બોટાદ તા.22
તા.21 જૂનને વિશ્ર્વભરમાં ‘યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર તથા બોટાદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજે બોટાદ શહેરની સરકારી હાઈસ્કુલના પ્રાંગણમાં જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવાયો હતો.
આઠમાં વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશને યોગ દિવસ ઉજવવાનું સૌભાગ્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ મળ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે બોટાદ જિલ્લાને પણ આ મહામુલો અવસર મળ્યો છે. યોગ એવી પ્રક્રિયા છે જેનાથી શારીરિક સંતુલન જાળવી શકાય છે. સાથોસાથ મગજને પણ ઉર્જાવાન રાખી શકાય છે. યોગ કરવાના અનેક લાભ છે જેનું મહત્વ આજે સમગ્ર વિશ્ર્વએ સમજયું છે. લોકોએ યોગ કરીને પોતાની તંદુરસ્તીમાં વધારો કર્યો છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકના મૈસુરથી દેશવાસીઓને વર્ચ્યુઅલી સંબોધીત કરી યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ જિલ્લાના તમામ લોકોએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વિવિધ આસન અને પ્રાણાયામ કરી શાંતિ તથા તાજગીનો અનુભવ કર્યો છે. આજના યોગ દિવસની ઉજવણીમાં દિવ્યાંગો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.