રાજકોટ. તા.28
જામકંડોરણાના ચિત્રાવડના સરપંચને ’તું ચિત્રાવડનો સરપંચ છો, તો કોની હવા છે’ કહીં જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરીયાદ નોંધાઈ હતી. જામકંડોરણા પોલીસે તુરંત જ આરોપીને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું.
બનાવ અંગે જામકંડોરણાના ચિત્રાવડ ગામે રહેતાં નિલેશભાઈ જમનભાઈ પાનસુરીયા (ઉ.વ.33) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે યોગરાજસિંહ ઉર્ફે રાજા ભાવુભા ચુડાસમા (રહે. ચિત્રાવડ પાટી) નું નામ આપતાં જામકંડોરણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લાં ચાર વર્ષથી ચિત્રાવડ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપે છે. તેમજ તેઓને પાન બીડી અને કરિયાણાની દુકાન આવેલ છે, તેમાં બેસી વેપાર કરે છે. ગઈકાલે સાંજના સમયે તેઓ પોતાની દુકાને હતાં ત્યારે આરોપી યોગરાજસિંહ ઉર્ફે રાજા નામનો શખ્સ ઘસી આવ્યો હતો અને વજન કાંટા પર ઢીક્કો મારી પોતાનો મોબાઈલ થડા પર ઘા કરી કહેલ કે, તું ચિત્રાવડનો સરપંચ છો, તો કોની હવા છે, તેમ કહીં બેફામ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તે સમયે ગ્રામજનો એકઠાં થઈ જતાં આરોપી નાસી છૂટ્યો હતો.
ઉપરાંત વધુમાં ફરીયાદી સરપંચે જણાવ્યું હતું કે, આરોપી વિરુદ્ધ જામનગરના અલગ અલગ પોલીસ મથકમાં મારામારી સહિતના અનેક ગુના નોંધાયેલ છે અને અવારનવાર ગ્રામજનો સાથે માથાકૂટ કરતો શખ્સ હોવાનું પણ જણાવ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી જામકંડોરણા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy