* એક પરિવારના બીજા વ્યક્તિને સંગઠનમાં પાંચ વર્ષ કામ કર્યા પછી ટીકીટ માટે યોગ્ય બનશે : જોકે ગાંધી કુટુંબ માટે અપવાદ રખાઈ તેવી શક્યતા : સંગઠનમાં તમામ સ્તરે 50 ટકા સ્થાન યુવાઓને મળશે
* પક્ષમાં સતત નિષ્ક્રિય રહેતા અથવા તો હોદા માટે જ આવતા કાર્યકર્તાઓ અને નેતાઓને સ્થાન નહીં : કાયાકલ્પ માટે કોંગ્રેસનો પ્રયાસ પરંતુ અમલ પર અનેક પ્રશ્નો
* એક પરિવાર એક ટીકીટ પર સંમતિ બની હોવાનો પ્રવક્તા અજય માકનનો દાવો : પ્રશાંત કિશોરની ફોર્મ્યુલા પણ વિચારણામાં હોવાનો સંકેત
ઉદયપુર, તા. 13
દેશમાં મુખ્ય વિપક્ષ તરીકેનું પોતાનું સ્થાન મેળવવા તથા 2024ની લોકસભા ચૂંટણીમાં વધુ મજબૂત બનીને લડાઈ આપવાની તૈયારી સાથે આગળ વધી રહેલા કોંગ્રેસ પક્ષની આજથી શરુ થયેલ ચિંતન શિબિરમાં રાષ્ટ્રીયથી લઇ રાજ્ય અને છેક તાલુકા કક્ષા સુધીના કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરવા ઉપરાંત લોકોના પ્રશ્નો વધુ આક્રમકતાથી ઉઠાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તો બીજીતરફ પરિવારવાદના આરોપથી ઘેરાયેલા કોંગ્રેસ પક્ષમાં હવે એક પરિવાર એક વ્યક્તિની ટીકીટનો સિધ્ધાંત પણ અમલી બનાવાશે. જો કે તેમાં ગાંધી કુટુંબને ખાસ છૂટ આપવા અંગે પણ વિચારણા થશે. ઉદયપુરમાં 3 દિવસની આ શિબિર પૂર્વે કોંગ્રેસના પ્રવકતા અજય માકને કહ્યું હતું કે એક પરિવાર એક ટીકીટના નિયમ પર સંમતિ બની ગઇ છે અને ચિંતન શિબિર બાદ પક્ષના સંગઠનમાં મોટા ફેરફાર કરાશે.
બીજી તરફ પરિવારના બીજા સભ્યને પાંચ વર્ષ સુધી સંગઠનમાં કામ કર્યા બાદ જ ટીકીટ આપવા માટે વિચારણા થશે. જો કે એક પરિવાર એક ટીકીટનો નિયમ ગાંધી પરિવારને લાગુ થશે કે ખાસ છૂટ મળશે તે અંગે નિર્ણય લેવાયો નથી. પક્ષના નેતાઓ દ્વારા આ અંગે નિર્ણય ગાંધી કુટુંબ પર જ છોડાય તેવા સંકેત છે. બીજી તરફ કોંગ્રેસ પક્ષના સુત્રોના જણાવ્યા મુજબ જે નેતાઓને અને કાર્યકર્તાઓ જમીન સાથે જોડાયેલા છે તેઓને જ હવે મહત્વ અપાશે. ફક્ત સંગઠનમાં હોદા અથવા તો ધારાસભ્યો તથા સાંસદ તરીકે શોભાના પૂતળા જેવા બની રહેલા કોઇપણ નેતાને હવે પક્ષ રિપીટ કરશે નહીં.
આજે આ ચિંતન શિબિરનો પ્રારંભ થતા જ કોંગ્રેસ પક્ષમાં એક નવી આશા સર્જાઇ હોવાનું પક્ષના પ્રવકતાએ જણાવ્યું હતું. પરંતુ તેના અમલમાં કેટલી સફળતા મળશે તે અંગે ખુદ કોંગ્રેસમાં પણ ચર્ચા છે. કોંગ્રેસ પક્ષ ગુજરાત સહિતની ધારાસભા ચૂંટણીઓ અને 2024ની લોકસભા ચૂંટણી માટે તૈયારી કરી રહ્યો છે.અજન માકને કહ્યું કે કોઇપણ વ્યક્તિ જો સતત એકથી વધુ વખત કોઇ હોદા પર રહેતા હશે તો તેણે તે છોડવો પડશે અને ત્રણ વર્ષનો કુલીંગ પીરીયડ ભોગવ્યા બાદ જ તે ફરી પક્ષ કે ચૂંટાયેલા વ્યક્તિ તરીકે કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી શકશે.
સંગઠનમાં દરેક તબક્કે 50 ટકા સ્થાન યુવાઓને અપાશે. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષ દ્વારા જમીની સ્તર પરના સર્વેક્ષણ માટે એક પબ્લીક ઇનસાઇડ ડીપાર્ટમેન્ટ બનાવશે. ઉપરાંત પક્ષના પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામકાજના પણ સતત પરિક્ષણ કરવામાં આવશે.
રાહુલ સહિતના નેતાઓ ટ્રેન માર્ગે ઉદયપુર પહોંચ્યા
કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી ટ્રેન માર્ગે ઉદયપુર પહોંચ્યા હતા. તેમની સાથે દિલ્હીથી અન્ય 74 નેતાઓ પણ ટ્રેન મારફત આવ્યા હતા. તેઓ માટે ખાસ બે કોચ બૂક કરાવવામાં આવ્યા હતા. સોનિયા, પ્રિયંકા, મનમોહન સહિતના નેતાઓ માટે શિબિર સ્થળે ફાઈવસ્ટાર હોટલમાં જ રહેવાની વ્યવસ્થા છે. પક્ષપ્રમુખ સોનિયા ગાંધીના સંબોધનથી શિબિર શરુ થઇ હતી. અને ત્યારબાદ ચર્ચા સત્ર રખાયું હતું.
ચિંતન શિબિરમાં અશોક ગેહલોતનો દબદબો : સચિનને સંદેશ
આજથી શરુ થયેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત યજમાન પદે છે અને તેના કારણે તેમજ જે રીતે તેઓ રાહુલ ગાંધીના નજીક છે તે જોતા અશોક ગેહલોતને હજુ વધુ જવાબદારી અથવા તો આગામી ચૂંટણીમાં રાજસ્થાનની ચિંતા તેમને જ સોંપાય તેવી શક્યતાછે. રાહુલ ગાંધીના આગમન સાથે જ અશોક ગેહલોત તેમની સાથે જોડાઈ ગયા હતા. અને સતત રાહુલની સાથે છે જ્યારે સચિન પાયલોટના પોસ્ટર જે ઉદયપુર અને જયપુરમાં લગાવાયા તે પણદૂર કરી દેવાયા છે.