વડોદરા, તા. 2
વડોદરાના હરણી બોટ દુર્ઘટનામાં દિકરી ગુમાવનાર બે મહિલાઓએ આજે વડોદરા વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત માટે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના કાર્યક્રમમાં ન્યાયની માંગણી સાથે હોબાળો કરતા દોડાદોડી થઇ ગઇ હતી. બાદમાં પોલીસે બંને મહિલાને બહાર લઇ જઇ, બંનેના પતિની અટકાયત કરી હતી પરંતુ આ ઘટનાક્રમ વચ્ચે શાંત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખુબ ગુસ્સે થઇ જતા આશ્ચર્ય પણ ફેલાયું હતું.
દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આજે મુખ્યમંત્રી દ્વારા રૂ. 1,156 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક બે મહિલા ઊભી થઇને હરણી બોટકાંડ અને આવાસ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરવા લાગી હતી.
આ મહિલાઓની રજૂઆતો સાંભળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુસ્સામાં આવીને એવું કહી દીધુ હતું કે ‘તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો બેન.. તમે શાંતિથી મળો. અત્યારે તમે બેસી જાવ. તમે મને મળીને જજો.’
બીજી તરફ, આ ઘટનામાં બંને મહિલાના પતિ પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેઇન કર્યા હતા અને બંને મહિલા ઓડિટોરિયમ રૂમમાં બંધ હતી. ત્યારબાદ બંને મહિલા અને તેમના પતિને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયા હતા, જ્યાં તેમને કોઈના કહેવાથી વિરોધ કર્યો છે કે કેમ તે જાણવા માટે તેમની પૂછપરછ કરાઈ રહી છે.
આ કાર્યક્રમમાં હાજર પોલીસકર્મીઓએ સંધ્યા નિઝામા અને સરલા શિંદે નામની આ મહિલાઓને બેસાડી દેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાઓ રજૂઆત કરતી રહી હતી. મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમમાં જ બંને મહિલાઓએ ન્યાયની માંગણી કરી હતી.
તેમણે મુખ્યમંત્રીના ચાલુ ભાષણમાં ઊભા થઈને કહ્યું હતું કે, ‘અમે તમને દોઢ વર્ષથી મળવા માંગીએ છીએ પરંતુ કોઇ મળવા દેતું નથી.’ ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અકળાઈને કહ્યું હતું કે, ‘આપણે તેમની બાજુ ધ્યાન ન આપશો.
તેઓ ચોક્કસ એજન્ડા સાથે આવ્યા છે. આપણે તેના પર ધ્યાન આપવાની જરૂર નથી.’ ત્યારબાદ કાર્યક્રમમાં હાજર લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.
બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભાષણ પૂરૂ થતાં ફરી બંને મહિલાઓ ઊભી થઇ હતી. તેઓ સતત હરણી બોટકાંડ અને આવાસ નહીં મળ્યાની રજૂઆત કરતી હતી.
ત્યારે હાજર સુરક્ષાકર્મીઓએ બંને મહિલાનું મોં દબાવીને બહાર કાઢી હતી. આ કાર્યક્રમ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંને મહિલાઓને મળવા બોલાવી હતી.
મુખ્યમંત્રીએ એવું કહ્યું હતું કે, કોઈ પણ મુશ્કેલી હોય, સોમવારે આપડે કોઇને રોકતા નથી.
ત્યાં આવીને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે. પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોઇ ત્યારે તે પ્રોગ્રામમાં આવીને રજૂઆત કરવી તે આપણી સંસ્કારી નગરીને શોભે નહીં અને આની અંદરથી જ આપણે બહાર નીકળવાનું છે.
વિવાદ બાદ કલ્પેશ નિઝામાએ જણાવ્યું કે, મારા પત્નીને ડિટેઇન કરવામાં આવ્યા છે. અમે ગુનેગાર છીએ કારણ કે અમે બાળકોને ગુમાવ્યા છે એટલે, અમને નજરકેદ કરવામાં આવે છે, શું અમે આતંકવાદી છીએ? ગુનેગાર છીએ? પોલીસનું આવું ખરાબ વર્તન યોગ્ય નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy