રાજકોટ, તા. 17
ખાદ્ય તેલોમાં મંદી વધુ તિવ્ર બનવા લાગી હોય તેમ ભાવો સતત ઉંચકાતા રહ્યા છે. બપોર સુધીમાં જ કપાસીયા તેલમાં રૂા. 30 તથા પામોલીનમાં રૂા.20નું ગાબડુ પડયું હતું. તેલ બજારના વેપારીઓએ જણાવ્યું હતું કે માનસ મંદીનું બની ગયું છે. વિશ્વ બજારમાં ખાદ્ય તેલોની સપ્લાય સરળ બની ગઇ છે અને આયાત પણ વધવા લાગી છે.
ઘરઆંગણે ચોમાસુ સમયસર હોવાથી તેલીબીયાનું વાવેતર સમયસર થશે અને ઉત્પાદન પણ વધશે તેવા આશાવાદથી પણ માનસ ખરડાયું છે. છેલ્લા મહિનાઓમાં ખાદ્ય તેલોમાં બેફામ તેજી થઇ હતી. એટલે હવે ભાવો ઝડપથી તૂટે તે સ્વાભાવિક છે. પામોલીનમાં છેલ્લા દિવસોમાં વિશ્વસ્તરે 300 રૂપિયા નીકળી ગયા છે તેના પરથી જ મંદીનો અંદાજ આવી જાય છે. રાજકોટમાં સીંગતેલ ડબ્બાનો ભાવ રૂા. 10ના ઘટાડાથી 2750 થયો હતો. કપાસીયા તેલ ડબ્બો રૂા. 30ના ઘટાડાથી 2570 થયો હતો જયારે પામોલીન ડબ્બે 20 ઘટીને 2220 થયું હતું. લાંબા વખત પછી કપાસીયા તેલમાં ડબ્બે રૂા.2600ની સપાટી તૂટી છે.