ભાવનગરમાં વ્યાજના નાણાના ડખ્ખામાં યુવાનની હત્યા : મોરબી પાસે પરપ્રાંતિનું ખૂન

Crime | Bhavnagar | 13 December, 2024 | 11:55 AM
હીરાઘસુ યુવકે રૂપિયા વ્યાજે લીધા હતા : ઉઘરાણી માટે ઢીમ ઢાળી દીધુ : અણીયારી નજીક ચાર માસ પહેલા થયેલી હત્યા હવે જાહેર થઇ
સાંજ સમાચાર

ભાવનગર/મોરબી, તા. 13
સૌરાષ્ટ્રના ભાવનગર અને મોરબીમાં હત્યાના વધુ બે બનાવ બન્યા છે. જેમાં ભાવનગરમાં વ્યાજના નાણાની લેતી દેતીમાં ખુન થયું છે. તો મોરબીના અણીયારી ગામ પાસે રાજસ્થાનના યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાંખવામાં આવી હતી. આ બનાવ ચાર મહિને જાહેર થયો છે.

ભાવનગર શહેરના કાળિયાબીડ નજીક બોરતળાવની ખુલ્લી અને અવાવરૂ જગ્યામાંથી એક અજાણ્યા યુવકનો  મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા અને નિલમબાગ પોલીસ સ્ટેશન તથા એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થલે દોડી ગયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની તિક્ષ્ણ હથિયારો વડે હત્યા થઈ  હોવાની શક્યતા જણાઈ આવી હતી. જેના પગલે નિલમબાગ પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પેનલ પીએમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. અને તેની ઓળખની તજવીજ હાથ ધરી હતી. 

પોલીસની તપાસમા મૃતદેહ શહેરના જુની દરબારી સાગવાડી પારીજાત સ્કુલવાળા ખાંચામાં રહેતા પ્રદિપભાઈ ઉર્ફે ઘુઘો ઝવેરભાઈ ડાભી નામના 36 વર્ષીય યુવકનો હોવાનું ખુલ્યું હતું. વ્યવસાયે હીરાના કારખાનામાં હીરા ઘસતા રત્ન કલાકાર યુવકની પૈસાની લેતીદેતી મામલે  કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં ખુલતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

બનાવ અંગે મૃતક યુવકના નાના ભાઈ પરેશભાઈ ઝવેરભાઈ ડાભીએ હોસ્પિટલ આવી મૃતદેહની ઓળખ કરી હતી. જયારે, બનાવ અંગે પરેશભાઈએ નિલમબાગ પોલીસ મથકમાં વિશાલ ભગાભાઈ સોહલા (રહે.ભાંગલીગેટ, ભાવનગર) અને નિરવ દિનેશભાઈ સોહલા (રહે.ભાવનગર) વિરૂદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના મોટાભાઈ અને મૃતક યુવક એવા પ્રદિપભાઈ હીરા ઘસવાનું કામ કરતા હોય અને તેમને રૂપિયાની જરૂરિયાત ઉભી થતાં  વિશાલ ભરવાડ પાસેથી વ્યાજે રૂપિયા લીધાં હતા.

જેથી વિશાલ અવારનવાર તેમના ઘરે તથા ઘર પાસે આવેલા પાનના ગલ્લા પાસે આવી તેમના ભાઈ પ્રદિપભાઈ પાસે વ્યાજે આપેલા રૂપિયાની ઉઘરાણી કરતો હતો. જેમાં પ્રદિપભાઈ તેની સાથે વાતચીત કરી પરત આવી જતાં હતા. ઘણીવાર તેમના પિતા પણ વિશાલ તથા નિરવને કહેતા કે ’હીરાના કારખાના ખુલે એટલે તમારા રૂપિયા ભરી આપીશું’

પરંતુ ગત બુધવાર રાત્રિના  સમયગાળામાં ઉક્ત બન્ને શખ્સો તેમના ઘરે આવ્યા હતા. જયાં મૃતક બન્ને શખ્શો એ સાથે તેમની બાઈક પર બેસીને બહાર ગયો હતો. ત્યાર બાદ આજે સવારે તેમનો બોરતળાવ નજીક નિર્જન સ્થળેથી મૃતદેહ મળી આવ્યો હતો.

જેથી ઉક્ત બન્ને શખ્સોએ વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી બાબતે દાઝ રાખી તિક્ષ્ણ હથિયારો વડે તેમના ભાઈની હત્યા કરી મૃતદેહને નિર્જન સ્થળે છોડી નાસી છૂટયા હતા. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે બન્ને હત્યારા વિરૂદ્ધ હત્યા સહિતની કલમ અન્વયે ગુન્હો નોંધી  ગુનો નોંધ્યો હતો. દરમિયાન પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી અણીયારી
માળીયા હળવદ હાઇવે રોડ ઉપર અણીયારી ગામની સીમમાં શ્રમિક યુવાનને અજાણ્યા શખ્સ દ્વારા કોઈપણ કારણોસર તિક્ષણ હથિયારના ઘા મારીને ગંભીર ઇજા કરવામાં આવી હતી જેથી તે યુવાનનું મોત નિપજ્યું હતું.

મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના ગળી તાલુકાના દદુકા ગામના પુરીબેન સંજયભાઈ મહવઇ (35) નામના મહિલાએ અજાણ્યા શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે માળિયા અમદાવાદ હાઈવે રોડ ઉપર અણીયારી ગામની સીમમાં આવેલ ગોવિંદભાઈ દેસાઈના ખેતરના સેઢા પાસે તેઓના પતિ સંજયભાઈ મોહનભાઈ મહવઇ (35) ને કોઈ અજાણ્ય શખ્સ દ્વારા કોઈ પણ કારણોસર તિક્ષ્ણ હથિયારના ઘા તા 25/8/24 ના રોજ બપોરે ત્રણેક વાગ્યના અરસામાં મરવામાં આવ્યા હતા.

જેથી તે યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ હત્યાની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.મકવાણા ચલાવી રહ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj