કારણે બજાર પણ સુમસામ જોવા મળે છે. વેપારીઓની ખરીદી પર કાપ જોવા મળી રહ્યો છે. આજના દિવસે પણ ભારે ગરમીના કારણે લોકોએ સવારના ભાગમાં ખરીદી કરવાનું ટાળ્યું છે.
સવારના ભાગમાં અખાત્રીજની ધીમી ખરીદીની શરૂઆત થઇ હતી. આથી સવારના ભાગમાં વેપારીઓ પણ ગ્રાહકોની રાહમાં હતા. સામાન્ય રીતે બપોરે 1 થી સાંજના 5 વાગ્યા સુધી લોકો બહાર નીકળવાનું ટાળે છે ત્યારે વેપારીઓને આશા છે કે સાંજના સમયે સારી ખરીદી જોવા મળશે.
અખાત્રીજના દિવસે જ મોટી રાહત : સોનામાં 1000 અને ચાંદીમાં 3000નો ઘટાડો
આજે અખાત્રીજનો તહેવાર લોકો સારી ખરીદીથી ઉજવે છે. તેવામાં છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો હતો. તેની સીધી અસર ખરીદી પર જોવા મળી રહી હતી. છેલ્લા ચાર મહિનાથી ખરીદી સંપૂર્ણ ઠપ્પ જોવા મળી હતી.
વેપારીઓ પણ ચિંતામાં મુકાયા હતા. પરંતુ આજના દિવસ માટે વેપારીઓને આશા હતી કે સારી ખરીદી જોવા મળશે. ત્યારે ભાવ ઘટાડાએ વેપારીઓને આંશિક રીતે મદદ કરી છે.
સોનાના ભાવમાં આજે 1000 અને ચાંદીના ભાવમાં 3000નો ઘટાડો નોંધાયો છે. આ સાથે સોનુ 98,000 અને ચાંદી 97,000ના સ્તરે પહોંચ્યું હતું. ગઇકાલે ઓટો સેકટરમાં ટેરીફ ઓછું કરવાના સંદર્ભમાં બજારમાં મોટી હિલચાલ જોવા મળી હતી. જેના પરિણામે આજે ભાવમાં ઘટાડો નોંધાયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy