રાજકોટ તા.16
ગુજરાતમાં ચૂંટણી તૈયારીઓમાં સતત એકશનમાં આવી રહેલા ભાજપ દ્વારા એક તરફ પક્ષના સંગઠનને દોડતુ કરવામાં આવ્યું છે અને તેના મારફત એક બાદ એક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે તો બીજી તરફ હવે સરકારના મહત્વપૂર્ણ લોકાર્પણ ચોમાસા બાદ જ થાય તેવા સંકેત છે. આ વચ્ચે તા.28ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટકોટ ખાતે રૂા.400 કરોડના ખર્ચે પાટીદાર ટ્રસ્ટ દ્વારા બનાવાયેલી 200 બેડની કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલને ખુલ્લી મુકનાર છે અને તેમાં વધુને વધુ સંખ્યામાં પાટીદાર સહિતના સમાજો ઉમટી પડે અને અંદાજે 2 લાખથી વધુ લોકોને એકત્ર કરવાનું આયોજન છે.
આવતીકાલે રાજકોટ આવી રહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને સુપર હીટ બનાવવા માટે સૌરાષ્ટ્રના તમામ જીલ્લાઓને ભાજપના જીલ્લા પ્રમુખ તથા પ્રભારીઓની એક બેઠક બોલાવી છે અને સૌથી મહત્વનું કે તેમાં પાટીલના વન ડીસ્ટ્રીકટ વન ડેનો જે કાર્યક્રમ છે તે હવે સૌરાષ્ટ્રમાં દરેક જીલ્લામાં તેઓ આગામી સમયમાં આ કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે અને આવતીકાલની બેઠકમાં તે અંગે પણ સી.આર. તમામ જીલ્લા પ્રમુખો અને પ્રભારીઓ સાથે ચર્ચા કરશે.
સૌથી મહત્વનું એ છે કે, વન ડીસ્ટ્રીકટ વન ડે કાર્યક્રમ મારફત સી.આર.પાટીલ ફકત પક્ષના કાર્યકર્તાઓ જ નહી પરંતુ સમગ્ર જીલ્લામાં મહત્વપૂર્ણ સંદેશ જાય તેવું આયોજન કરે છે. હાલમાં જ સુરત ખાતે તેઓએ જે વન ડીસ્ટ્રીકટ વન ડે કાર્યક્રમ યોજયો હતો તેમાં રાજયભરના તમામ ભાજપ જીલ્લા પ્રમુખો ને બોલાવાયા હતા અને તે મોડેલથી દરેક જીલ્લામાં તેઓ કાર્યક્રમ યોજશે.
જેમાં પાટીલના આગમન સાથે જબરો રોડ શો ઉપરાંત કાર્યકર્તા સંમેલન, પ્રબુદ્ધ નાગરિકો સાથેની બેઠક અને એક જાહેર સભા ઉપરાંત ખાસ કરીને જીલ્લામાં ભાજપના જે અસંતુષ્ટો અને નિષ્ક્રીય થયેલા નેતાઓ અને કાર્યકર્તાઓ છે તેમને પણ આગામી ચૂંટણીમાં પક્ષના કાર્યક્રમમાં જોડાય જાય તે જોવા ખાસ આગ્રહ રખાય છે અને તેઓના અસંતોષ દૂર કરીને ડેમેજ કંટ્રોલ જેવા પ્રયાસો પણ આ કાર્યક્રમ મારફત શરુ થઈ ગયા છે.